• 26 March, 2026 - 4:41 PM

નવો અને સરળ ઇન્કમ ટેક્સ એક્ટ 2025: પહેલી એપ્રિલથી વ્યક્તિગત કરદાતાઓ માટે શું બદલાશે?

ભારતમાં લગભગ 65 વર્ષ પછી આવકવેરા કાયદામાં મોટો ફેરફાર અમલમાં આવી રહ્યો છે. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 પહેલી એપ્રિલથી અમલમાં આવશે. આ સાથે જ 1961ના જૂના કાયદાને બદલી દેશે. આ નવા કાયદાનો મુખ્ય હેતુ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો અને સામાન્ય કરદાતાઓ માટે સમજવા યોગ્ય બનાવવાનો છે. જૂનો કાયદો અનેક વખત સુધારાયો હતો અને તેમાં હજારો ફેરફારો થયા હોવાથી તે ખૂબ જ જટિલ બની ગયો હતો.

નવો કાયદો વધુ સરળ ભાષામાં લખાયેલો છે. તેમાં ડિજિટલ સિસ્ટમ અને ફેસલેસ એસેસમેન્ટ પર ભાર મૂકવામાં આવેલો છે. તેથી માનવીય હસ્તક્ષેપ ઘટશે. અધિકારીઓ દ્વારા કરદાતાઓને દબાવી ધમકાવીને આચરવામાં આવતો ભ્રષ્ટાચાર ઓછો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે. તેની સાથે સાથે જ કાયદાની રચનામાં પણ સરળતા લાવવામાં આવી છે. નવા ઇન્કમટેક્સ એક્ટમાં હવે 536 કલમો રહેશે. જૂના કાયદામાં 819 કલમો હતી.

એક મહત્વપૂર્ણ બદલાવ તરીકે ટેક્સ યરનો હવે ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી તેને કરદાતાઓ ફાઈનાન્શિયલ યર કે આકારણી વર્ષ તરીકે ઓળખાવતા હતા. પરિણામે ફાઈનાન્શિયલ યર અને એસેસમેન્ટ યરમાં થતાં ગરબડ ગોટાળાનો અંત આવી જશે.

