ગુજરાતમાં ગેસની અછત ન હોવાના દાવો છતાંય સિલિન્ડરના કાળાં બજારની ફરિયાદ

કાળાં બજાર કરનારા ૨૧૫ સામે કેસ કર્યા પણ હજી સુથી કોઈ જ પગલાં લેવાયા નથીઃ દરેક ઉદ્યોગને તેમની જરૃરિયાત કરતાં ૩૦થી ૫૦ ટકા ઓછો સપ્લાય મળતો હોવાથી બંધ થતાં એકમોઃ સીએનજીના સપ્લાયને અભાવે મોરબીના સેનેટરી વેરના ઉત્પાદકોના એકમો ઠપ થયા
ડિપોઝીટ વિના તત્કાળ પીએનજી જોડાણ આપવાની જાહેરાતની પોલંપોલઃ વટવા, નરોડા, નારોલમાંથી સીએનજીના ભાવ વધારા સામે બૂમ ઊઠી, એમએમબીટીયુ દીઠ ભાવમાં રૂ. 115થી 150નો વધારો કરી દેવાયો
રાંધણગેસના બાટલાના કેટલાક વિતરકો રૃ.૨૦૦૦થી ૪૦૦૦ માગતા હોવાની ફરિયાદઃ કાળા બજાર દરોડામાં ૨૧૫ પકડાયા પરંતુ તેમની સામે હજી સુધી પગલાં જ લેવાયા નથીઃ તપાસનું નાટક લાંબું ચાલશે
ગેસ જોડાણ ન ધરાવનારાઓ માટે આઈઓસીએ બજારમાં ૫ કિલો ગેસના ૭૪૦૦૦ સિલિન્ડર બજારમાં મૂકતા શ્રમિકોની સમસ્યા હળવી થઈઃ રૂ. 597માં પાંચ કિલોનો બાટલો રિફીલ કરાવી શકાશે
હોટેલમાં પીરસવામાં આવતી થાળીના ભાવમાં કરી દેવામાં આવેલો વધારો ગેરવાજબી હોવાનું જણાવવામાં આવ્યું, છતાં તેમની સામે કોઈ જ પગલાં ન લેવાયા
પીએનજીની લાઈન પસાર થતી હોય તેવા વિસ્તારોમાં પંદર દિવસમાં જ ડિપોઝિટ લીધા વિના જ જોડાણ આપી દેવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ વાસ્તવમાં જોડાણ અપાયા છે કે નહિ તેની કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી
અમદાવાદ: રાંધણગેસના બાટલાનો કોઈજ અછત ન હોવાની અને કંપનીઓ પાસે પૂરત જથ્થો ઉપલબ્ધ હોવાના કંપનીઓના દાવા વચ્ચેય ગરીબ વર્ગના કે નીચલા મધ્યમ વર્ગના ગેસધારકોની ફરિયાદ છે કે રાંધણગેસના બાટલાને રૃા. ૨૦૦૦થી રૃા. ૪૦૦૦ માગવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે રાંધણગેસના કાળાં બજાર રોકવા માટે અત્યાર સુધીમાં કાળાંબજારિયાઓને રોકવા માટે ૨૪૫૧ સ્થેળે ડિસ્ટ્રીબ્યુટર્સ સહિતના લોકો પર દરોડા પાડયા છે. કાળાંબજારની શક્યતા ધરાવતા ૨૧૫ જણ સામે કેસ કરવામાં આવ્યા છે. જોકે આ કેસ પૂરા કરવાની કોઈ નિસ્ચિત સમયમર્યાદા ન હોવાથી સરકારી તંત્રએ દરોડા પાડયા પછીય કાળાં બજારમાં સિલિન્ડર વેચાતા હોવાની ફરિયાદો ચાલુ જ છે. કારણ કે કાળાં બજાર કરનારા ૨૧૫ જણ સામે હજી સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી. ેતમના નિવેદનો લેવાની અને તપાસ કરવાની બાકી છે. પરિણામે રાંધણગેસના બાટલા ન મળે તેના ઉચાટ વચ્ચે જ નીચલા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો જીવી રહ્યા છે.
