સારુ વળતર આપવાને સક્ષમ સ્મૉલ કેપ કંપનીઓ પર ધ્યાન આપો

- વિશ્વના શ્રેષ્ઠ ઇન્વેસ્ટર ગણાતા વૉરેન બફેટના ચાર નિયમો ભારતના સ્મૉલ કેપ કંપનીઓને માટે લાગુ કરીને તેના શેર્સમાં રોકાણ કરવુ જોઈએ
અમદાવાદઃ વિશ્વના સૌથી સફળ સ્ટોક ઇન્વેસ્ટર વૉરન બફેટની સંપત્તિ બનાવવાની રણનીતિ ચાર મુખ્ય માપદંડ પર આધારિત છે. એક ઊંચું ROE-રિટર્ન ઓન ઇક્વિટી હોવું જોઈએ. બે, કંપનીમાં લગાવવામાં આવતી નવી મૂડી પર સારુ વળતર છૂટતું હોવું જોઈએ. ત્રણ, કંપની દેવું કરવામાં શિસ્ત-ડિસિપ્લિન જાળવતી હોવી જોઈએ અને તેને માથે મોટું દેવું ન હોવું જોઈએ. ચાર, કંપની મજબૂત ડિવિડંડ આપતી હોવી જોઈએ. વૉરન બફેટ આ ચાર વાતાને કેન્દ્રમાં રાખીને શેર્સમાં ઇન્વેસ્ટ કરવું કે ન કરવું તેનો નિર્ણય લેતા આવ્યા છે. વૉરેન બફેટના આ ચાર નિયમો ભારતની નાની માર્કેટ કેપ-સ્મૉલ કેપ કંપનીઓને માટે પણ લાગુ કરીને તેના શેર્સમાં રોકાણ કરવુ જોઈએ કે નહિ તેનો નિર્ણય લઈ શકાય છે.
ભારતના શેરબજારમાં લિસ્ટેડ સ્મૉલ કેપ કંપનીઓમાં વૉરન બફેટની ચાર કેટેગરીમાં ફીટ બેસે તેવી કંપનીઓ પણ છે જ છે. જોકે ભારતના સ્મોલ-કેપ માર્કેટના શેર્સમાં રોકાણ કરવું ઘણીવાર જોખમભર્યું હોય છે. છતાં ઝડપી નફો કરી લેવાની તલાશમાં રહેતા ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સ વૉરન બફેટના ચાર નિયમોને આધીન રહીને કંપનીઓ પસંદ કરી શકે છે. સોશિયલ મિડિયા પર શેર્સ માટે ઊભી કરવામાં આવતી હાઈપને અવગણીને ઉપરોક્ત ચાર માપદંડને આધારે કંપની પસંદ કરનારાઓ માટે કમાણી કરવાની તક નિર્માણ થઈ શકે છે. તેઓ સ્મૉલ કેપમાં ઇન્વેસ્ટ કરીને પણ સંપત્તિ સર્જન કરી શકે છે.
આ કેટેગરીમાં ફીટ બેસે તેવી એક કંપની Accelya Solutions India-એસ્સેલ્યા સોલ્યુશન્સ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. કંપની ઊંચું ડિવિડન્ડ આપે છે. તેના નાણાંકીય પરફોર્મન્સ સારા છે. Accelya Solutions India Limited એક એવિએશન ટેક્નોલોજી કંપની છે. આ કંપની એરલાઇન ઉદ્યોગ માટે ડિજિટલ સોલ્યુશન્સ આપે છે. કંપનીનો રિટર્ન ઓન ઇક્વિટી 46 ટકાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો રૂ. 100 રોકાણ પર કંપની રૂ. 46 નફો આપે છે. નફાની આ ટકાવારી તેની સ્પર્ધક કંપનીઓ કરતાં ઘણી જ વધારે છે. તેની સામે આ ઇન્ડસ્ટ્રીનો સરેરાશ રિટર્ન ઓન ઇક્વિટી 18 ટકાનો છે. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ 54 ટકા છે. જ્યારે ઇન્ડસ્ટ્રીનો રિટન ઓન કેપિટલ એમ્પ્લોઈડ 21 ટકાનો છે. કંપનીનો ડેટ ઇક્વિટી રેશિયો 0.33નો છે. તેમ જ કંપની આઠ ટકા ડિવિડંડ પણ આપે છે.
