આજે શેરબજારમાં શું કરશો?

આજે સેન્સેક્સ-નિફ્ટી 50માં સુધારો જોવા મળી શકે: શેરબજાર ક્રેશ મોડમાં નથી. બજાર સાવધાની સાથે રિકવરી કરી રહ્યું છે. પરિણામે જો શાંતિ ચર્ચા સફળ થાય તો શેરબજારમાં તેજી જોવા મળી શકે છે
આજે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા બુધવારે શેરબજારમાં તેજી જોવા મળી શકે છે. અમેરિકાએ હોર્મુઝની ખાડી પર નાકાબંધી શરૂ કરી હોવા છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ ચર્ચાની થવાની આશા વધી હોવાથી આજે ભારતના શેરબજારો પોઝિટિવ રહે તેવી સંભાવના છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન તરફથી ડીલ કરવા ઈચ્છા દેખાઈ રહી છે. પરિણામે તણાવ ઓછો થવાની શક્યતાથી બજારમાં ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ કરનારાઓનો વિશ્વાસ વધશે. તેમ જ ક્રૂડ ઓઇલ ભાવ નિયંત્રણમાં આવશે.
જોકે બ્રેન્ટ ક્રૂડના બેરલદીઠ ભાવ $100 થી નીચે આવી ગયા છે. છતાંય ક્રૂડના ભાવ અંગે અને સપ્લાય ગે બજારમાં હજુ પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ચોઈસ ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના નિષ્ણાતોનું કહેવું છે કે ઇરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષને પરિણામે વિશ્વના લગભગ 10 ટકા ક્રૂડ સપ્લાય પર અવળી અસર પડી છે. આ સ્થિતિમાં સુધારો થતાં ત્રણથી છ માસ લાગી જશે. અમેરિકા અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ વણસે તો ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ $110–$120 સુધી જઈ શકે છે. તેમ જ ઇરાન-અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ઓછો થાય તો ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ $95 આસપાસ સ્થિર થવાની સંભાવના છે.
ચોઈસ ઇક્વિટીઝના નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ ફરી વધવાની શક્યતા ઘટી છે. તેથી બજાર સ્થિર રહી શકે છે. બજારમાં ધીમે ધીમે તેજીનો ટોન સેટ થઈ શકે છે. એન્જલ વનના ટેક્નિકલ એનાલિસ્ટ્સના મત મુજબ Nifty એ 20 ડબલ એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ સપોર્ટ ટકાવી રાખ્યો છે. પરિણામે ઘટાડે લેવાલી જોવા મળી રહી છે. તેનો એક અર્થ એ પણ થાય છે કે બજાર હવે નેગેટિવ સમાચારને પચાવીને આગળ વધી રહ્યું છે. સમગ્ર તયા ટ્રેડર્સ સાવધાની પૂર્ણ પોઝિટિવ અભિગમ રાખીને આગળ વધી શકે છે.
નિફ્ટી 50ની સ્થિતિ
નિફ્ટી 50માં 23,600 – 23,500એ મજબૂત ટેકો જણાઈ રહ્યો છે. નિફ્ટી 50માં 24,000 – 24,100 તથા 24,400 – 24,600ની સપાટીએ પ્રતિકાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે બીએસઈનો સેન્કેસ્ક 702 પોઈન્ટના ઘટાડા સાથે 76,847ની સપાટીએ બંધ રહ્યો છે. તેમ જ નિફ્ટી 207 પોઈન્ટના ઘટાડા સાથે 23,842ની સપાટીએ બંધ આવ્યો છે. આમ સમગ્રતયા વિચાર કરીએ તો શેરબજાર ક્રેશ મોડમાં નથી. બજાર સાવધાની સાથે રિકવરી કરી રહ્યું છે. પરિણામે જો શાંતિ ચર્ચા સફળ થાય તો શેરબજારમાં તેજી જોવા મળી શકે છે. બીજું, સંઘર્ષ વધે તો શેરબજાર ફરી દબાણ હેઠળ આવી શકે છે. પરંતુ વર્તમાન સંજોગોમાં તેની શક્યતા પણ અત્યારે થોડીક ઓછી જણાય છે.