ગુજરાત સરકારના સિવિલ સપ્લાય વિભાગના જોઈન્ટ ડિરેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે દરોડા પાડયા બાદ કાળાં બજારિયાઓ સામે કરવામાં આવેલા કેસોની કાર્યવાહી આગામી મહિનાઓમાં ચાલશે. તેમની રજૂઆતને સાંભળવામાં આવશે. ત્યારબાદ તેમની સામે વ્યક્તિગત ઓર્ડર થશે. તેમને ગુનેગાર ઠેરવવામાં આવશે તો પેનલ્ટી કરવામાં આવશે. અત્યાર સુધી કોઈ સામે કાર્યવાહી થઈ નથી.
રાંધણગેસના બાટલાની અછત ન થાય તે માટે પીએનજી જોડાણ ડિપોઝિટ વિના જ પંદર દિવસમાં આપી દેવાની મોટા ઉપાડે સરકારે જાહેરાત કરી હોવા છતાંય છેલ્લા એક મહિનામાં કેટલા નવા જોડાણો આપવામાં આવ્યા તે અંગેની કોઈ જ વિગતો આજે પત્રકાર પરિષદની આયોજન કરનારા અધિકારીઓ આપી શક્યા નથી. માત્ર કંપનીઓનો ક્લાયન્ટ બેઝ વધે તે માટે જ ડિપોઝિટ લીધા વિના જ પંદરથી વીસ દિવસમાં પીએનજી જોડાણ આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાંય છેલ્લા એક માસમાં કેટલાને અરજન્સીમાં પીએનજી જોડાણ આપવામાં આવ્યા તેની કોઈ જ વિગતો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન કે પછી સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આપી શક્તા નથી. માત્ર કંપનીઓને નવા જોડાણ લેનારા મળી રહે તે માટે જ આ જાહેરાત કરવામાં આવી હોવાનુ ંજણાઈ રહ્યું છે.
અછત ન હોવા છતાં પીએનજી અને સીએનજીના ભાવ વધારી દેવાયા
બીજીતરફ ગેસ સપ્લાયની કોઈ જ અછત ન હોવાના દાવા વચ્ચે પીએનજી સપ્લાય કરતી કંપનીઓએ પીએનજીના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે રૃા. ૨નો અને ઉદ્યોગોને આપવામાં આવતા સીએનજીના એમએમબીટીયુ દીઠ ભાવમાં રૃા. ૧૫૦ની આસપાસનો વધારો કરી દીધો છે.મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ સીએનજીનો સપ્લાય સાવ જ બંધ કરી દેવામાં આવ્યો છે.
બીજીતરફ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેસનના આઈઓસીના નોડલ ઓફિસર સંજીબ બેહરાઓ જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ કે રાંધણગેસની કોઈ જ અછત નથી. છતાંય રેસિડેન્શિયલ જોડાણ ધારકોને અગ્રક્રમ આપવા માટે કોમર્શિયલ એલપીજીનો સપ્લાયમાં ૩૦ ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને તેમની જરુરિયાતના ૭૦ ટકા સપ્લાય આપવામાં આવે છે. ડેરી ઉદ્યોગમાં પણ વાસ્તવિક જરુરિયાત સામે ૭૦ ટકા ગેસનો સપ્લાય જ આપવામાં આવી રહ્યો છે. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ કુલ ડિમાન્ડના ૭૦ ટકા સપ્લાય જ આપવામાં આવી રહ્યો છે. આમ સંખ્યાબંધ સેક્ટરમાં સપ્લાય કાપી નાખવામાં આવ્યો છે.
