CGSTની ખામીને કારણે અપીલ કરવાનો અધિકાર ગુમાવી રહેલા કરદાતાઓ

કાયદાકીય વિસંગતતાને પરિણામે પ્રમાણિક કરદાતાઓ કાનૂની મદદ મેળવવામાં સંપૂર્ણપણે લાચાર બની રહ્યા છે
સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ, 2017 માં રહેલી એક ગંભીર પ્રક્રિયાગત ખામીને કારણએ ટેક્સપેયર્સ ભૂલ સુધારણાની અરજી પર નિર્ણયની રાહ જોતા હોય, તે દરમિયાન અપીલ કરવાનો તેમનો કાનૂની અધિકાર ખતમ થઈ જાય છે. જીએસટી કાયદાની કલમ 107 (અપીલ) અને કલમ 161 (ભૂલ સુધારણા) વચ્ચે રહેલી આ મોટી કાયદાકીય વિસંગતતાને પરિણામે પ્રમાણિક કરદાતાઓ કાનૂની મદદ મેળવવામાં સંપૂર્ણપણે લાચાર બની રહ્યા છે.
સીજેસટીના સત્તાવાળાઓ ક્લાર્કની અથવા સામાન્ય ગણતરીની દેખીતી ભૂલોને સુધારવાની અરજીઓ પર નિર્ણય લેવામાં ઘણો સમય બગાડે છે. તેમ જ તે અંગે કોઈ ઓર્ડર પાસ કરતા જ નથી. બીજી તરફ બેકગ્રાઉન્ડમાં હાયર ઓથોરિટી સમક્ષ અપીલ કરવાની સમયમર્યાદા સમાપ્ત થઈ જાય છે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિયેશન ઓફ અમદાવાદના નિષ્ણાતોનું કહેવું છે.
કાનૂની ટકરાવ: સેક્શન 107 વિરુદ્ધ સેક્શન 161
સીજીએસટી એક્ટની કલમ 161 ટેક્સપેયર્સને ઓર્ડર જારી થયાના ત્રણ મહિનાની અંદર રેકોર્ડ પરની કોઈ પણ દેખીતી ભૂલ સુધારવા માટે અરજી કરવાની સત્તા કરદાતાને મળે છે. તેની સાથે જ કલમ 107(1) મુજબ જો મૂળ ઓર્ડર સામે ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી સમક્ષ ઔપચારિક અપીલ દાખલ કરવી હોય તો તે પણ ત્રણ મહિનાની અંદર જ કરવી પડે છે. તેમાં કલમ 107(4) હેઠળ માત્ર એક મહિનાની વધારાની છૂટછાટ મળી શકે છે.
મુખ્ય સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ ટેક્સપેયર મોટી અને લાંબી કાનૂની લડાઈમાં ઉતરવાને બદલે કલમ 161 હેઠળ સામાન્ય ક્લેરિકલ કે મેથેમેટિકલ ભૂલ સુધારવાની અરજી પસંદ કરે છે. તેમાં વળી એડજ્યુડિકેટિંગ ઓથોરિટી-નિર્ણય લેનાર અધિકારી આ અરજીનો નિકાલ કરવામાં ઘણો સમય લે છે, ત્યારે કલમ 107 હેઠળ અપીલ ફાઈલ કરવાનો સમય સતત ઘટતો જાય છે. પરિણામે ભૂલ સુધારણાની અરજી નકારી કાઢવામાં આવે કે તેનો નિકાલ થાય છે. બીજીતરફ આ વિલંબ થતાં મૂળ ઓર્ડર સામે અપીલ કરવાની ચાર મહિનાની કુલ સમયમર્યાદા ઘણીવાર સમાપ્ત થઈ ચૂકી હોય છે. પરિણામે, કરદાતા પાસે કોઈ કાનૂની વિકલ્પ બચતો નથી.
