• 25 April, 2026 - 5:25 AM

સબસિડીઓ અને રાહત અપાતી હોવાથી કૃષિ ઉપજના વેપારમાં ભારતને પહોંચી વળવું કઠિન: અમેરિકા

ભારત અને અમેરિકા સંતુલિત, પરસ્પર લાભદાયક અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વેપાર કરાર તરફ આગળ વધી રહ્યા છે. બંને દેશોની ચિંતાઓ અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને 2030 સુધીમાં $500 અબજનો વેપાર હાંસલ કરવાનો લક્ષ્ય છે

કૃષિ ક્ષેત્રમાં વેપાર રાહતો આપવા બાબતે ભારતને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું છે. ભારતમાં સબસિડીઓ અને રાહત અપાતી હોવાથી વેપારમાં એડવાન્ટેજ રહે છે, એમ અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગ્રીરએ જણાવ્યું છે. તેમણે આ નિવેદન કર્યું ત્યારે બંને દેશોના પ્રતિનિધિઓએ વોશિંગ્ટનમાં ત્રણ દિવસીય ચર્ચાઓ પૂર્ણ થઈ હતી. તેમ જ સત્તાવાર વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા પ્રયાસ ચાલી રહ્યો હતો. બીજીતરફ ભારતે આ ચર્ચાઓ ચાલુ અને રચનાત્મક હોવાનું જણાવ્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલએ મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું હતુ કે બંને પક્ષો સંતુલિત, પરસ્પર લાભદાયક અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વેપાર કરાર તરફ આગળ વધી રહ્યા છે. બંને દેશોની ચિંતાઓ અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને 2030 સુધીમાં $500 અબજનો વેપાર હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય વિભાગના વધારાના સચિવ અને મુખ્ય વાટાઘાટકાર દરપણ જૈન કરી રહ્યા હતા. તેઓ સોમવારથી બુધવાર સુધી અમેરિકામાં રહીને 7 ફેબ્રુઆરીના સંયુક્ત નિવેદનના આધારે કાનૂની કરારને અંતિમ સ્વરૂપ આપવા ચર્ચાઓ કરી રહ્યા છે.

બુધવારે અમેરિકી કોંગ્રેસ સમિતિ સમક્ષ ગ્રીરે જણાવ્યું હતુ કે ભારત લાંબા સમયથી પોતાના કૃષિ બજારને સુરક્ષિત રાખે છે અને હજી પણ તે જાળવી રાખવા માંગે છે. તેમણે ઉમેર્યું હતુ કે ચર્ચાઓમાં નીચેના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તેમાં પશુઆહાર માટેના સોયાબિનના ખોળ અને ઇથેનોલને મુદ્દે વિશેષ ચર્ચા થઈ હતી.

ભારતને પહોંચવું અમેરિકા માટે કઠિન છે. કારણ કે ભારતમાં 50થી વધુ લોકો કૃષિ પર આધારિત આવક મેળવી રહ્યા છે. તેમને લગતી કોઈપણ બાબતનો નિર્ણય રાજકીય રીતે સંવેદનશીલ બની જાય છે. તેથી જ લઘુતમ ટેકાના ભાવની સિસ્મટ લાવવામાં આવી છે. તેથી જ આ સેક્ટરનું બજાર વિશ્નના અન્ય દેશો માટે સરકાર સરળતાથી ખોલી શકતી નથી.

વેપાર કરારના મુખ્યા મુદ્દા

સંયુક્ત નિવેદન અનુસાર ભારતે કેટલીક બાબતો માટે સંમતિ દર્શાવી છે. તેમાં અમેરિકન ઔદ્યોગિક માલ પર ટેરિફ ઘટાડવાની માગણીનો સમાવેશ થાય છે. તેમ જ કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો પર શુલ્ક ઘટાડવાની પણ માગણી કરવામાં આવી છે. તેમાં ડીડીજી, લાલ જુવાર, ડ્રાય ફ્રૂટ્સ, તાજાં અને પ્રોસેસ કરેલા ફળ, સોયાબિનનું તેલ અને વાઈન અને સ્પિરિટ્સનો સમાવેશ ભારતે આ કરાર માટે કર્યો છે.