આવકવેરાના નવા કાયદામાં કરવામાં આવેલા ફેરફારો

  • પાનકાર્ડ-PAN સંબંધિત નિયમોમાં ફેરફાર અને વધુ ટ્રાન્ઝેક્શન માટે PAN ફરજિયાત
  • ઘરભાડાં ભથ્થા-House Rent Allowance)માં આપવામાં આવતી છૂટ વધુ શહેરોમાં લાગુ કરવામાં આવશે.
  • હાઉસ રેન્ટ એલાવન્સ-ઘરભાડાં ભથ્થાની વાત કરીએ તો અમદાવાદ, પૂણે અનેબેન્ગલુરુ, હૈદરાબાદના કરદાતાઓએ તેમના હાઉસ રેન્ટ એલાવન્સની વિગતો જાહેર કરવી પડશે.
  • રજા દરમિયાન કરવામાં આવતા પ્રવાસ ભથ્થા-Leave Travel Allowance-LTA માટેની શરતો સરળ બનાવવામાં આવી છે. લીવ ટ્રાવેલ કન્વેયન્સ-રજા દરમિયાન કરવામાં આવતા પ્રવાસ માટે કરેલા ખર્ચની રકમ પરત કર્મચારીને આપવાની કંપનીઓની સિસ્ટમ હેઠળ કર્મચારી કયા ક્લાસમાં પ્રવાસ કરે છે તેને આધારે કંપનીના તેને માટેના ખર્ચના માન્ય રાખવામાં આવશે.
  • બેન્ક કે પોસ્ટ ઓફિસના ખાતાઓમાં નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 10 લાખથી વધુ રોકડેથી જમા કરાવવા કે રોકડેથી ઉપાડ કરવા માટે પાનકાર્ડની વિગતો આપવી ફરજિયાત છે. અત્યાર સુધી એક વખતમાં રૂ. 50,000થી વધુ રોકડેથી જમા કરાવનારાઓએ પાનકાર્ડ નંબર લખવો પડતો હતો. હવે તે જફામાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • મોટરની ખરીદી કે વેચાણ માટેની મર્યાદા રૂ. 5 લાખની કરી દેવામાં આવી છે.
  • હોટેલ કે બેન્ક્વેટમાં રૂ. 1 લાખથી વધુ રકમનું એક સામટું ચૂકવણી કરવામાં આવે તો તેની આવકવેરા ખાતાને જાણ કરવી પડશે.
  • વીમા પોલીસી માટે ચૂકવવામાં આવતા નાની મોટી દરેક રકમના પ્રીમિયમની વિગતો આપવી ફરજિયાત કરવામાં આવી છે.
  • રૂ. 20 લાખથી વધુના મૂલ્યની મિલકતની ખરીદી કરો કે મિલકત માટે રૂ. 20 લાખથી વધુ સ્ટેમ્પ ડ્યૂટી જમા કરાવો તો તેની આવકવેરા ખાતાને ફરજિયાત જાણ કરવી પડશે.
  • કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા નાના નાના નાણાંકીય લાભ-ખર્ચની  સુવિધાઓના મૂલ્યાંકનમાં વધારો કરવામાં આવશે.
  • ડિજિટલ પ્લેસને એટલે કે ઈ-મેઈલ, ક્લાઉડ તથા સ્માર્ટફોનનો કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • બાળકોના શિક્ષણ માટે મહિને બાળરગીછરૂ. 3000 સુધીનો ખર્ચ કરવામાં વેરામાંથી બાદ મળશે. વધુમાં વધુ માત્ર બે બાળકો માટે જ આ ખર્ચ બાદ મળશે.જૂની વ્યવસ્થામાં બાળકદીઠ મહિને રૂ. 1000નો ખર્ચ બાદ આપવામાં આવતો હતો.
  • હોસ્ટેલના ખર્ચની વાત કરીએ તો મહિના રૂ. 300નો બાળકદીઠ હોસ્ટેલનો ખર્ચ બાદ આપવામાં આવતો હતો. હવે મિહને બાળકદીઠ રૂ. 5000નો અને ડ્રાઈવરનો રૂ. 3000 મળીને કૂલ રૂ. 8000નો ખર્ચ બાદ આપવામાં આવશે. બે બાળક માટે જ આ ખર્ચ બાદ આપવામાં આવશે.
  • મોટરકાર 1.6 સીસીથી વધારેની ક્ષમતાવાળી હશે તો જૂના કાયદા હેઠળ મહિને અનુક્રમે રૂ. 1800 અને રૂ. 900 મળીને રૂ. 2700નો ખર્ચ બાદ આપવામાં આવતો હતો. નવા કાયદા હેઠળ આ લાભ મહિને અનુક્રમે રૂ. 7000 અને રૂ. 3000 મળીને રૂ. 10,000નો આપવામાં આવશે.
  • જૂના કાયદા હેઠળ ભોજનદીઠ રૂ. 50નો ખર્ચ માન્ય રાખવામાં આવતો હતો તે વધારીને રૂ. 200 માન્ય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • કર્મચારીને કંપનીના માલિક તરફથી આપવામાં આવતી રૂ.5000ની ગિફ્ટને જૂના કાયદા હેઠળ ગણતરીમાં લેવામાં આવતી નહોતી. હવે આ ગિફ્ટની મર્યાદા વધારીને રૂ. 15000 કરી દેવામાં આવી છે.
  • કંપનીના માલિક દ્વારા કર્મચારીને આપવામાં આવતી વ્યાજ મુક્ત લોનની મર્યાદા જૂના કાયદા હેઠળ રૂ. 20,000ની હતી તે હવે વધારીને રૂ. 2 લાખ કરી દેવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેન રવિ અગરવાલનું કહેવું છે કે નવા કાયદાને પરિણામે કોમ્પ્લાયન્સનો બોજ ઓછો થશે. નવા નિયમોનો મુસદ્દો અને રિટર્નના ફોર્મ્સ ઇશ્યૂ કરી દેવામાં આવ્યા છે. હજી નવા ફેરફારો લાગુ કરવામાં આવશે. કંપનીઓ તરફથી કર્મચારીઓને પગાર ઉપરાંત ખર્ચની આપવામાં આવતી સુવિધાને લગતી મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઉપરાંત કરદાતાઓએ પણ તેમના પર આવનારા વેરાના બોજની વિગતોનું મૂલ્યાંકન કરવું પડશે.