૩૦થી ૪૦ ટકા સપ્લાય ઘટાડી દેવાયો
કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવાનું જણાવતા તેમણે જણાવ્યું હતું કે ટોપ પ્રાયોરિટી ડોમેસ્ટિક સપ્લાયની છે. તેથી અન્ય સેક્ટરમાં કપાત મૂકવામાં આવી છે. ડોમેસ્ટિક વપરાશને નોર્મલ રાખવાની સૂચના સરકાર તરફથી આપવામાં આવી છે. હોટેલ ઇન્ડસ્ટ્રી, કોર્પોરેટ કેન્ટિન, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટિન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને તેમની જરૃરિયાતના ૨૫ ટકા ગેસ જ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સ્ટીલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ ડાઈઝ, કેમિકલ્સ અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને જોઈતા કુલ સપ્લાયની સામે માત્ર ૨૦ ટકા સપ્લાય આપવામાં આવી રહ્યો છે. એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને માત્ર ૨૦ ટકા સપ્લાય આપવામાં આવી રહ્યો છે. ઇરાન યુદ્ધ પહેલાના કુલ સપ્લાયના સરેરાશ ૭૦ ટકા સપ્લાય અત્યારે આપવામાં આવી રહ્યો હોવાનું સંજીબ બેહરાએ જણાવ્યું હતું. જોકે હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટયૂને ૧૦૦ ટકા સપ્લાય આપવામાં આવી રહ્યો છે.
ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરો, કેરોસિનનો સપ્લાય છૂટો કર્યો
ચેતન ગાંધીએ કહ્યું હતું કે લોકો પેટ્રોલ, ડીઝલ કે એલપીજી-રાંધણગેસ સહિતની ફરિયાદોે ટોલફ્રી નંબર ૧૮૦૦૨૩૩૦૨૨૨ પર કરી શકે છે. અત્યાર સુધીમાં ટોલફ્રી નંબર પર ૧૧,૩૦૮ ફરિયાદ મળી છે. આ ફરિયાદો કન્સર્ન ડિપાર્ટમેન્ટને ફોરવર્ડ કરી દીધી છે. એ ટોલફ્રી નંબર પર આવતી ફરિયાદ જે તે વિભાગને મોકલી આપે છે. કાળાં બજાર ન થાય તે માટે ડિજિટલ બુકિંગ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ૮૮ ટકા ડિજિટલ બુકિંગ હાલમાં થઈ રહ્યું છે. રાંધણગેસની અવેજીમાં કેરોસિન વાપરનારાઓની સુવિધા માટે ૧૪૫૨ કે.એલ.કેરોસિનનો જથ્થા મુક્ત કર્યો છે. આ જથ્થો રૃા.૬૧.૪૦થી રૃા. ૬૬.૧૪ના લિટરદીઠ ભાવમા ંજથ્થો આપવામાં આવ્યો છે. દરેક તાલુકામાં આ કેરોસિન મેળવવાનું લોકેશન આપવામાં આવશે. સંસ્થાઓને ઓછા દરે કેરોસિનનો સપ્લાય આપવામાં આવશે.
વાવેતર કરતાં ખેડૂતોને ખાતર-બિયારણની અછત નહિ પડે
વાવણીની સીઝન આવી રહી હોવાથી ખેડૂતોને ખાતરની અછત પડવાની ચિંતા થઈ શકે છે. પત્રકારો સાથે વાતચીત કરતાં સિડ સર્ટિ ફેકેશન એજન્સીના ડિરેક્ટર નીતિન શુક્લાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં યુરિયા, ડીએપી કે એનપીકીનો કોઈ જ અછત થવાની સંભાવના નથી. રવી મોસમનો બચેલો ખાતરનો જથ્થો પણ ઉપલબ્ધ છે. બાયોફર્ટિલાઈઝર કે નેનો ફર્ટિલાઈઝર કોઈની પણ અછત પડે તેમ નથી. તેમ જ ખેતી માટે જોઈતા બિયારણના 15 લાખ ક્વિન્ટલ બિયારણની રિક્વાયરમેન્ટ સામે આજે આપણી પાસે 17 લાખ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે.