કાયદાકીય રક્ષણનો સંપૂર્ણ અભાવ
સીજીએસટી કાયદામાં એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ જ નથી કે જે ભૂલ સુધારણાની અરજી પેન્ડિંગ હોય તે દરમિયાન અપીલ કરવાની સમયમર્યાદાને રોકીની રાખી શકાતી નથી. ટેક્સ સત્તાવાળાઓ ઘણીવાર રેક્ટિફિકેશન અરજીઓ નકારતી વખતે ‘સ્પીકિંગ ઓર્ડર’ (વિગતવાર અને કારણો દર્શાવતો લેખિત ચુકાદો) આપતા નથી. સ્પીકિંગ ઓર્ડર વિના, ટેક્સપેયર્સ ‘ડોક્ટ્રિન ઓફ મર્જર’ એટલે કે મૂળ ઓર્ડર સુધારેલા ઓર્ડરમાં ભળી જાય તેવી વ્યવસ્થા હેઠળ તેને માટે કાનૂની સહારો પણ લઈ શકતા નથી. પરિણામે રેક્ટિફિકેશનનો નિકાલ આવ્યો તે તારીખથી અપીલ માટેની નવી સમયમર્યાદા ગણવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે. દેશની કેટલીક હાઇકોર્ટોએ તાજેતરમાં આ કાનૂની ગૂંચવણમાં ફસાયેલા કરદાતાઓને વચગાળાની રાહત આપીનેસપરોક્ષ કર વહીવટમાં સમાનતા અને ન્યાય લાવવા કાયદામાં કાયમી સુધારો કરવો અત્યંત જરૂરી હોવાનું જણાવતો ચૂકાદો આપ્યો છે.
ચાર મુદ્દાનો ઉકેલ લાવી આપો
પ્રક્રિયાગત ખામીઓને કારણે ન્યાયની પ્રક્રિયા અવરોધાય નહીં તે માટે જીએસટી કાઉન્સિલ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ પાસે તાત્કાલિક વહીવટી અને કાયદાકીય હસ્તક્ષેપની માગણી કરી છે. તેમાં ચાર મુદ્દા ઊઠાવવામાં આવ્યા છે.
એક, સમયમર્યાદા અટકાવવામાં આવે. તાત્કાલિક એક સ્પષ્ટીકરણ કે સુધારો બહાર પાડીને અપીલની માન્ય સમયમર્યાદાની અંદર રેક્ટિફિકેશનની અરજી ફાઇલ કરવામાં આવી હોય તો કલમ 107 હેઠળ અપીલ દાખલ કરવાની સમયમર્યાદા જ્યાં સુધી રેક્ટિફિકેશન ઓર્ડર ઔપચારિક રીતે ન મળે ત્યાં સુધી સ્થગિત રાખવી જોઈએ.
બે, નવેસરથી સમયની ગણતરી કરવી જોઈએ. વૈકલ્પિક રીતે એવું સ્પષ્ટ કરવામાં આવે કે જો રેક્ટિફિકેશન અરજી મૂળ સમયમર્યાદામાં ફાઇલ કરવામાં આવી હોય, તો કલમ 107 હેઠળ અપીલની સમયમર્યાદા મૂળ ઓર્ડરની તારીખથી નહીં, પરંતુ રેક્ટિફિકેશન ઓર્ડર મળ્યાની તારીખથી નવેસરથી ગણવી જોઈએ.
ત્રણ, જબરદસ્તી વસૂલાત પર રોક લગાવવાની માગણી કરી છે. કલમ 161 હેઠળની રેક્ટિફિકેશન અરજી પેન્ડિંગ હોય તે ગાળામાં વિભાગના અધિકારીઓ ટેક્સની કોઈ પણ પ્રકારની જબરદસ્તી વસૂલાતની કાર્યવાહી કરવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકતી માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ.
ચાર, ફરજિયાત સ્પીકિંગ ઓર્ડર આપવો જોઈએ. તમામ એડજ્યુડિકેટિંગ ઓથોરિટીઝને એક કડક વહીવટી પરિપત્ર દ્વારા આદેશ આપવામાં આવે કે તેઓએ નિર્ધારિત વૈધાનિક સમયગાળામાં દરેક રેક્ટિફિકેશન અરજી પર કારણો સહિતનો ‘સ્પીકિંગ ઓર્ડર’ ફરજિયાત પાસ કરવો જ પડશે, જેથી ટેક્સપેયરના અપીલ કરવાના મૂળભૂત અધિકારને નુકસાન થતું અટકી જશે.



