નેશનલ પેન્શન સ્કીમ હેઠળ હવે રિટાયરમેન્ટ ઇન્કમ સ્કીમ રજૂ કરવામાં આવી

નેશનલ પેન્શન સ્કીમ હવે મ્યુચ્યુઅલ ફંડ અને પ્રોવિડન્ટ ફંડ જેવી વિશેષતાઓ ધરાવતું એક ઓછા ખર્ચાળ અને બજાર સાથે જોડાયેલું રોકાણ પ્લેટફોર્મ છે. ૧૮ થી ૮૫ વર્ષની વ્યક્તિ નેશનલ પેન્શન સ્કીમમાં જોડાઈ શકે છે
પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી-PFRDAએ નેશનલ પેન્શન સ્કીમ NPS હેઠળ નવી ‘રિટાયરમેન્ટ ઇન્કમ સ્કીમ (RIS) રજૂ કરવામાં આવી છે. આ યોજના બે અલગ-અલગ ઉપાડ વિકલ્પો દ્વારા નિયમિત આવક મેળવવાની તક આપે છે. જો તમે નિયમિત બચત અને સમજદારીપૂર્વકનું રોકાણ કરવાની ટેવ ધરાવતા હો, તો નિવૃત્તિ માટે મોટું ભંડોળ તૈયાર કરવું મુશ્કેલ નથી. પરંતુ નિવૃત્તિ આયોજનનું આ માત્ર અડધું કામ છે. બાકીનું મહત્વનું કામ નિવૃત્તિ પછી આ ભંડોળને નિયમિત આવકમાં ફેરવવાનું હોય છે.
વરસોથી નેશનલ પેન્શન સ્કીમ હેઠળ નિવૃત્તિ યોજના મુખ્યત્વે બચત અને ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા પર આધારિત છે. કર્મચારી નિયમિત બચત કરે અને નિવૃત્તિ સમયે કુલ ભંડોળમાંથી 60 ટકા રકમ એક સાથે ઉપાડી શકે છે. તેમાંથી બચતા બાકીના 40 ટકા નાણાં ફરજિયાત રીતે એન્યુઇટી (પેન્શન) યોજનામાં રોકવા પડે છે. આ 40 ટકા નાણાં બહુધા વીમા કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તાજેતરમાં એક સામટો ઉપાડ કરવાની રકમ 60 ટકાથી વધારીને 80 ટકા કરી આપવામાં આવી છે.
15 મે, 2026ના રોજ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ NPS સબ્સ્ક્રાઇબર્સને આ 80 ટકા રકમ એક સામટી ઉપાડવાની છૂટ આપીને તે રકમને નવી યોજના હેઠળ એન્યુઇટાઇઝ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. આ યોજનાનું નામ રિટાયરમેન્ટ ઇન્કમ સ્કીમ (RIS Steady) છે અને તેમાં બે પ્રકારના ઉપાડના વિકલ્પો આપવામાં આવ્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે ભંડોળ રોકાયેલું રહે અને તેના પર વળતર મળતું રહે તે જોવાનો છે. તેની સાથે જ નિવૃત્તિને સમયે નિયમિત આવક પણ મળતી રહે તે જોવાનો પણ છે.
પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીના પરિપત્ર અનુસાર આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્તિ પછીની ચૂકવણી અવધિ દરમિયાન સમયાંતરે મળતી આવકને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. સતત રોકાણ દ્વારા ભંડોળમાં વૃદ્ધિ ચાલુ રહે, રોકડ પ્રવાહની આગાહી સરળ બને અને ઉપાડની મુદત પૂરી થાય તે પહેલાં ભંડોળ સમાપ્ત થવાનું જોખમ ઘટે તે માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે.
હાલની SLW યોજના
હાલમાં NPSમાં સિસ્ટેમેટિક લમ્પસમ વિથડ્રૉઅલ (SLW) નામની યોજના પહેલેથી ઉપલબ્ધ છે. તેમાં નિવૃત્તિ પછી હપ્તાવાર રકમ મેળવી શકાય છે. ઉપાડની રકમ વય અથવા પસંદ કરેલી રકમના આધારે નક્કી થાય છે. બાકીનું ભંડોળ નેશનલ પેન્શન સ્કીમમાં જ રોકાયેલું રહે છે. RIS આથી અલગ છે. તેનો હેતુ ફુગાવા સામે રક્ષણ આપવાનો અને નિયંત્રિત રીતે ઇક્વિટી રોકાણ ઘટાડવાનો છે.
