પ્રોવિડન્ટ ફંડના જૂના નિષ્ક્રિયા ખાતાઓ હવે સરળતાથી શોધી શકાશે
EPFO નિષ્ક્રિય PF ખાતા શોધવા માટે ઓગસ્ટના અંત સુધીમાં ‘ઈ-પ્રાપ્તિ, E-PRAAPTI’ ડિજિટલ પહેલ શરૂ કરી શકે છે
શ્રમ અને રોજગાર મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા ‘E-PRAAPTI’ નામની નવી ડિજિટલ સેવા શરૂ કરવાની શક્યતા છે. આ સેવાની મદદથી ખાતાધારકો તેમના જૂના અથવા નિષ્ક્રિય PF ખાતાઓને સરળતાથી શોધીને હાલના ખાતા સાથે લિન્ક કરી શકશે.
હાલમાં દેશમાં ૩૦.૯૧ લાખથી વધુ નિષ્ક્રિય EPF ખાતાઓ છે, જેમાં અંદાજે રૂ. ૯,૩૩૦ કરોડ જેટલી મોટી રકમ અટવાયેલી છે. જે ખાતામાં સતત ત્રણ વર્ષ સુધી કોઈ યોગદાન (પૈસા) જમા ન થાય, તે ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે.
નવી સુવિધાના મુખ્ય ફાયદા
-
ઓનલાઈન પ્રક્રિયા: હવે કર્મચારીઓએ જૂના PF ખાતાનું સ્ટેટસ જાણવા કે પૈસા ઉપાડવા માટે EPFO ઓફિસના ચક્કર કાપવા નહીં પડે કે લાંબી કાગળ પ્રક્રિયા કરવી નહીં પડે.
-
જૂના માલિક પર નિર્ભરતા નહીં રહે: પ્રોફાઈલ વેરિફિકેશન માટે હવે અગાઉની કંપની કે માલિક પર આધાર રાખવો પડશે નહીં.
-
આધાર આધારિત ચકાસણી: આ પ્લેટફોર્મ સુરક્ષિત આધાર આધારિત વેરિફિકેશનથી કામ કરશે, જેથી શરૂઆતમાં વધારે દસ્તાવેજોની જરૂર રહેશે નહીં.
-
જૂના MID ધારકોને ફાયદો: ઓક્ટોબર ૨૦૧૪માં UAN નંબર આવ્યો તે પહેલાં ૧૯૫૨થી ચાલતા જૂના ‘મેમ્બર આઈડેન્ટિફિકેશન નંબર’ (MID) ધરાવતા સભ્યોને આનાથી સીધો ફાયદો થશે.
જો તમારો જૂનો MID નંબર હાલના UAN સાથે મેચ થઈ જશે, તો PF મર્જ કરવાની કે પૈસા ઉપાડવાની પ્રક્રિયા આપોઆપ (ઓટોમેટિક) થઈ જશે. આ સુવિધા EPFO સુધારા ૨.૦ (EPFO Reform 2.0) નો જ એક ભાગ છે.