નવા કાયદાની કરદાતાઓ પર પડનારી અસર

આવકવેરાના કાયદામાં કરવામાં આવેલા કેટલાક ફેરફારોને કારણે કેટલાક લોકો પર ટેક્સ ભરવાની જવાબદારીનો બોજો વધી શકે છે, તેમાંય ખાસ કરીને પગાર ઉપરાંત સુવિધાઓ-નાના નાના ખર્ચનો-perquisitesનો લાભ આપવામાં આવે છે તે કરદાતાઓ પર ટેક્સનો બોજ વધી શકે છે. કંપની તરફથી કર્મચારીને કાર-મોટરની સુવિધા આપવામાં આવશે તો તેને પરિણામે કર્મચારીને થતાં લાભની મર્યાદામાં વધારો કરી આપવામાં આવ્યો છે. છતાંય તેને કારણે કંપનીના કર્મચારીઓનો ટેક્સનો બોજો વધશે. કંપનીના માલિકોએ કર્મચારીઓને વળતર આપવા માટે તેમના સમગ્ર આયોજનમાં નવેસરથી કરવું પડશે.

નવા નાણાંકીય વર્ષથી એટલે કે ટેક્સ યરથી પગારદાર કર્મચારીઓ માટે જૂની અને નવી ટેક્સ પદ્ધતિ વચ્ચે પસંદગી મહત્વપૂર્ણ બની રહેશે. જો વ્યક્તિ પાસે વધુ કરકપાત-deductions હોય તો જૂની પદ્ધતિ વધુ લાભદાયક બની શકે છે. આપણે ઉદાહરણ આપીને વાત કરીએ.

એક, વાર્ષિક 15 લાખ આવક પર રૂ. 5.44 લાખથી વધુ કરકપાતનો લાભ મળતો હોય તો જૂની પદ્ધતિ સારી અને લાભદાયક સાબિત થશે. બીજું, વાર્ષિક રૂ. 20 લાખની આવક હોય અને તેમાં રૂ.7.08 લાખથી વધુ કપાત-deductionનો લાભ મળતો હોય તો જૂની પદ્ધતિ સારી અને લાભદાયક પુરવાર થશે. ઘરભાડાં ભથ્થાંમાં મળતી માફીના કેસમાં વાત કરવામાં આવે તો જૂની અને નવી સિસ્ટમની પસંદગી કરવામાં વેરો કેટલો બચે છે તેની ગણતરી કરીને જૂની કે નવી સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરવું પડશે તે અંગેનો નિર્ણય લેવો પડશે. અન્ય સંજોગોમાં વેરાની નવી સિસ્ટમ લાભદાયી સાબિત થઈ શકે છે.

ટેક્સ કંપ્લાયન્સના નિયમો

આવકવેરાના નવા કાયદા હેઠળ તૈયાર કરવામાં આવેલા નવા નિયમો નાણાંકીય વર્ષ 2026-27થી લાગુ કરવામાં આવશે. પહેલી એપ્રિલ 2026 પછી નવા નિયમો લાગુ પડી જશે. 2027થી ITR-ઇન્કમટેક્સના રિટર્નનું ફાઇલિંગ નવા કાયદા હેઠળ થશે. આવકવેરાના રિટર્ન્સના દરેક ફોર્મ્સ સરળ અને automated pre-fill એટલે કે સરકાર પાસે તમારી આવક અને ખર્ચના તથા ઇન્વેસ્ટમેન્ટના જે  હિસાબો હશે તે હિસાબોની વિગતો તમારા આવકવેરાના રિટર્ન્સમાં ભરાઈને જ આવે તેવી સિસ્ટમ તૈયાર કરી દેવામાં આવી છે. હા, કરદાતાઓ પ્રી ફિલ્ડ ફોર્મમાં સુધારા કે વધારા કરી શકશે. પાનકાર્ડ માટેના નવા નિયમો અને તેના અનુસંધાનમાં મૂકવામાં આવેલી પાયાની મર્યાદાઓ લાગુ પડી જશે.

