• 2 September, 2026 - 7:06 AM

માતા-પિતાની ઉપેક્ષા કરવા બદલ ઘરની બહાર કાઢી મૂકાયેલ પુત્ર તેમની સંપત્તિનો વારસો મેળવી શકે છે?

માતા-પિતાની ઉપેક્ષા કરવા બદલ ઘરની બહાર કાઢી મૂકાયેલ પુત્ર તેમની સંપત્તિનો વારસો મેળવી શકે છે?

સંતાનને ઘર છોડવાનું કહેવામાં આવે તેનો અર્થ એ નથી કે તેણે માતા-પિતાની સંપત્તિમાં વારસો મેળવવાનો અધિકાર પણ ગુમાવી દીધો છે.

અમદાવાદઃ મુંબઈ હાઇકોર્ટના તાજેતરમાં એક વ્યક્તિને તેના માતા-પિતાનો ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે માતા-પિતાની સંભાળ રાખવાની શરત પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. માતા-પિતાએ પુત્રને નામે તેમની મિલકત ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે, આ કેસનો અર્થ એ નથી કે ઘર ખાલી કરવાનો આદેશ આપમેળે બાળકના ભવિષ્યના વારસાના અધિકારો કાપી નાખે છે. તેનો આધાર સંપત્તિના પ્રકાર, ટ્રાન્સફરની શરતો અને માતા-પિતાએ માન્ય વિલ (વસિયતનામું) બનાવ્યું છે કે કેમ તેના પર રહેલો છે.

ઘર ખાલી કરાવવાનો અર્થ વારસામાંથી બેદખલ કરવું નથી

આ કેસ એક એવા ફ્લેટનો હતો જે માતા-પિતાએ તેમના જીવનકાળ દરમિયાન પુત્રને આ સમજુતી સાથે ભેટ (ગિફ્ટ) આપ્યો હતો કે તે તેમની સંભાળ રાખશે. સંબંધો વણસી ગયા પછી અને પુત્ર આ જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનો આરોપ મુકાયા પછી, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭ ની કલમ ૨૩ હેઠળ ટ્રાન્સફરને પડકારવામાં આવી હતી. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલમાં મુજબ એકોર્ડ જ્યુરિસ લો ફર્મના મેનેજિંગ પાર્ટનર અલે રઝવીએ જણાવ્યું હતું કે ઘર ખાલી કરવાનો આદેશ મુખ્યત્વે એક સુરક્ષાત્મક પગલું છે. તે વરિષ્ઠ નાગરિકની સલામતી, ગૌરવ અને તેમની સંપત્તિ પરનું નિયંત્રણ પુનઃસ્થાપિત કરી શકે છે, પરંતુ તે પોતાનામાં સંતાનના કાનૂની વારસદાર તરીકેના સ્ટેટસને રદ કરતું નથી.

દિલ્હી હાઇકોર્ટના એડવોકેટ મેઘા શર્માએ જણાવ્યું હતું કે, “ઘર ખાલી કરાવવું એ વારસામાંથી બેદખલ કરવું નથી.” ઉપેક્ષા બદલ માતા-પિતાની સંપત્તિમાંથી દૂર કરાયેલી વ્યક્તિ હજુ પણ પાછળથી વારસો મેળવી શકે છે, સિવાય કે માતા-પિતા તેને તેમની સ્વ-અર્જિત (પોતાની કમાણીથી મેળવેલી) મિલકતોમાંથી વારસો મેળવવાથી બાકાત રાખવા માટે અલગ કાનૂની પગલાં ભરે તો જ તે પુત્ર માતા-પિતાની સંપત્તિનો વારસદાર રહેતો નથી. આ તફાવત મહત્વપૂર્ણ છે કારણ કે માતા-પિતાના જીવનકાળ દરમિયાનની માલિકી અને મૃત્યુ પછીનો વારસો અલગ-અલગ કાનૂની સિદ્ધાંતો દ્વારા સંચાલિત થાય છે.

શરતી ગિફ્ટ રદ થાય ત્યારે શું થાય છે?