RIS Steady શું છે?
આ યોજના NPSની લાઇફ-સાયકલ ફંડ જેવી જ છે, જેમાં ઉંમર વધતાં ઇક્વિટીમાં રોકાણનો હિસ્સો ધીમે ધીમે ઘટતો જાય છે.
- 60 વર્ષની ઉંમરે ઇક્વિટી રોકાણ : 35 ટકા
- 75 વર્ષની ઉંમરે ઘટીને : 10 ટકા
- 75થી 85 વર્ષની ઉંમર સુધી : 10 ટકા જ રહેશે
બાકીનું રોકાણ કોર્પોરેટ બોન્ડ, સરકારી સિક્યોરિટીઝ અને અન્ય એસેટ ક્લાસમાં કરવામાં આવશે. આ પૂર્વનિર્ધારિત એસેટ એલોકેશનથી મૂડીનું રક્ષણ થશે અને ઇક્વિટી દ્વારા વૃદ્ધિની સંભાવના પણ જળવાઈ રહેશે.
સિસ્ટમેટિક પેઆઉટ રેટ
સિસ્ટેમેટિક પેઆઉટ રેટની આ યોજનાનો ડિફોલ્ટ વિકલ્પ છે. તેમાં ઉપાડની રકમ સબ્સ્ક્રાઇબરની હાલની ઉંમર અને બાકી રહેલા ડ્રોડાઉન વર્ષોના આધારે નક્કી થાય છે. ચુકવણી વર્તમાન કોર્પસની ટકાવારી તરીકે કરવામાં આવે છે.
SPRની ગણતરીનું સૂત્ર: SPR = 1 ÷ (ડ્રોડાઉન અંતિમ ઉંમર – વર્તમાન ઉંમર) ટકામાં છે. જો કોઈ વ્યક્તિ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય અને 85 વર્ષ સુધી ઉપાડ પસંદ કરે, તો શરૂઆતમાં 25 વર્ષ બાકી હોવાથી પ્રથમ વર્ષનો ઉપાડ દર 4 ટકા રહેશે. દર વર્ષે જન્મદિવસે બજાર મૂલ્ય પ્રમાણે આ દર ફરીથી નક્કી કરવામાં આવશે.
સિસ્ટેમેટિક યુનિટ રિડેમ્પશન
આ ડિફોલ્ટ વિકલ્પ નથી. જો યોગ્ય લાગે તો ખાસ પસંદ કરવો પડશે. આમાં શરૂઆતમાં નક્કી કરેલી સંખ્યાના યુનિટ દર મહિને, ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે વેચવામાં આવશે. યુનિટોની સંખ્યા સ્થિર રહેશે પરંતુ મળતી રોકડ રકમ બજાર મૂલ્ય મુજબ બદલાતી રહેશે. દર સમયગાળાના યુનિટ = શરૂઆતના કુલ યુનિટ ભાગ્યા(÷) (ડ્રોડાઉન સમયગાળો × ચૂકવણી આવર્તન)ના સૂત્રને આધારે તેમાં વળતર આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 60 વર્ષની ઉંમરે 80 લાખ રૂપિયાનું કોર્પસ ધરાવતા નિવૃત્ત વ્યક્તિએ 85 વર્ષની ઉંમર સુધી માસિક ઉપાડ પસંદ કર્યો હોય તો દર મહિને લગભગ 2,666.67 યુનિટના વર્તમાન મૂલ્ય જેટલી રકમ મળશે.
શું આ યોજના તમારા માટે યોગ્ય છે?
ગેરંટી સામે જોખમ પણ છે. SLWમાં નિશ્ચિત રકમ મળે છે, પરંતુ તેમાં વૃદ્ધિ મર્યાદિત હોઈ શકે છે અને તે ફુગાવાને હરાવવામાં નિષ્ફળ જઈ શકે છે.સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અનુજ કેસરવાણીના જણાવ્યા મુજબ, ગેરંટીવાળી આવકનું પોતાનું નુકસાન છે કારણ કે મૂડી સ્થિર આવકવાળા સાધનોમાં રોકાય છે, જે લાંબા ગાળે ફુગાવાનો સામનો કરી શકતા નથી અને મૂડી ધીમે ધીમે ઘટી શકે છે.