જૂના કાયદામાંથી નવા કાયદામાં જતાં આરંભિક તકલીફો થશે

નવા કાયદા અમલમાં આવતા શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ સરકાર અને આવકવેરા વિભાગ તેને સરળ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ-CA  અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ એટલે કે વેરાના નિષ્ણાતો માટે તાલીમ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તેને માટે આવકવેરાના પોર્ટલમાં પણ જરૂરી સુધારા વધારાઓ કરવામાં આવી રહ્યા છે.

લેબર કોડ્સની પણ અસર જોવા મળશે

નવા લેબર કોડ્સના કારણે પણ કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર થઈ શકે છે. પગાર-Wagesની નવી વ્યાખ્યા મુજબ તે કુલ પગારના 50 ટકાથી ઓછું ન હોવું જોઈએ.

દરોડા અને જપ્તીની પ્રક્રિયા કરવામાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ કોને ગણવી તે અંગેની વ્યાખ્યા નવા કાયદામાં કરી આપવામાં આવી છે.

તેની સાથે જ ટ્રાન્સફર પ્રાઈસિંગ એટલે કે ભારતમાં ઉત્પાદન કરીને વિદેશમાં વેચાણ માટે પોતાની જ કંપનીમાં મોકલી આપવામાં આવતા માલના ભાવને આધારે ટ્રાન્સફર પ્રાઇસિંગ નક્કી કરવામાં આવશે. ટ્રાન્સફર પ્રાઇસિંગમાં સામાન્ય રીતે ભારતમાં ભરવાના થતાં વેરાની જવાબદારી ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમાં સર્વિસ સેક્ટર માટેની ટર્નઓવરની મર્યાદા રૂ. 200 કરોડથી વધારીને રૂ. 300 કરોડ કરી દેવામાં આવી છે. સોફ્ટવેર અને આઈટી એનેબલ્ડ સર્વિસ માટે આ મર્યાદા વધારવામાં આવી છે. સોફ્ટવેર ડેવલપન્વિટ અને ઈન્ફોર્મેશન એનેબલ્ડ સર્વિસિટ માટે આ માર્જિન અનુક્રમે ટ્રાન્ઝેક્શન વેલ્યુના 17 અને 18 ટકા નક્કી કરી આપવામાં આવ્યા છે.

ઓટો કોમ્પોનન્ટ્સના નવા પૂરજાઓના વેપારને પણ સેફ હાર્બરની સુવિધાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેને માટે બાર ટકાના માર્જિન નક્કી કરી આપવામાં આવ્યા છે. તેમાં હવે લિથિયમ આયન બેટરીનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ કારમાં આ બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. નોલેજ પ્રોસેસ આઉટ સોર્સિંગ માટેના માર્જિન કર્મચારીના પગાર ખર્ચને આધારે 18 ટકાથી માંડીને 24 ટકા નક્કી કરી આપવામાં આવ્યા છે.

સેફ હાર્બરની સુવિધાનો લાભ લેવા માટે કરદાતાએ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની નિર્ધારિત તારીક પહેલા ફોર્મ 3સીઈએફએ ફાઈલ કરીને તે સેફ હાર્બરની સુવિધાનો લાભ લેવા માગે છે તેની જાણ કરવી પડશે. નોટિફાઈડ કરેલા વિસ્તારોમાંથી કરવામાં આવતા જે વહેવારો પર ઓછો ટેક્સ લાગુ પડતો હોય કે શૂન્ય ટેક્સ લાગુ પડતો હોય તેને માટે આ જોગવાઈ લાગુ પડશે નહિ. તેમણે ટ્રાન્સફર પ્રાઇસિંગના નિયમોનું પાલન કરવું પડશે અને તેમણે ફોર્મ 3સીઈબી-Form 3CEB ફરજિયાત ફાઈલ કરવું પડશે.

સેફ હાર્બરની વ્યવસ્થાનો લાભ લેવા ઇચ્છતા કરદાતાઓ એક જ ટ્રાન્ઝેક્શન માટે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ પ્રોસિજરની વ્યવસ્થાનો અને સેફ હાર્બરની વ્યવસ્થાનો એક સાથે લાભ લઈ શકશે નહિ.

Read Previous

એચડીએફસી બેન્કનો વિવાદઃ પુરાવાઓ ન હોય તો કોઈપણ આક્ષેપ કરતાં પહેલા બે વાર વિચાર કરો

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular