રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં ગુરૂવારે 5 ટકાનું ગાબડું પડ્યું, હજી ભાવ વધુ તૂટી શકે
સેબીએ શરૂ કરેલી કાર્યવાહીને પગલે ગુરુવારે રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો અને શેર લોઅર સર્કિટમાં લગાડવી પડી
રાજેશ એક્સપોર્ટે નિકાસના આંકડાઓ બતાવવામાં અતિરેક કર્યો હોવાના આક્ષેપ સાથે શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ શરૂ કરેલી કાર્યવાહીને પગલે ગુરુવારે રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો અને શેર લોઅર સર્કિટમાં લગાડવી પડી હતી.
રાજેશ એક્સપોર્ટના શેરનો ભાવ મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં 4.99 ટકા ઘટીને રૂ. 104.65 પર આવી ગયો હતો. તેમ જ નેશનલ સ્ટોક એક્સચેન્જ-NSEમાં તેના શેરનો ભાવ 4.99 ટકા ઘટીને રૂ. 103.92 પર આવી ગયો હતો. જોકે સેબીના આક્ષેપોના સંદર્ભમાં રાજેશ એક્સપોર્ટ્સે નીચે મુજબનું સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે:
સેબીનો આદેશ વચગાળાનો છે અને હજુ સુધી કોઈ અંતિમ પ્રતિકૂળ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું નથી. કંપની દ્વારા જાહેર કરાયેલી આવક સંપૂર્ણપણે સાચી છે અને આવકને વધારીને દર્શાવવામાં આવી નથી. સેબી અને કંપની વચ્ચે માહિતીની આપ-લે કરવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોવાથી કે પછી ગેરસમજને કારણે સમસ્યા ઊભી થઈ હોવાનું જણાય છે.
કંપની જરૂરી અને સંબંધિત તમામ દસ્તાવેજો સેબીને સોંપીને દરેક મુદ્દે સ્પષ્ટતા કરવાની પ્રક્રિયામાં છે. કંપનીને વિશ્વાસ છે કે સેબી તમામ પ્રમાણિત દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ યોગ્ય અને સાચા નિષ્કર્ષ પર પહોંચશે.
2022માં રાજેશ એક્સપોર્ટ્સને પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ અપાયો
ભારત સરકાર દ્વારા 2022માં કુલ ચાર કંપનીઓને પ્રોત્સાહન (ઇન્સેન્ટિવ) માટે પસંદ કરવામાં આવી હતી. આ ચાર કંપનીઓમાં રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ, ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ, હ્યુન્ડાઈ ગ્લોબલ મોટર્સ કંપની લિમિટેડ અને રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડનો સમાવેશ થાય છે.
કર્ણાટકના બેંગલુરુ સ્થિત બહુરાષ્ટ્રીય સોનાના દાગીનાના રિટેલર અને રિફાઇનર રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ (REL) અને તેના પ્રમોટર-CEO રાજેશ મહેતા બુધવાર સાંજથી ચર્ચામાં છે તેમાં ગુરુવારે તેમની કંપનીના શેર્સમાં ગાબડાં પડતાં શેરબજારમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા હતા. શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે સૌથી મોટા કથિત આવક અંગે ગેરરજૂઆતના કેસોમાંના એક રાજેશ એક્સપોર્ટ્સના હિસાબોમાં કુલ લગભગ ₹15.15 લાખ કરોડના હિસાબો મળતા ન હોવાનું સામે આવ્યું છે.
તેથી ત્રીજી જૂનના રોજ સેબીએ કંપની અને તેના પ્રમોટર સામે કાર્યવાહી કરીને કંપનીના શેરોમાં વ્યવહાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સેબીનો આરોપ છે કે નાણાકીય હિસાબોમાં મોટા પાયે ગેરરજૂઆત કરવામાં આવી હતી અને નાણાંનું ગેરમાર્ગે વળતર કરવામાં આવ્યું હતું.
રસપ્રદ બાબત એ છે કે રાજેશ એક્સપોર્ટ્સ એ જ કંપની છે જેને 2022માં એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) બેટરી સ્ટોરેજ માટેની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ પસંદ કરવામાં આવી હતી. આ કંપનીઓને ભારતમાં બેટરી સેલ ઉત્પાદન વધારવા માટેની ₹18,100 કરોડની યોજના હેઠળ પ્રોત્સાહન મળવાનું હતું. પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ-PLIની યોજના હેઠળ 50 GWh બેટરી ક્ષમતાનું વિતરણ ચાર સફળ બોલીદારોને કરવામાં આવ્યું હતું. 24 માર્ચ, 2022ના નક્કી થયા મુજબ ઉત્પાદન એકમ બે વર્ષની અંદર સ્થાપવાનું હતું અને ભારતમાં ઉત્પાદિત બેટરીના વેચાણના આધારે પ્રોત્સાહન આપવામાં આવવાનું હતું. તેમાં સ્થાનિક મૂલ્યવર્ધન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારે ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા મુજબ, પ્રાપ્ત થયેલી 10 બોલીઓમાંથી 9 કંપનીઓ લાયકાતની તમામ શરતો પૂર્ણ કરતી હોવાનું જણાયું હતું. ત્યારબાદ 17 માર્ચ, 2022ના રોજ પારદર્શક વૈશ્વિક ટેન્ડર પ્રક્રિયા હેઠળ ટેકનિકલ મૂલ્યાંકનના પરિણામો જાહેર કર્યા પછી નાણાકીય બોલીઓ ખોલવામાં આવી હતી.