ભારતનો પ્રયાસ છે કે તેને અમેરિકી બજારમાં મળેલો ટેરિફનો લાભ જળવાઈ રહે. ભાર અને અને અમેરિકા વચ્ચેના પ્રસ્તુત કરાર મુજબ ટેરિફ 25 ટકા થી ઘટાડીને 18 ટકા કરવાના હતા. રશિયન તેલ ખરીદવા બદલનો 25% દંડ ટેરિફ હટાવ્યો હતો. આ 18 ટકાનો ટેરિફ ભારતના સ્પર્ધકો કરતા ઓછો હતો.

અમેરિકી કોર્ટના ચૂકાદાથી અવરોધ

વીસમી ફેબ્રુઆરીએ અમેરિકી સુપ્રીમ કોર્ટએ અગાઉ જાહેર કરાયેલા ટેરિફને અમાન્ય ઠેરવ્યા હતા. ત્યારબાદ અમેરિકાએ તમામ આયાત પર 10% ડ્યૂટી લગાવી હતી. ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ તપાસ શરૂ કરી હતી. કલમ 301 હેઠળ અમેરિકા કોઈ મર્યાદા વિના ટેરિફ લગાવી શકે છે. છતાં ભારત હજુ પણ ચર્ચા ચાલુ રાખી રહ્યું છે કારણ કે વધુ ટેરિફ લાગવાની શક્યતા ટાળવી છે. તેમ જ અનુકૂળ વેપાર શરતો મેળવવી છે. સમગ્રતયા કૃષિ ક્ષેત્રમાં ભારતનો રક્ષણવાદ અમેરિકાને પડકારરૂપ બની રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે હજુ ચર્ચા ચાલુ જ છે. ભારત સરકાર અમેરિકા સાથે 2030ની સાલ સુધીમાં $500 અબજ વેપાર કરવાનું લક્ષ્ય ધરાવે છે.

હવે સવાલ એ છે કે ભારત ને અમેરિકા વચ્ચે વેપાર કરાર થાય તો ગુજરાતના ખેડૂતો અને ભારતના ખેડૂતો પર કેવી અસર પડી શકે છે. તેને માટે મહત્વનો મુદ્દો અમેરિકાથી થનારી સસ્તી આયાતની સ્થાનિક ખેડૂતો પર કેવી અસર પડશે તે જોવાનું રહે છે. અમેરિકાથી આવનારા સસ્તા માલ સામે સ્થાનિક ખેડૂતો કેવી રીતે સ્પર્ધા કરશે તે જોવાનું છે. સ્થાનિક ખેડૂતોએ તેમનો માલ સસ્તામાં વેચવો પડશે.

સોયાબિનના ખેડૂતો

ભારત અમેરિકાના કરારની સૌથી મોટી અસર સોયાબિન અને તેલીબિયા પર પડશે. અમેરિકાનું સોયાબીન સસ્તુ  છે. તેથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રને તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. ખેડૂતોને ઓછો ભાવ મળે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે. ઓઈલ મિલ-તેલ મિલના ઉદ્યોગ પર દબાણ વધી શકે છે.

મકાઈના ખેડૂતો

ભારત અમેરિકા વચ્ચેના વેપાર કરારની મકાઈને ખેતી કરનાર ખેડૂતો પર અસર પડશે. મકાઈ પર પ્રોસેસ કર્યા પછી નીકળતા અત્યંત પોષક પશુઆહાર ડીડીજી સસ્તો થઈ જશે. બીજું, વિદેશથી મકાઈ આવતા સ્થાનિક મકાઈની માંગ ઘટશે. પશુપાલન ઉદ્યોગ આયાત તરફ વળી શકે છે.