RISમાં ઇક્વિટી હોવાથી વૃદ્ધિની તક છે, પરંતુ બજાર જોખમ પણ છે. PFRDAએ સ્પષ્ટ જણાવ્યું છે કે નિયમિત ચૂકવણી અંગે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી અને તમામ ચૂકવણીઓ બજારના જોખમને આધીન રહેશે. RIS એવા લોકો માટે યોગ્ય છે જે મિશ્ર અભિગમ અપનાવવા માંગે છે. કોર્પસનો એક ભાગ એન્યુઇટીમાં રાખીને ગેરંટીવાળી આવક મેળવી શકાય અને બાકીની રકમ RIS હેઠળ રોકાણમાં રાખીને બજાર આધારિત વૃદ્ધિ મેળવી શકાય. જેઓ સંપૂર્ણપણે નિશ્ચિત આવક ઇચ્છે છે તેઓ માટે એન્યુઇટી વધુ યોગ્ય હોઈ શકે છે. RIS આવ્યા પછી પણ તેઓ ફરજિયાત 20 અથવા 40 ટકા કરતાં વધુ રકમ એન્યુઇટીમાં મૂકી શકે છે.
મધ્યમાં બહાર નીકળવાની સુવિધા
RISમાં વચ્ચે જ બહાર નીકળવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. બાકી રહેલી રકમ એકસામટી ઉપાડી શકાય છે અથવા એન્યુઇટીમાં ટ્રાન્સફર કરી શકાય છે. પરંપરાગત એન્યુઇટીમાં એકવાર રોકાણ કર્યા પછી મૂળ મૂડી પાછી ઉપાડી શકાતી નથી. સબ્સ્ક્રાઇબર કોઈપણ સમયે RISમાંથી બહાર આવીને બાકી રકમ એકમુષ્ટ ઉપાડી શકે છે. એન્યુઇટીમાં આવી સુવિધા ઉપલબ્ધ નથી. સરકારી યોજનાઓમાં સૌથી મોટું જોખમ નિયમોમાં ફેરફાર થવાનું હોય છે. નિયમો કોઈપણ સમયે બદલાઈ શકે છે. તેથી સમગ્ર નિવૃત્તિ ભંડોળ માત્ર એક જ યોજનામાં રાખવાની સલાહ આપવામાં આવતી નથી. 75 વર્ષની ઉંમર પછી ઇક્વિટી માત્ર 10 ટકા રહે છતાં જો લાંબા સમય સુધી શેરબજારમાં મંદી રહે તો દર વર્ષે SPR ફરી નક્કી થવાના કારણે કોર્પસનું મૂલ્ય ઘટી શકે છે.
લાંબા ગાળાની યોજના માટે યોગ્ય
નિવૃત્તિ પછી રોકડની જરૂરિયાત કેટલી અને ક્યારે પડશે તે ધ્યાનમાં રાખીને યોગ્ય યોજના પસંદ કરવી જોઈએ. RIS દ્વારા કોર્પસનો એક ભાગ NPSમાં જ રાખીને તબક્કાવાર ઉપાડ કરી શકાય છે અને ઉંમર વધતા ઇક્વિટીનું પ્રમાણ આપમેળે ઘટતું હોવાથી જોખમ પણ ધીમે ધીમે ઓછું થાય છે. ઘણા નિવૃત્ત લોકો માટે અલગથી ઇક્વિટી રોકાણ સંભાળવું મુશ્કેલ હોઈ શકે છે. RISમાં આ કામગીરી વ્યાવસાયિક ફંડ મેનેજરો દ્વારા કરવામાં આવે છે.
સરળતા અને નિયંત્રણ
આ યોજના એવા લોકો માટે વધુ યોગ્ય છે જેઓ પોતાના પૈસા પર નિયંત્રણ જાળવી રાખવા માંગે છે, સરળ રોકાણ માળખું પસંદ કરે છે, તેમની પાસે પૂરતું મૂડીભંડોળ છે અને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ ધરાવે છે. હાલમાં આ નવી ડ્રોડાઉન યોજના અને ઉપાડના વિકલ્પોની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જરૂરી ઓપરેશનલ માળખું તૈયાર થયા બાદ જ તેનો અમલ શરૂ થશે. ત્યાં સુધી NPS સબ્સ્ક્રાઇબર્સ પોતાની જરૂરિયાતો અને નિવૃત્તિ આયોજનને ધ્યાનમાં રાખીને આ યોજનાની યોગ્યતા અંગે વિચાર કરી શકે છે.
