ભારતી રૂપિયો અમેરિકી ડૉલર સામે ધીમે ધીમે તૂટી 100 સુધી પહોંચે તો પણ ચિંતા કરવાની જરૂર નથી: નિલેશ શાહ

ભવિષ્યમાં ડૉલર સામે રૂ.100 સુધી પહોંચી શકે છે. જોકે, જો આ ઘટાડો ધીમે અને નિયંત્રિત રીતે થાય તો તે ચિંતા જનક નથી. એક સામટો મોટો ઘટાડો આવે તો તે ચિતાજનક બની શકે છે.
ભારતીય રૂપિયા લાંબા ગાળે નબળો થવાનો માર્ગ પર છે અને ભવિષ્યમાં ડૉલર સામે રૂ.100 સુધી પહોંચી શકે છે. જોકે, જો આ ઘટાડો ધીમે અને નિયંત્રિત રીતે થાય તો તે ચિંતા જનક નથી. એક સામટો મોટો ઘટાડો આવે તો તે ચિતાજનક બની શકે છે. રૂપિયાનું ભાગ્ય નબળું થવાનું જ છે, એમ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહનું કહેવું છે.
તેમનું કહેવું છે કે રૂપિયાની કિંમતમાં ઘટાડો મુખ્યત્વે આર્થિક પરિબળો પર આધારિત છે. ભારતમાં ઊંચી મોંઘવારી અને અન્ય દેશોની તુલનામાં ઓછી ઉત્પાદકતાની સમસ્યા છે. ભારત વિશ્વની સૌથી ઝડપી વૃદ્ધિ પામતી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં, મોંઘવારી ઊંચી છે અને ઉત્પાદકતા ઓછી છે. તેથી વૈશ્વિક સ્પર્ધાત્મકતા જાળવવા માટે રૂપિયા સમયાંતરે એડજસ્ટ થવો જરૂરી છે.
અગાઉ રૂપિયા દર વર્ષે આશરે 7 ટકા જેટલો નબળો થતો હતો, જે હવે ઘટીને લગભગ 4 ટકા થયો છે અને ભવિષ્યમાં કદાચ 2 ટકા સુધી ઘટી શકે છે. આમ લાંબા ગાળે પણ રૂપિયાનો ટ્રેન્ડ નબળાઈ તરફી જ રહેશે.
નિલેશ શાહે જણાવ્યું હતુ કે રૂપિયા એક દિવસ ડૉલર સામે ત્રણ અંક એટલે કે રૂ. 100ને પાર કરી શકે છે. તેની શક્યતા ઘણી જ વધારે છે. પરંતુ જો આ પરિવર્તન ધીમે અને વ્યવસ્થિત રીતે થાય તો તે અર્થવ્યવસ્થાને સ્પર્ધાત્મક બનાવે છે.
બીજીતરફ કૃત્રિમ રીતે રૂપિયાને મજબૂત રાખવાનો પ્રયાસ કરવામાં આવે તો દેશની મૂડ દેશની બહાર જઈ શકે છે. તેમ જ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે. તેમણે ચેતવણી આપી કે ખોટી રીતે કરન્સીને સપોર્ટ કરવાથી ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે.
નાના અને મધ્યમ ઉદ્યોગો પર અસર
ભારતીય રૂપિયો નબળો પડવાથી સ્પર્ધાત્મકતા જળવાઈ રહેતી હોય તો તે સ્વાભાવિક અને સ્વીકાર્ય છે. નાના અને મધ્યમ ઉદ્યોગોએ પણ તેની ખાસ કોઈ વધારાની કાર્યવાહી કરવાની જરૂર નથી. કારણ કે ભારતીય રૂપિયો લાંબા ગાળે નબળો થવાનો ટ્રેન્ડ છે. ટૂંકમાં અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો 100ની સપાટીને આંબી જાય તે નિશ્ચિત છે. પરંતુ તેમાં ધીમો ઘટાડો થાય તો ભારતની અર્થવ્યવસ્થાને માટે ફાયદાકારક બની શકે છે. વિશ્વ બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની સ્પર્ધાત્મકતા જાળવી રાખવી સૌથી મહત્વપૂર્ણ છે



