ખરીફમાં મકાઈનું ઓછું વાવેતર અને ખાંડના સ્ટોક અંગે અજંપા વચ્ચે ઇથેનોલ માટે ચોખા પર ધ્યાન કેન્દ્રિત થવાની સભાવના
ખરીફમાં મકાઈનું ઓછું વાવેતર અને ખાંડના સ્ટોક અંગે અજંપા વચ્ચે ઇથેનોલ માટે ચોખા પર ધ્યાન કેન્દ્રિત થવાની સભાવના
પેટ્રોલ સાથે ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમમાં ૨૦ ટકાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સરકારને લગભગ ૧,૧૦૦ કરોડ લિટર ઇથેનોલની જરૂર છે.
ભારતના મુખ્ય પાંચ ઉત્પાદક રાજ્યોમાં મકાઈના વાવેતર વિસ્તારમાં ૧૩ ટકાથી વધુનો ઘટાડો થયો હોવાના અહેવાલો આવી રહ્યા છે. આ પાંચ રાજ્યમાંથી કર્ણાટકમાં સૌથી વધુ ૩૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. પરિણામે ભારત સરકારનો ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ ૨૦૨૬-૨૭માં જરૂરી કાચો માલ મેળવવા માટે શેરડી અને ચોખા પર વધુ નિર્ભર રહેવું પડે તેવી શક્યતા છે. જોકે, ૩૦ સપ્ટેમ્બરે સીઝન પૂરી થવા પર ખાંડનો સ્ટોક ખૂબ જ ઓછો રહેવાની ધારણા છે. આથી, સરકાર છેવટે ચોખા પર નિર્ભર થઈ શકે છે. પસંદગીની નોન-બાસમતી જાતોમાં માગ વધવા લાગી હોવાથી ચોખાના ભાવ વધવાની પણ શક્યતા છે.
વીસ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ભારત સરકારના કાર્યક્રમ હેઠળ ૨૦ ટકાના લક્ષ્યાંકને સંતોષવા માટે સરકારને લગભગ ૧,૧૦૦ કરોડ લિટર ઇથેનોલની જરૂર છે. દેશમાં ઇથેનોલ ઉત્પાદનની અંદાજે ૨,૦૦૦ કરોડ લિટર ક્ષમતામાંથી આશરે ૯૦૦ કરોડ લિટર ક્ષમતા ખાંડ ઉદ્યોગ પાસે છે, જ્યારે બાકીની ક્ષમતા અનાજ આધારિત એકમો પાસે છે.
પાકના તાજેતરના આંકડા મુજબ, શેરડીનું વાવેતર પૂરું થઈ ગયું છે અને આ વર્ષે તે ૧૭.૫૮ લાખ હેક્ટરમાં થયું છે. ૨૦૨૫માં શેરડીનો વાવેતર વિસ્તાર ૫૮.૮૪ લાખ હેક્ટર હતો. તેથી શેરડીનો પાક ઓછો થવાની સંભાવના છે. પરિણામે ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટે ચોખા પર વધુ મદાર બાંધવો પડે તેવી સંભાવના રહેલી છે. મુખ્ય ત્રણ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશમાં ૨૮.૬૧ લાખ હેક્ટર સામે ૨૮.૯૭ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. મહારાષ્ટ્રમાં ૧૧.૪૭ લાખ હેક્ટરથી વધીને ૧૧.૮૨ લાખ હેક્ટર અને કર્ણાટકમાં ૬.૦૮ લાખ હેક્ટરથી વધીને ૬.૬૧ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.
તેનાથી વિપરીત, ૨૪ જુલાઈ સુધીમાં દેશભરમાં મકાઈનો વાવેતર વિસ્તાર ગયા વર્ષના ૮૬.૧૫ લાખ હેક્ટર કરતાં ૯.૭ ટકા ઘટીને ૭૭.૭૯ લાખ હેક્ટર થયો હતો. પરંતુ, મુખ્ય ઉત્પાદક રાજ્ય મધ્ય પ્રદેશમાં ખરીફ સીઝનમાં મકાઈનો વિસ્તાર ૨૩.૬૭ લાખ હેક્ટરથી ૮.૨ ટકા વધીને ૨૫.૬૧ લાખ હેક્ટર થયો છે. જ્યારે કર્ણાટકની સાથે મહારાષ્ટ્રમાં વાવેતર ઘટીને ૧૧.૨૭ લાખ હેક્ટર (-૧૬ ટકા), રાજસ્થાનમાં ૯.૦૮ લાખ હેક્ટર (-૩ ટકા) અને ઉત્તર પ્રદેશમાં ૪.૪૩ લાખ હેક્ટર (-૩૭ ટકા) થયું છે.