આઈઆરએસના ફાયદા
પૈસા NPSમાં રોકાયેલા રહેતાં હોવાથી વૃદ્ધિ મળવાની શક્યતા રહેલી છે. મોંઘવારી સામે રક્ષણ મળી શકે છે. વચ્ચે જરૂર પડે તો યોજના છોડીને બાકી કોર્પસ ઉપાડી શકાય અથવા પેન્શન માટેના ફંડમાં ટ્રાન્સફર કરી શકાય છે. તેનું સંચાલન પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. તેના ગેરફાયદા પણ છે. તેમાં થોડું ગણું જોખમ પણ છે. એક, પેઆઉટ ગેરંટીવાળો નથી. છેલ્લે કેટલા પૈસા મળશે તેની કોઈ ગેરન્ટી નથી. શેરબજાર ઘટે તો કોર્પસનું મૂલ્ય ઘટી શકે છે. શેરબજારમાં મોટો કડાકો બોલી જાય તો માઈનસમાં પણ જઈ શકે છે. તમે વરસોથી કરેલી બચત પર પાણી ફરી વળવાની સંભાવના રહેલી છે. પેન્શન ફંડની માફક જેવી નિશ્ચિત માસિક પેન્શન મળતું નથી.
નવી પેન્શન સ્કીમમાં એ એક ‘ડિફાઈન્ડ-કોન્ટ્રિબ્યુશન’ નિવૃત્તિ બચત યોજના છે. ૨૦૦૪માં સરકારી કર્મચારીઓ માટે શરૂ થયેલી આ યોજના ૨૦૦૯માં તમામ નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. નેશનલ પેન્શન સ્કીમ હવે મ્યુચ્યુઅલ ફંડ અને પ્રોવિડન્ટ ફંડ જેવી વિશેષતાઓ ધરાવતું એક ઓછા ખર્ચાળ અને બજાર સાથે જોડાયેલું રોકાણ પ્લેટફોર્મ છે. ૧૮ થી ૮૫ વર્ષની વ્યક્તિ નેશનલ પેન્શન સ્કીમમાં જોડાઈ શકે છે. નેશનલ પેન્શન સ્કીમના બે તબક્કા છે.
પહેલા તબક્કામાં ધનરાશિનો સંચય થાય છે. તમે કામકાજના વર્ષો દરમિયાન સમયાંતરે રોકાણ કરો છો, જે વ્યાવસાયિક ફંડ મેનેજરો દ્વારા સંચાલિત થાય છે. બીજો નિષ્કર્ષ તબક્કો છે. જ્યારે તમે સિસ્ટમમાંથી બહાર નીકળો છો, ત્યારે એક નિશ્ચિત રકમમાંથી પેન્શન લેવું પડે છે. ૮૫ વર્ષની ઉંમર સુધી તમે એકાઉન્ટ ચાલુ રાખી શકો છો.
નેશનલ પેન્શન સ્કીમમાં કેવી રીતે રોકાણ કરે છે. નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણકારો ફંડ મેનેજર અને એસેટ એલોકેશન પસંદ કરી શકે છે. ટિયર-૧ પ્રાથમિક નિવૃત્તિ ખાતું છે. તેમાં ટેક્સ લાભ મળે છે, જ્યારે ટિયર-૨ સ્વૈચ્છિક બચત ખાતું છે. રોકાણ મુખ્યત્વે ઇક્વિટી, કોર્પોરેટ ડેટ અને ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં વહેંચાયેલું છે. રોકાણના બે વિકલ્પો છે. તમે પોતે નક્કી કરો છો કે ક્યાં અને કેટલું રોકાણ શેમાં કરવું છે. ઈક્વિટીમાં મહત્તમ ૭૫ ટકા રોકાણ કરી શકાય છે.
તમારી ઉંમર મુજબ જોખમ અને રોકાણ આપમેળે એડજસ્ટ થાય છે. પાકતી મુદતે નાણાનો ઉપાડ કર્યા પછી તેના પર ટેક્સ ભરવાની જવાબદારી આવે છે. ૬૦ વર્ષની વયે અથવા ૧૫ વર્ષના સબ્સ્ક્રિપ્શન પછી સામાન્ય એક્ઝિટ મળી શકે છે. એકત્રિત રકમના ૮૦ ટકા તમે એકસાથે ઉપાડી શકો છો અને ૨૦ ટકા રકમમાંથી પેન્શન ખરીદવું ફરજિયાત છે. નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ પર કલમ હેઠળ રૂ. ૫૦,૦૦૦ સુધીનો વધારાનો ટેક્સ લાભ મળે છે.