છતાંય છેલ્લા છ મહિનામાં કંપનીના શેર્સના ભાવમાં 24 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ રહ્યા તેના કારણો. એક કંપનીના નફામાં 57 ટકાનો ઘટાડો થયો છે. બે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIને કારણે IT સેક્ટર પર દબાણ વધી ગયુ છે. ત્રણ, અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને ઇરાન પર કરેલા આક્રમણને પરિણામે પણ વૈશ્વિક સ્તરે તનાવ પેદા થયો છે. તેની અસર પણ કંપની પર પડી રહી છે. તેથી જ કંપનીના શેરનો ભાવ તેના ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ કરતાં 46 ટકા નીચે બોલાઈ રહ્યો છે. કંપનીના શેરનો પીઈ પંદર ગણો છે. જ્યારે સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનો પીઈ એકવીસ ગણો છે. તેથી જ કહી શકાય કે કંપનીના શેર્સનું વાસ્તવમાં હોવું જોઈએ તેના કરતાં ઓછું મૂલ્ય બજારમાં બોલાઈ રહ્યું છે.
આ કેટેગરીમાં આવતી બીજી કંપની સ્વરાજ એન્જિન્સ છે. કંપનીને માથે રાતીપાઈનું પણ દેવું નથી. સ્વરાજ એન્જિન લિમિટેડ-Swaraj Engines Limited ટ્રેક્ટર માટે ડીઝલ એન્જિન બનાવે છે. કંપનીનો રિટર્ન ઓન ઇક્વિટી-ROE 42 ટકાનો છે. તેમ જ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ-ROCE 56 ટકા છે. કંપનીને માથે રાતીપાઈનું પણ દેવું નથી. સરેરાશ ત્રણ ટકા ડિવિડંડ આપતી કંપની છે. છેલ્લા 12 મહિનામાં કંપનીએ શેરદીઠ રૂ. 104.5નું ડિવિડન્ડ આપ્યું છે. ડિવિંડડ ઉપરાંત મૂલ્ય વૃદ્ધિનો લાભ પણ રોકાણકારોને મળી શકે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ફાયદો પણ કંપનીને મળી શકે છે. મહિન્દ્રા અન્ડ મહિન્દ્રા પાસે કંપનીના 52-બાવન ટકા શેર્સ છે. તેથી કંપનીને તરત કેશ મળી જાય છે. કંપનીને રોકડની અછતનો સામનો કરવો પડતો નથી. હા, કંપની તેના સપ્લાયર્સને પેમેન્ટ મોડું કરે છે. પેમેન્ટ માટેનો સરેરાશ સમયગાળો 61 દિવસનો છે. કંપનીની Cash Conversion Cycle નેગેટિવ રહે છે પરિણામે કંપની દેવું લીધા વગર વૃદ્ધિ કરે છે.
વૃદ્ધિ અને પરફોર્મન્સ
કંપનીનું વેચાણ વધી રહ્યું છે. તેનો સર્વગ્રાહી વેચાણ વૃદ્ધિ દર-CAGR 17 ટકાનો છે. કંપનીનો નફો પણ વધી રહ્યો છે. નફામાં વધારો થવાનો CAGR 19 ટકાનો છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્ટોકમાં કરેલા રોકાણ પર મળેલું સરેરાશ વળતર 168 ટકાનું છે. જોકે કંપનીના શેરના ભાવમાં છેલ્લા છ માસમાં 20 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ કંપનીનો PE હજુ પણ ઇન્ડસ્ટ્રી કરતાં ઓછો છે.
Accelya Solutions અને Swaraj Engines બંને કંપનીઓ બફેટના ચારેય માપદંડમાં પાસ થાય તેવી કંપની છે. હાલના તેના શેરના ભાવમાં ઘટાડો થવા માટે તાત્કાલિક કારણો જવાબદાર છે. લાંબા ગાળાના રોકાણકારો માટે સારામાં સારી તક બની શકે છે. હા, સેક્ટર જોખમને ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સે ધ્યાનમાં રાખવાનુ રહેશે. વૈશ્વિક પરિસ્થિતિનો ક્યાસ કાઢીને તેની કંપની પર પડનારી અસરને સમજીને નિર્ણય લેવાનો રહેશે.



