ભારતમાં કાયમી ધોરણે પરત ફરી રહેલા બિનનિવાસી ભારતીયો પર ક્યારે આવકવેરાની જવાબદારી આવી શકે
પૂર્ણ સમયના નિવાસી બનતા જ વ્યક્તિની દુનિયાભરની આવક પર ભારતમાં ટેક્સ લાગવાનું શરૂ થઈ જાય છે, પછી ભલે તે ગમે ત્યાં કમાયા હોય કે મેળવ્યા હોય.
ભવિષ્યમાં આવકવેરા વિભાગની કોઈ સ્ક્રુટિની કે મુશ્કેલીમાંથી બચવા માટે ટેક્સ સ્ટેટસ એટલે કે ટેક્સ ચૂકવવાની પાત્રતાની સ્થિતિમાં થતા ફેરફારોને યોગ્ય રીતે સમજવા ટેક્સ પ્રોફેશનલ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે, ભારતમાં હવે ટેક્નોલોજી પ્રોફેશનલ્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી આ માહિતી ઉપયોગી સાબિત થાય તેમ છે.
પ્રથમ વર્ષમાં કેટલો ટેક્સ ચૂકવવો પડશે
આવકવેરા ધારો (Income-tax Act) કોઈપણ નાણાકીય વર્ષ માટે વ્યક્તિની ટેક્સ ચૂકવવાની સ્થિતિ તે વર્ષ દરમિયાન ભારતમાં તેના વાસ્તવિક રોકાણના દિવસોના આધારે નક્કી કરે છે. ભારતીય નિવાસી વ્યક્તિ નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા ૧૮૨ દિવસ વિતાવે છે, તો તે ભારતના રહેવાસી ગણાય છે.
તેને માટેના અન્ય નિયમ મુજબ કોઈ વ્યક્તિ જે-તે વર્ષમાં ૬૦ દિવસ ભારતમાં રહે અને તેની અગાઉના ૪ વર્ષોમાં કુલ મળીને ૩૬૫ દિવસ ભારતમાં રહ્યો હોય, તો પણ તે રેસિડેન્ટ-ભારતીય નિવાસી ગણાઈ જાય છે.
જોકે, તાજેતરમાં પરત ફરેલા એનઆરઆઈ કદાચ આ ૩૬૫ દિવસની શરત પૂરી ન કરી શકે, તેથી તેમના માટે મુખ્યત્વે ૧૮૨ દિવસ વાળી શરત જ લાગુ પડે છે. નોન-રેસિડેન્ટ એટલે કે બિન નિવાસી વ્યક્તિ આ શરતો પૂરી ન કરે અને નોન-રેસિડેન્ટ તરીકે ચાલુ રહે ત્યાં સુધી માત્ર ભારતમાંથી મેળવેલી કે ભારતમાં જન્મેલી આવક પર જ ભારતમાં ટેક્સ ચૂકવવો પડે છે. તેની વિદેશી આવક પર ભારતમાં કોઈ ટેક્સ લાગતો નથી.
રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટની કેટેગરી
જ્યારે કોઈ એનઆરઆઈ ભારતમાં પરત ફરે છે, ત્યારે તે સામાન્ય રીતે સીધો જ પૂર્ણ નિવાસી બનવાને બદલે એક વચગાળાના સ્ટેટસમાં આવે છે. તેને રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડન્ટ-RNOR તરીકે ઓળખાવવામાં આ છે.
રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડન્ટ માટેની શરતો
કોઈપણ વ્યક્તિ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડન્ટ ત્યારે જ બને છે જ્યારે તે સંબંધિત નાણાકીય વર્ષની અગાઉના ૧૦ વર્ષમાંથી ૯ વર્ષ નોન-રેસિડેન્ટ -બિનનિવાસી રહ્યો હોય, અથવા તો તે સંબંધિત વર્ષની અગાઉના ૭ વર્ષોમાં કુલ મળીને ૭૨૯ દિવસ કે તેથી ઓછો સમય ભારતમાં રહ્યો હોય તે તેને કેટેગરીમાં મૂકવામાં આવે છે. આ સિવાય, જો કોઈ ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળની વ્યક્તિની ભારતમાં કરપાત્ર આવક રૂ. ૧૫ લાખથી વધુ હોય અને તેનું ભારતમાં રોકાણ ૧૨૦ દિવસ કે તેથી વધુ પણ ૧૮૨ દિવસથી ઓછું હોય, તો પણ તે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડન્ટ ગણાય છે.
રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડન્ટની આવક પર ટેક્સ કેવી રીતે લાગે છે?
રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડન્ટ વ્યક્તિની ભારતમાંથી થતી આવક પર સામાન્ય આવકવેરાના સ્લેબ મુજબ ટેક્સ લાગે છે. તેની વિદેશી આવક પર ભારતમાં કોઈ ટેક્સ લાગતો નથી, સિવાય કે તે વિદેશી આવક ભારતીય નિયંત્રણ હેઠળના કોઈ બિઝનેસ અથવા વ્યવસાયમાંથી ઊભી થતી હોય છે. રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડન્ટ એ એક કામચલાઉ સ્થિતિ છે. આ સમયગાળો એનઆરઆઈને તેમના વિદેશી રોકાણો, બેંક ખાતાઓ અને અન્ય નાણાકીય વ્યવસ્થાઓને પૂર્ણ નિવાસી-ROR બનતા પહેલા વ્યવસ્થિત સમય આપે છે.
તેમને માટે ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલિંગના નિયમો:
- c વ્યક્તિઓ સરળ ફોર્મ ITR-1 ભરી શકતા નથી.
- જો તેમની આવક પગાર, કેપિટલ ગેઇન્સ (મૂડી નફો) કે ઘરની મિલકતમાંથી હોય તો તેમણે ITR-2 ભરવું જોઈએ.
- જો બિઝનેસ કે વ્યવસાયમાંથી આવક હોય તો ITR-3 ભરવું જોઈએ.
- સૌથી મોટી રાહત એ છે કે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડન્ટે પોતાના વિદેશી અસ્કયામતો કે વિદેશી બેંક ખાતાઓની વિગતો ITR ના શિડ્યૂલ-એફએ-‘Schedule FA’ માં દર્શાવવાની જરૂર રહેતી નથી.
રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરલી રેસિડેન્ટમાં રૂપાંતર
કોઈ વ્યક્તિ ભારતમાં લાંબો સમય રોકાઈ જાય છે, ત્યારે તે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડન્ટમાંથી પૂર્ણ ભારતીય નિવાસી બને છે. આવું ત્યારે થાય છે જ્યારે તે પ્રાથમિક રહેવાસીની શરતોની સાથે-સાથે અગાઉના ૧૦ વર્ષમાંથી ઓછામાં ઓછા ૨ વર્ષ ટેક્સ રેસિડેન્ટ રહ્યો હોય અને અગાઉના ૭ વર્ષમાં ૭૨૯ દિવસ કે તેથી વધુ સમય ભારતમાં રહ્યો હોય.
પૂર્ણ સમયના નિવાસી બન્યા પછી ટેક્સનું માળખું
- વૈશ્વિક આવક (Worldwide Income) કરપાત્ર: પૂર્ણ સમયના નિવાસી બનતા જ વ્યક્તિની દુનિયાભરની આવક પર ભારતમાં ટેક્સ લાગવાનું શરૂ થઈ જાય છે, પછી ભલે તે ગમે ત્યાં કમાયા હોય કે મેળવ્યા હોય.
- વિદેશી બેંક ખાતાઓનું વ્યાજ, ભાડાની આવક, કેપિટલ ગેઇન્સ, ડિવિડન્ડ અને વિદેશી નોકરીની આવક બધું જ ભારતમાં કરપાત્ર બને છે. વ્યાજની જવાબદારી અને પેનલ્ટીથી બચવા માટે વિદેશી આવક પર ‘એડવાન્સ ટેક્સ’ સમયસર ચૂકવવો જોઈએ.