સેબીએ રાજેશ એક્સપોર્ટને કરેલા આદેશ
નાણાકીય હિસાબો, સંબંધિત પક્ષો સાથેના વ્યવહારો અને અન્ય જાહેરખબરો અંગે સાચી અને પારદર્શક માહિતી જાહેર કરવાની રહેશે. લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ (LODR) નિયમોનું પાલન કરવું પડશે. સેબીએ જણાવ્યું છે કે તપાસ દરમિયાન નાણાકીય હિસાબોમાં ગેરરજૂઆત તેમજ વ્યક્તિગત ખાતાઓ અને સંબંધિત સંસ્થાઓ મારફતે પૂરતા ખુલાસા અથવા આધારભૂત દસ્તાવેજો વિના નાણાંના હેરફેરના કિસ્સાઓ સામે આવ્યા છે.
રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ બેન્ગ્લુરુ સ્થિત કંપની છે. તેના માલિક રાજેશ જશવંતરાય મહેતા છે. તેઓ મૂળ ગુજરાતી છે. રાજેશ એક્સપોર્ટ સોનાના રિફાઇનિંગ, જ્વેલરી ઉત્પાદન અને રિટેલ વ્યવસાયમાં કાર્યરત છે. કંપનીની શરૂઆત 1989માં થઈ હતી અને બાદમાં તે ભારતની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનિંગ અને જ્વેલરી કંપનીઓમાંની એક બની ગઈ છે. કંપનીના સ્થાપક અને મુખ્ય પ્રમોટર રાજેશ જશવંતરાય મહેતા છે.
રાજેશ મહેતાએ નાના જ્વેલરી વેપારથી શરૂઆત કરીને રાજેશ એક્સપોર્ટ્સને વૈશ્વિક ગોલ્ડ વ્યવસાયમાં મોટી કંપની તરીકે વિકસાવી હતી. હાલમાં તેઓ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. કંપનીના સહસ્થાપક અને પ્રમોટર પ્રશાંત મહેતા, સુરેશ કુમાર સરોજઅમ્મા લિન્ગે ગોવડા તેના મેનજિંગ ડાયરેક્ટર છે.
રાજેશ એક્સપોર્ટ્સ સોનાનું રિફાઇનિંગ કરે છે. સોનાના દાગીના બનાવે છે. ભારત તથા વિદેશમાં જ્વેલરી વેચે છે. તેમ જ શુભ જ્વેલર્સના બ્રાન્ડનેમ હેઠળ રિટેઈલ શૉરૂમ ચલાવે છે. તદુપરાંત સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ગોલ્ડ રિફાઇનર વાલકામ્બી એસએ સાથે સંકળાયેલ કંપની છે અને વિશ્વસ્તરે ગોલ્ડનો વ્યવસાય ધરાવે છે.
હાલની વિવાદાસ્પદ સ્થિતિ
સેબીએ રાજેશ એક્સપોર્ટ્સ સામે રૂ. 15.15 લાખ કરોડની કથિત આવક ગેરરજૂઆત, નાણાકીય ખુલાસામાં ખામી હોવાનો અને ફંડ ડાયવર્ઝનના આરોપો સાથે સેબીએ વચગાળાની કાર્યવાહી કરી છે. જોકે કંપનીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને મામલો હજુ અંતિમ નિર્ણય સુધી પહોંચ્યો નથી.
રાજેશ મહેતાનું સફરનામું: નાની શરૂઆતથી વૈશ્વિક ગોલ્ડ બિઝનેસ સુધી
રાજેશ મહેતાનો જન્મ ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. તેમણે ખૂબ જ નાની ઉંમરે સોના અને દાગીનાના વેપાર સાથે જોડાણ કર્યું હતું. 1980ના દાયકામાં તેમણે મર્યાદિત મૂડી સાથે જ્વેલરીના વેપારની શરૂઆત કરી હતી. તેમની વ્યવસાયિક દૃષ્ટિ અને જોખમ લેવાની ક્ષમતાના કારણે તેમણે ધીમે ધીમે સ્થાનિક વેપારમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કર્યો હતો
તેમણે 1989માં રાજેશ એક્સપોર્ટ લિમિટેડની સ્થાપના કરી. શરૂઆતમાં કંપની સોનાના દાગીનાની નિકાસ કરતી હતી, પરંતુ બાદમાં તેણે ગોલ્ડ રિફાઇનિંગ, જ્વેલરી ઉત્પાદન અને રિટેલ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો. કંપનીએ યુરોપ, મધ્યપૂર્વ અને અમેરિકા જેવા બજારોમાં પોતાની હાજરી મજબૂત બનાવી.
રાજેશ મહેતાની સૌથી મોટી સફળતાઓમાંની એક સ્વિટ્ઝર્લેન્ડની પ્રખ્યાત ગોલ્ડ રિફાઇનિંગ કંપની વાલકામ્બિ એસએનું એક્વિઝિશન હતું. આ સોદા બાદ રાજેશ એક્સપોર્ટ્સ વિશ્વના સૌથી મોટા સોના પ્રોસેસિંગ અને રિફાઇનિંગ જૂથોમાં સામેલ થઈ ગઈ હતી. એક સમય એવો આવ્યો કે કંપનીનો વાર્ષિક ટર્નઓવર અનેક લાખ કરોડ રૂપિયાને પાર ગયો હતો અને તે ભારતની સૌથી વધુ આવક દર્શાવતી કંપનીઓમાં ગણાતી હતી.