કલમ ૨૩ એવા કિસ્સામાં સુરક્ષા પૂરી પાડે છે જ્યાં વરિષ્ઠ નાગરિક એ શરતે મિલકત ટ્રાન્સફર કરે છે કે મેળવનાર મૂળભૂત શારીરિક જરૂરિયાતો અને સગવડો પૂરી પાડશે, પરંતુ મેળવનાર તેમ કરવામાં નિષ્ફળ જાય છે. ખાનવિલકર અને શાહ એસોસિએટ્સના સ્થાપક ભાગીદાર શિવાની ખાનવિલકરે જણાવ્યું હતું કે આ કેસમાં વ્યક્તિને ગિફ્ટ મળી હતી, વારસો નહીં. આ ટ્રાન્સફર સ્પષ્ટપણે માતા-પિતાની સંભાળ રાખવા સાથે જોડાયેલું હોવાથી, તે શરત પૂરી કરવામાં નિષ્ફળતા આ ટ્રાન્સફરને અમાન્ય (શૂન્ય) જાહેર કરવાની મંજૂરી આપી શકે છે. ખાનવિલકરે કહ્યું, “ગિફ્ટ ડીડની શરતો પ્રતીકાત્મક નથી; તે કાયદાકીય રીતે અમલીકરણ યોગ્ય છે.” જો ગિફ્ટ રદ કરવામાં આવે, તો સંપત્તિ વરિષ્ઠ નાગરિકને પરત મળી શકે છે. તેથી પુત્ર એવો તર્ક આપી શકે નહીં કે ગિફ્ટ તરીકે મિલકત મેળવવાથી તેને તેની સાથે જોડાયેલી શરતને ધ્યાનમાં લીધા વિના કાયમી માલિકી મળી ગઈ છે. દિલ્હી હાઇકોર્ટના એડવોકેટ અપૂર્વ પાંડેએ જણાવ્યું હતું કે આ ચુકાદો એ વાતને બળ આપે છે કે કલમ ૨૩ એ વૃદ્ધ વ્યક્તિની આવક કે ભરણપોષણ કરતાં વધુ બાબતોનું રક્ષણ કરે છે. તે તેમની સુરક્ષા, ગૌરવ અને સંપત્તિનું પણ રક્ષણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે સંતાન દ્વારા પાછળથી માતા-પિતાના ભરણપોષણની ઓફર કરવાથી ટ્રાન્સફરના મૂળમાં રહેલી જવાબદારીના અગાઉના ભંગને રદ કરી શકાતો નથી.

શું પુત્ર હજુ પણ સંપત્તિનો વારસો મેળવશે?

અહીં સ્વ-અર્જિત અને પૈતૃક (ખાનદાની) મિલકત વચ્ચેનો તફાવત ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. જો ફ્લેટ માતા-પિતા દ્વારા તેમના પોતાના પૈસાથી ખરીદવામાં આવ્યો હોય, તો માતા-પિતા જીવંત હોય ત્યાં સુધી સંતાનનો સામાન્ય રીતે તેના પર કોઈ નિહિત અધિકાર હોતો નથી. માલિક વિલ અથવા જીવંતપયંત ટ્રાન્સફર દ્વારા મિલકતનું શું થશે તે નક્કી કરી શકે છે. બી. શંકર એડવોકેટ્સ એલએલપીના મેનેજિંગ પાર્ટનર શ્રવંત શંકરે જણાવ્યું હતું કે કાયદો માલિકી અને વારસા વચ્ચે સ્પષ્ટ તફાવત કરે છે. કાનૂની વારસદારનો માતા-પિતાના જીવનકાળ દરમિયાન તેમની સ્વ-અર્જિત મિલકત પર નિહિત અધિકાર હોતો નથી. તેથી, ગિફ્ટ રદ કરવી અને પુત્રને ઘર ખાલી કરાવવાથી, પોતે એ નક્કી થતું નથી કે આખરે મિલકતનો વારસો કોને મળશે. જો માતા-પિતા વિલ કર્યા વિના મૃત્યુ પામે છે, તો વારસાઈના નિયમો લાગુ થઈ શકે છે અને પુત્ર અન્ય લાયક વારસદારો સાથે વર્ગ-૧ના વારસદાર તરીકે હજુ પણ હિસ્સા માટે હકદાર બની શકે છે. માન્ય વિલ સ્વ-અર્જિત મિલકત માટે તે પરિણામ બદલી શકે છે.