- એનઆરઆઈ હોવા દરમિયાન અગાઉના વર્ષોમાં કમાયેલા નાણાં જો હવે ભારતમાં લાવવામાં આવે તો તેના પર ભારતમાં ટેક્સ લાગતો નથી. જોકે, ભારતમાં લાવ્યા પછી તે નાણાં પર જે વ્યાજ કમાવવામાં આવે, તે કરપાત્ર રહેશે.
પૂર્ણ સમયના ભારતી માટે રિટર્ન ફાઇલિંગના કડક નિયમો
- પૂર્ણ સમયની ભારતીય વ્યક્તિ તરીકેનો દરજ્જો મેળવનારાઓએ વર્ષ દરમિયાન પોતાની પાસે રહેલી તમામ વિદેશી અસ્કયામતોની વિગતો શિડ્યૂલ-એફએ-Schedule FAમાં અચૂક દર્શાવવી પડે છે.
- જો વિદેશી મિલકત કે ખાતામાંથી વર્ષ દરમિયાન કોઈ આવક ન થઈ હોય, તો પણ તેની વિગત આઈટીઆરમાં જાહેર કરવી કાયદાકીય રીતે ફરજિયાત છે.
બેવડા કરવેરાથી બચવા ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ કરો
બેવડા કરવેરાથી બચવાના ઉપાયો પણ છે. જો કોઈ આવક પર વિદેશમાં પણ ટેક્સ કપાયો હોય અને ભારતમાં પણ ટેક્સ લાગતો હોય, તો વ્યક્તિ DTAA અંતર્ગત ફોરેન ટેક્સ ક્રેડિટ (FTC) નો દાવો કરી શકે છે. આનાથી ભારતમાં એટલો ટેક્સ ઓછો ચૂકવવો પડે છે.
- વિદેશી દેશમાંથી ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ મેળવો.
- પોતાનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) રજૂ કરો.
- રહેઠાણ અંગેનું ફોર્મ ૪૧ (જૂનું ફોર્મ ૧૦એફ) સબમિટ કરો.
- જ્યારે ફોરેન ટેક્સ ક્રેડિટ રૂ. ૧ લાખથી વધુ હોય, ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દ્વારા ફોર્મ ૪૪ (જૂનું ફોર્મ ૬૭)નું વેરિફિકેશન કરાવવું જરૂરી છે.
બેન્ક ખાતાઓનું સ્ટેટસ બદલો
ભારતમાં કાયમી ધોરણે પરત ફર્યા પછી બેંક ખાતાઓની સ્થિતિ બદલવામાં વિલંબ કરવો ભારે પડી શકે છે.
- NRE અને NRO ખાતા: ભારતમાં કાયમી વસવાટ માટે પરત ફર્યા પછી સામાન્ય રીતે એક ક્વાર્ટર (૩ મહિના) ની અંદર જ તમારા NRE અને NRO ખાતાઓને સામાન્ય ‘રેસિડેન્ટ સેવિંગ્સ એકાઉન્ટ’માં રૂપાંતરિત કરાવી લેવા જોઈએ. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ વિલંબ કરવા બદલ આકરી પેનલ્ટી થઈ શકે છે.
- FCNR (એફસીએનઆર) ડિપોઝિટ: વિદેશી ચલણમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FCNR) ને તેની પાકતી મુદત સુધી ચાલુ રાખવાની મંજૂરી મળે છે. પરંતુ યાદ રાખો કે તેના પર મળતું વ્યાજ માત્ર તમારા ‘RNOR’ સ્ટેટસ ગાળા સુધી જ ટેક્સ-ફ્રી રહે છે.
- RFC એકાઉન્ટ: તમે તમારી FCNR ડિપોઝિટ અથવા વિદેશી કમાણીને રેસિડેન્ટ ફોરેન કરન્સી (RFC) ખાતા માં કન્વર્ટ કરી શકો છો, જે ભારતીય નિવાસીઓને કાયદેસર રીતે વિદેશી ચલણમાં નાણાં રાખવાની મંજૂરી આપે છે.