બાગાયતી ખેતી કરનારા ખેડૂતો પર અસર

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારને કારણે અમેરિકન ફળો અને ડ્રાયફ્રૂટ્સ સસ્તા થશે. ભારતના સ્થાનિક પ્રોસેસિંગ ઉદ્યોગને સ્પર્ધાનો સામનો કરવો પડશે.  ગુજરાત અને ભારતના કપાસના, મરી-મસાલાના, ઓર્ગેનિક ખેતી કરીને પ્રોડક્ટ્સ તૈયાર કરનારા ખેડૂતોને જબરદસ્ત ફાયદો થશે. તેમને માટે નિકાસના નવા દરવાજા ખૂલી જશે. નિકાસનું મોટું બજાર તેમને મળશે. રાસાયણિક ખાતરથી પકવવામાં આવતા પાક અનેક પ્રકારની બીમારી લાવતા હોવાથી હવે ધીમે ધીમે લોકો તેનાથી વિમુખ થઈને ઓર્ગેનિક ઉપજ તરફ વળવા માંડ્યા છે. જોકે ખેડૂતો ઓર્ગેનિકનું પ્રમાણપત્ર ન મેળવે તો તેના પ્રોડક્ટ્સ ઓર્ગેનિક હોવાનું કોઈ માનશે નહિ. ઓર્ગેનિકના પ્રમાણપત્ર આપવા ભારત સરકારની કચેરી અમદાવાદમાં અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં સક્રિય છે.

કોને નુકસાન થઈ શકે

ભારત ને અમેરિકા વચ્ચે કરાર થાય તો ગુજરાત અને ભારતના ખાદ્યસામગ્રીનું પ્રોસેસિંગ કરીને મૂલ્ય વૃદ્ધિ કરતાં ઉદ્યોગ પર ખાસ્સુ દબાણ આવી શકે છે. ઓઈલ મિલોએ વધારાની સ્પર્ધાનો સામનો કરવો પડશે. તેમ જ પશુઆહારના ઉદ્યોગને પણ નુકસાન સહન કરવું પડી શકે છે. અદાણી વિલ્માર લિમિટેડ પર તેની અવળી અસર પડી શકે છે. હા, નિકાસ પર જ ફોકસ કરતી કંપનીઓને ખાસ્સો ફાયદો પણ થશે. ભારત-અમેરિકાના કરારને કારણે તેમના પ્રોડક્ટ્સને વધુ સરળતાથી અમેરિકાના બજારમાં એન્ટ્રી મળી જશે. આયાત સસ્તી થઈ જતાં સ્થાનિક કંપનીઓના માર્જિન દબાણ હેઠળ આવી જાય તેવી સંભાવના રહેલી છે. ભારત અને અમેરિકા વચ્ચેના કરારની તો શેરબજાર પર પણ અસર પડી શકે છે. તેનો લાભ આઈટીસી લિમિટેડ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ જેવી કંપનીઓને ફાયદો થશે. એગ્રો પ્રોસેસિંગને કારણે ગુજરાત અમ્બુજા એક્સપોર્ટ લિમિટેડને પણ ખાસ્સો ફાયદો થવાની સંભાવના છે. તેમની નિકાસ વધી શકે છે.

ખેડૂતોએ શું કરવું જોઈએ

આ સ્થિતિમાં ખેત ઉપજને સીધી વેચી દેવા કરતાં ખેડૂતોના સમુહે એક થઈને તેમના પ્રોડક્ટ્સના મૂલ્યવર્ધન પર ફોકસ કરીને ત્યારબાદ તેને માર્કેટમાં વેચવાનું આયોજન કરવું જોઈએ. તેમ જ ખેડૂતો સીધી નિકાસ કરનારાઓ સાથે પણ સોદો કરી શકે છે. તેમ જ ફૂડ પ્રોસેસિંગના એકમો સાથે જોડાઈને તેમને પોતાની ઉપજ આપી શકે છે. માત્ર એક જ પાક લઈને તેના પર નિર્ભર ન રહે તે જોવું જરૂરી છે. આંતરપાક કરીને આવક વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