પૈતૃક મિલકતનું શું?

પૈતૃક હિન્દુ મિલકત માટે પરિસ્થિતિ અલગ છે. લેગમ સોલિસના સ્થાપક શશાંક અગ્રવાલે જણાવ્યું હતું કે વારસાને માતા-પિતાના જીવનકાળ દરમિયાનની માલિકી સાથે સાંકળવો જોઈએ નહીં અને મિલકતનું સ્વરૂપ મહત્વપૂર્ણ રહે છે. જ્યાં મિલકત પૈતૃક હોય અને સંબંધિત કાનૂની જરૂરિયાતો પૂરી થતી હોય, તો બાળકોને જન્મથી જ અધિકારો મળી શકે છે. શંકરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે બાળક ફક્ત માતા-પિતા અને બાળકના સંબંધના કારણે શરતી ટ્રાન્સફરને બિન-શરતી હકમાં ફેરવી શકતું નથી. જો ટ્રાન્સફર વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને ભરણપોષણ સાથે જોડાયેલું હોય, તો તે જવાબદારીનો ભંગ કરવાના કાનૂની પરિણામો આવી શકે છે.

વરિષ્ઠ નાગરિક માતા-પિતાએ શું કરવું જોઈએ?

ભવિષ્યના મિલકત વિવાદો વિશે ચિંતિત માતા-પિતા માટે, આ કેસ દસ્તાવેજીકરણ અને એસ્ટેટ પ્લાનિંગના મહત્વને રેખાંકિત કરે છે. તેમાં નીચે મુજબના મુખ્ય સુરક્ષાત્મક પગલાંઓમાં સમાવેશ થાય છે: એક, જ્યાં લાગુ પડતું હોય ત્યાં ગિફ્ટ ડીડમાં સંભાળ અને ભરણપોષણની શરતો સ્પષ્ટપણે દર્શાવો. બે, દસ્તાવેજ યોગ્ય રીતે બનેલો અને રજિસ્ટર્ડ રાખો. ત્રણ, સ્વ-અર્જિત મિલકતો માટે માન્ય વિલ (વસિયતનામું) બનાવવાનું વિચારો. ચાર, મૃત્યુ પછી મિલકત કેવી રીતે વહેંચવી જોઈએ તે સ્પષ્ટપણે નોંધ કરો. પાંચ, સંભાળ અથવા વારસા અંગે માત્ર મૌખિક વચનો પર આધાર રાખશો નહીં. અગ્રવાલે જણાવ્યું હતું કે યોગ્ય રીતે તૈયાર કરાયેલ ગિફ્ટ ડીડ, વિલ અથવા કૌટુંબિક વ્યવસ્થા ભવિષ્યના વિવાદોની શક્યતા ઘટાડી શકે છે. બાળક ફક્ત સંતાન હોવાના નાતે માતા-પિતાની સ્વ-અર્જિત મિલકત પર આપમેળે માલિકી હક મેળવતું નથી. પરંતુ ઉપેક્ષા માટે ઘર ખાલી કરવાનો આદેશ બાળકના ભવિષ્યના વારસાના અધિકારોને આપમેળે ભૂંસી નાખતો નથી. વારસામાંથી બેદખલ કરવા માટે, માતા-પિતાએ સામાન્ય રીતે યોગ્ય કાનૂની પગલાં લેવાની જરૂર પડે છે, જેમ કે જ્યાં કાયદો મંજૂરી આપે ત્યાં માન્ય વિલ બનાવવું જરૂરી પણ છે. 

Read Previous

બહેરામપુરા-નારોલના ગેરકાયદે બાંધકામને પોલીસનું જ પ્રોટેક્શન

Read Next

જાપાન ભારતીય ગ્રીન પ્રોજેક્ટ્સ માટે કાર્બન ક્રેડિટની તકો ખોલી રહ્યુ છે

Most Popular