ડાંગરના વાવેતરમાં, મુખ્ય ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં ૫૫.૪૬ લાખ હેક્ટરથી ૪.૨ ટકા વધીને ૫૭.૮ લાખ હેક્ટર, પંજાબમાં ૩૧.૫૬ લાખ હેક્ટરથી ૩૧.૬૬ લાખ હેક્ટર, બિહારમાં ૧૨.૮૯ લાખ હેક્ટરથી ૩૬.૪ ટકા વધીને ૧૭.૫૮ લાખ હેક્ટર, અસમમાં ૬.૭૬ લાખ હેક્ટરથી ૭૩ ટકા વધીને ૧૧.૬૮ લાખ હેક્ટર અને આંધ્ર પ્રદેશમાં ૪.૪૬ લાખ હેક્ટરથી ૬ ટકા વધીને ૪.૭૪ લાખ હેક્ટર વાવેતર નોંધાયું છે.
છત્તીસગઢ અને ઓડિશામાં ગયા વર્ષની સરખામણીએ ૧ થી ૧.૬ લાખ હેક્ટરનો તફાવત છે, જે હાલના વરસાદ બાદ સુધરે તેવી શક્યતા છે. મધ્ય પ્રદેશ એવા મુખ્ય રાજ્યોમાંનું એક છે જ્યાં ડાંગરનો વાવેતર વિસ્તાર ૨૭.૩૯ લાખ હેક્ટરથી ૨૯ ટકા ઘટીને ૧૯.૫૪ લાખ હેક્ટર અને મહારાષ્ટ્રમાં ૮.૫૯ લાખ હેક્ટરથી ઘટીને ૪.૯ લાખ હેક્ટર નોંધાયો છે. ઓછા ડાંગર વાવેતર ધરાવતા પરંતુ મામૂલી ઘટાડો ધરાવતા અન્ય અગ્રણી રાજ્યોમાં પશ્ચિમ બંગાળ (-૦.૯ લાખ હેક્ટર), હરિયાણા (-૧.૨ લાખ હેક્ટર), તેલંગાણા (-૦.૫ લાખ હેક્ટર) અને ઓડિશા (-૧.૬ લાખ હેક્ટર)નો સમાવેશ થાય છે.
પુરવઠા વર્ષ ૨૦૨૬-૨૭ (નવેમ્બર-ઓક્ટોબર) દરમિયાન ઇથેનોલ પ્લાન્ટ્સ માટે કાચા માલની ઉપલબ્ધતા માટે સૌથી મહત્વનું પરિબળ વૈવિધ્યસભર ઇથેનોલ ઇકોસિસ્ટમ છે. તે અલગ-અલગ સીઝન (ખરીફ, રવિ અને ઉનાળુ) દરમિયાન વિવિધ પાકો પર નિર્ભર રહે છે, જેથી કોઈ એક પાક કે ચોક્કસ સીઝનની કૃષિ પેટર્ન પર નિર્ભરતા ઘટે છે. બીજીતરફ સરકારી સ્ટોકમાં ટુકડા ચોખાનો હિસ્સો ૨૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવાના સરકારે તાજેતરમાં જ નિર્ણય લીધો છે. તેનાથી ખાદ્ય સુરક્ષાને અસર કર્યા વિના ઇથેનોલ સહિતના ઔદ્યોગિક વપરાશ માટે ટુકડા ચોખાની ઉપલબ્ધતા વધશે. ખરીફ પાકની નવી આવક શરૂ થતાં કાચા માલની ઉપલબ્ધતા વધુ મજબૂત થવાની ધારણા છે. ભારત મકાઈના સરપ્લસ ઉત્પાદનમાં આગળ છે, જે દેશમાં તેની મજબૂત ઉપલબ્ધતા દર્શાવે છે અને ઉદ્યોગની મિશ્રણ જરૂરિયાતોને યોગ્ય આત્મવિશ્વાસ સાથે ટેકો આપે છે.