ગુજરાતના ખેડૂતો મગફળીની ખેતી કરીને તેમાં મૂલ્ય વર્ધન કરવાનું આયોજન કરી શકે છે. તેમાંથી તેલ કાઢી શકાય છે. તેમ જ પીનટ બટર પણ બનાવી શકાય છે. પીનટ બટરની સ્થાનિક બજારમાં અને નિકાસના બજારમાં જોરદાર ડિમાન્ડ છે. માત્ર મગફળી વેચવા કરતાં ઘણી વધારે આવક થઈ શકશે. વિદેશમાં તેની બહુ જ ડિમાન્ડ છે. ગુજરાત ગ્લોબલ લીડર બની શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે કરાર થયા પછી ભારતની કૃષિ ઉપજની નિકાસ ખાસ્સી વધી જવાની સંભાવના છે.

શાકભાજીમાં બ્રોકોલી, કેપ્સિકમ-ભોલર મરચાં, એક્ઝોટિક વેજિટેબલની ખેતી લાભદાયક બની શકે છે. આ પ્રોડક્ટ્સની સીધી નિકાસ નિકાસ કરવાથી વધુ લાભ મળશે. મકાઈ અને સોયાબિનના પાક લેતા પહેલા વિચાર કરજો. આયાત વધી જશે તો તેના ભાવ તૂટી જવાની સંભાવના રહેલી છે.

ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સ શું છે?

ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સ એ મકાઈમાંથી ઇથેનોલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન મળતી એક આડપેદાશ છે. આ આડપેદાશ પોષક તત્વોથી ભરપૂર છે. ઇથેનોલ બનાવ્યા પછી બચેલા મિશ્રણને અલગ પાડીને, તેને ઉકાળી અને સુકવીને ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સ  તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ પશુ આહાર તરીકે કરવામાં આવે છે. તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેના થકી થતી આવક ઇથેનોલ ઉત્પાદનનો કુલ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ બને છે. ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સનો ઉપયોગ સામાન્ય ગાય, દૂધાળ ગાયના આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સ્ટાર્ચને ઇથેનોલમાં રૂપાંતરિત કરીને અને ડિસ્ટિલેશન કર્યા પછી બાકી રહેલા “હોલ સ્ટિલેજ”ને સેન્ટ્રીફ્યુજ દ્વારા બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક ભાગમાં ભીનું અનાજ અને બીજાભાગમાં અનાજ મિશ્રિત પ્રવાહી રહે છે. પાતળાં પ્રવાહીને ને ઉકાળી અને બાષ્પીભવન કરીને ગાઢ સિરપમાં ફેરવવામાં આવે છે. આ સિરપને ફરીથી ભીના અનાજ સાથે મિક્સ કરીને સુકવવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સ તૈયાર થાય છે. આ પ્રક્રિયામાં ભેજ ઘટાડીને તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે. ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સમાં ભેજનું પ્રમાણ 15 ટકા કરતાં ઓછું રાખવું જોઈએ, નહિતર તે બગડી શકે છે. ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સમાં પ્રોટીન, ચરબી (fat) અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે, જેના કારણે પશુઓ માટે ખૂબ જ પોષણદાયક છે. ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સનો હળવો પીળો અથવા સોનેરી રંગ હોય તો તેને ઊંચી ગુણવત્તા ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સ ગણવામાં આવે છે. તેનો રંગ ઘેરો અથવા બળી ગયેલા આહાર જેવો થાય તો તેની ગુણવત્તા નબળી હોવાનું કહી શકાય છે. ડિસ્ટીલર્સ ડ્રાઈડ ગ્રેઈન્સ ઇથેનોલ પ્લાન્ટ માટે મહત્વપૂર્ણ આવકનો સ્ત્રોત બન્યો છે. કૃષિ અને પશુપાલન ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ચારા તરીકે ઉપયોગમાં લેવાય છે.

 

 

Read Previous

મોરબીના તમામ ૭૦૦ એકમ મે માસમાં ધમધમશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular