અમદાવાદ રિયલ એસ્ટેટ ફ્રોડ: હોમબાયર્સને છેતરી કરોડોનું ફુલેકુ ફેરવનાર કેશવ નારાયણ ગ્રુપની રૂ. 129.80 કરોડની મિલકતો ઇડીએ ટાંચ કરી
અમદાવાદ રિયલ એસ્ટેટ ફ્રોડ: હોમબાયર્સને છેતરી કરોડોનું ફુલેકુ ફેરવનાર કેશવ નારાયણ ગ્રુપની રૂ. 129.80 કરોડની મિલકતો ઇડીએ ટાંચ કરી
અમદાવાદના રિયલ્ટર્સ રોનક સોનાની અને વિપુલ ગાંગાણી સામે ઇડીની મોટી મની લોન્ડરિંગ કાર્યવાહી; બોપલ, શેલા અને છારોડીના પ્રોજેક્ટ્સમાં સેંકડો રોકાણકારોના પૈસા ફસાયા
છારોડીની 6,603.332 ચોરસ મીટર, શેલાની 7,284 ચોરસ મીટર અને કડી તાલુકાના જેસંગપુરા અને અગોલની 30,798 ચોરસ મીટર જમીન ટાંચમાં લીધી
અમદાવાદ: અમદાવાદ શહેરના આકર્ષક વિસ્તારોમાં સસ્તા ભાવે ફ્લેટ-દુકાનો અને 54% થી 100% સુધીના ઊંચા વળતરની લાલચ આપી સામાન્ય મધ્યમવર્ગીય હોમબાયર્સ તથા રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની અમદાવાદ ઝોનલ ઓફિસે લાલ આંખ કરી છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ મોટી કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ રોનક રવજીભાઈ સોનાની, વિપુલભાઈ ગોરધનભાઈ ગાંગાણી અને ‘મેસર્સ કેશવ નારાયણ ગ્રુપ’ તથા અન્ય સાથીદારોની કુલ રૂ. 129.80 કરોડની અચલ મિલકતો કામચલાઉ ધોરણે ટાંચ (પ્રોવિઝનલી અટેચ) કરી લીધી છે.
પાંચ એફઆઈઆર અને ચાર્જશીટના આધારે તપાસ શરૂ થઈ
ઇડીએ આ મની લોન્ડરિંગ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ (DCB), સેટેલાઇટ, નવરંગપુરા અને બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 5 જેટલી એફઆઈઆર અને ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની વિવિધ કલમો હેઠળ દાખલ કરાયેલી ચાર્જશીટના આધારે શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ સામાન્ય ખરીદદારો, વેપારીઓ અને રોકાણકારોને ટાર્ગેટ કરીને પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સંપૂર્ણ કાયદેસર હોવાનો બિનપાયાદાર દાવો કર્યો હતો અને પ્રી-લોન્ચિંગના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા.
રેરા (RERA) કે એન.એ. મંજૂરી વિના કરોડોનું ફંડ એકત્ર કર્યું
ઇડીની તપાસ મુજબ, આરોપીઓએ કાયદાકીય મંજૂરીઓ જેવી કે N.A. (બિનખેતી) પરવાનગી કે RERA રજિસ્ટ્રેશન મેળવ્યા વિના જ પ્રોજેક્ટ્સ માર્કેટમાં ઉતારી દીધા હતા. છારોડી સ્થિત પ્રોજેક્ટમાં આશરે 250 જેટલા બાયર્સ/રોકાણકારો અને શેલાના ‘અક્ષર અનંત’ પ્રોજેક્ટમાં 44 થી વધુ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લેવાયા હતા. નાણાં લીધા બાદ આરોપીઓએ ન તો ફ્લેટ કે દુકાનોનો કબજો આપ્યો કે ન તો લોકોના નાણાં પરત કર્યા.
ડમી સેલ ડીડ બનાવી જમીનો ત્રીજી વ્યક્તિઓને ટ્રાન્સફર કરી દીધી
આરોપીઓએ કૌભાંડ આચરવા એક સુઆયોજિત પદ્ધતિ અપનાવી હતી. છારોડી પ્રોજેક્ટમાં ગ્રાહકોને ‘રેરા અને એન.એ. પ્રક્રિયા હેઠળ છે’ તેમ કહીને બાદમાં આ જમીન કેવલ મહેન્દ્રભાઈ પટેલ અને આશિષ વિષ્ણુભાઈ પટેલ જેવા ત્રીજા પક્ષકારોને વેચી મારવામાં આવી હતી. તેવી જ રીતે શેલાના ‘અક્ષર અનંત’ પ્રોજેક્ટમાં ગ્રાહકોને વિશ્વાસમાં લેવા એમઓયુ (MoU) કરી આપ્યા બાદ પ્રોજેક્ટ બંધ કરી દેવાયો હતો અને જમીન પૂરવ રમેશચંદ્ર પટેલ, દ્વિપ્રાજવીરસિંહ વિક્રમસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ પ્રદ્યુમનસિંહ ચુડાસમાને ટ્રાન્સફર કરી દેવાઈ હતી. રજિસ્ટર્ડ દસ્તાવેજોમાં નાણાંની બોગસ ચુકવણી દર્શાવી ડમી સેલ ડીડ દ્વારા મિલકતો પચાવી પાડવામાં આવી હતી.
ક્યાં ક્યાં આવેલી મિલકતો ઇડીએ ટાંચ કરી?
ઇડી દ્વારા ટાંચમાં લેવાયેલી રૂ. 129.80 કરોડની મુખ્ય મિલકતોમાં નીચે મુજબની જમીનોનો સમાવેશ થાય છે:
છારોડી: 6,603.332 ચોરસ મીટર જમીન
શેલા: 7,284 ચોરસ મીટર જમીન
કડી તાલુકાના જેસંગપુરા અને અગોલ: 30,798 ચોરસ મીટર જમીન
આ મિલકતો ટાંચ કરવાનો મુખ્ય હેતુ તેને આગળ વેચાતી કે ટ્રાન્સફર થતી અટકાવવાનો છે, જેથી ભવિષ્યમાં છેતરાયેલા હોમબાયર્સને તેમની રકમ પરત અપાવવાની કાનૂની પ્રક્રિયા સુગમ બની શકે.
ઇડીની હોમબાયર્સ અને રોકાણકારોને ખાસ સલાહ
આ કૌભાંડના પ્રકાશમાં ઇડીએ મિલકત ખરીદનારાઓ માટે અગત્યની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. નાગરિકોએ કોઈ પણ મિલકતમાં રોકાણ કરતા પહેલા RERA રજિસ્ટ્રેશન, ટાઇટલ ક્લિયરન્સ, બોજા સર્ટિફિકેટ અને એન.એ. પરવાનગીઓ જાતે ચકાસી લેવી. માત્ર બ્રોકર્સના મૌખિક વાયદા, બુકિંગ ફોર્મ કે નોટરાઇઝ્ડ કાગળો પર વિશ્વાસ ન રાખવો અને હંમેશા રજિસ્ટર્ડ બાનાખત કે સેલ ડીડનો આગ્રહ રાખવો. અતિશય ઊંચા વળતર કે ગેરંટેડ બાયબેકની લાલચ આપનાર બિલ્ડરોથી સાવધ રહેવું. જો કોઈ બિલ્ડર દસ્તાવેજો આપવાની ના પાડે, રોકડમાં વ્યવહારનો આગ્રહ રાખે કે પ્રોજેક્ટની જમીન અન્યને ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરે, તો તુરંત તેની જાણ પોલીસ, રેરા (RERA) અને સંબંધિત સત્તાવાળાઓને કરવી. ઇડી દ્વારા આ કેસમાં વધુ મની ટ્રેઇલ મેળવવા આગળની તપાસ તેજ પણ કરવામાં આવી છે.
