પહેલી સપ્ટેમ્બરની મોડી રાતથી મુદ્રા પોર્ટ પર ખાલી કન્ટેનર યાર્ડ અને ટ્રાન્સપોર્ટરોની હડતાળ શરૂ
પહેલી સપ્ટેમ્બરની મોડી રાતથી મુદ્રા પોર્ટ પર ખાલી કન્ટેનર યાર્ડ અને ટ્રાન્સપોર્ટરોની હડતાળ
ડેમરેજ ચાર્જ વિના કે પેનલ્ટી ચાર્જ વિના જ હડતાલ પૂરી થયા પછી કામકાજ શરૂ કરવાવાની ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિયેશન ઇન ઇન્ડિયાએ માગણી કરી
અમદાવાદઃ મુદ્રા પોર્ટ ખાતે ખાલી કન્ટેનર યાર્ડ એસોસિએશનના સભ્યોએ અચાનક કામગીરી બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. પરિણામે એક મોટું ઓપરેશનલ સંકટ ઊભું થયું છે. આ હડતાળ પહેલી સપ્ટેમ્બરના અંતે રાત્રે બાર વાગ્યાથી એટલે કે બીજી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશને પણ આ હડતાળમાં જોડાઈને કન્ટેનરના પરિવહનને સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધું ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે.
મુખ્ય સમસ્યાઓ અને વેપાર પર તેની અસર
એક, ઈમ્પોર્ટ કન્ટેનર પરત કરવામાં અસમર્થતા તેમની મોટી સમસ્યા છે. નિયુક્ત ખાલી કન્ટેનર યાર્ડોમાં કામગીરી સ્થગિત હોવાને કારણે આયાત કરેલા કન્ટેનર ખાલી કરીને પરત આપવાનું અથવા નવા પિક-અપ લેવાનું સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. બીજું, ટ્રાફિક અને પોર્ટ પર ભારે જામ થઈ ગયો છે. ખાલી કન્ટેનર જમા કરાવવા માટે ચોક્કસ જગ્યાઓ ન મળવાના કારણે પોર્ટ વિસ્તારમાં વાહનોની લાંબી લાઈનો લાગી છે અને મુદ્રા પોર્ટ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ત્રણ, માલસામાનની હેરફેર ઠપ્પ થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટરોની હડતાળને કારણે કન્ટેનરની અવરજવર સંપૂર્ણપણે રોકાઈ ગઈ છે, જેનાથી સમગ્ર કસ્ટમ હાઉસ એજન્ટ્સ-સીએચએ ટ્રાન્સપોર્ટર્સ, આયાતકારો અને વેપારી સમુદાયને મોટું આર્થિક અને ઓપરેશનલ નુકસાન થઈ રહ્યું છે. ચાર, અનિયંત્રિત સંજોગોને પરિણામે તમામ પરિસ્થિતિ આયાતકારો, સીએચએ કે ગ્રાહકોના નિયંત્રણ બહારની છે, છતાં પણ તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે.
શિપિંગ લાઈન્સ અને એફસીબીએ સમક્ષ મુખ્ય માંગણીઓ
આ કટોકટીપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆર શિપિંગ દ્વારા ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર્સએસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પાર્થ દવે ને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને શિપિંગ લાઈન્સ સમક્ષ નીચે મુજબની રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી છે. એક, ડિલિવરી ઓર્ડરની મુદત વધારવી જણાવ્યું છે. જ્યાં સુધી પોર્ટ પર કામગીરી સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ ડિલિવરી ઓર્ડર્સની માન્યતા લંબાવવાની માગણી કરવામાં આવી છે. બે, ડિટેન્શન અને ડેમરેજ ચાર્જમાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવી છે. હડતાલ શરૂ થઈ તે સમયથી હડતાળના સમયગાળા દરમિયાન લાગેલા તમામ ‘ડિટેન્શન’ અને ‘ડેમરેજ’ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની પણ માગણી કરવામાં આવી છે.
ત્રણ, પેનલ્ટી કે દંડ ન લાદવાની માગણી પણ કરવામાં આવી છે. હડતાળના કારણે થયેલા વિલંબ માટે આયાતકારો, સીએચએ કે ટ્રાન્સપોર્ટરો પર કોઈપણ પ્રકારનો પેનલ ચાર્જ કે દંડ ન લાદવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. બે, વેપાર પર વધારાના બોજ વગર કામગીરી પુનઃશરૂ કરાવવાની માગણી કરવામાં આવી છે. આ સ્થિતિ સંપૂર્ણપણે ઉકેલાઈ ગયા પછી જ વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ નાખ્યા વિના સામાન્ય કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
મુદ્રા પોર્ટ પરની આ હડતાળને કારણે આયાત-નિકાસ વેપારને મોટો ફટકો પડ્યો છે. વેપારી સમુદાયના હિતોનું રક્ષણ કરવા અને બિનજરૂરી નાણાકીય નુકસાન અટકાવવા માટે ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર્સએસોસિયેશન ઓફ ઇન્ડિયા અને શિપિંગ લાઈન્સના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.
