• 5 September, 2026 - 11:13 AM

વેપારીએ જાહેર ન કરેલી આવક પર મનસ્વી રીતે નફો બતાવી ટેક્સની જવાબદારી ઊભી ન કરી શકાય

વેપારીએ જાહેર ન કરેલી આવક પર મનસ્વી રીતે નફો બતાવી ટેક્સની જવાબદારી ઊભી ન કરી શકાય

 આવકવેરા ટ્રિબ્યુનલ સ્પષ્ટતા: કરદાતાના અગાઉ સ્વીકારેલા ‘પ્રિઝમ્પટિવ પ્રોફિટ રેટ’ મુજબ જ નફાની ગણતરી કરવી પડશે

પ્રિઝમ્પટિવ ટેક્સ સ્કીમનો ઉપયોગ કરીને કરદાતાઓ અપીલ દરમિયાન પણ આ ચુકાદાનો ઉપયોગ કરીને પોતાની વિરુદ્ધ થયેલા વધારાના ટેક્સ એસેસમેન્ટને રદ કરાવી શકશે.

આકારણી હેઠળના કોઈ કરદાતા હિસાબોમાં વેચાણ ઓછું બતાવે અને તેના પર ગણવામાં આવતો નફાનો દર કરદાતાના અગાઉના સ્વીકૃત અનુમાનિત નફાના દર મુજબ જ હોવો જોઈએ. જ્યાં સુધી આવકવેરા વિભાગ પાસે વધુ નફાનો દર લાદવા માટેના સબળ પુરાવા કે આધાર ન હોય, ત્યાં સુધી અધિકારીઓ મનસ્વી રીતે ઊંચો નફો ગણીને તે આવક પર ટેક્સ લાદી શકે નહીં, એમ અપીલેટ ટ્રિબ્યુનલે એક અત્યંત મહત્વનો અને વ્યાપારિક રાહત આપતો ચુકાદો આપતા જણાવ્યું છે. કરદાતાઓ, નાના વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે આવકવેરાના સંદર્ભમાં આપવામાં આવેલો આ એક મહત્વનો ચૂકાદો છે.
આવકવેરા વિભાગ દ્વારા જ્યારે પણ કોઈ કરદાતાના ચોપડાઓ તપાસીને નવેસરથી આકારણી કરવામાં આવે કે સરવે કરવામાં આવે ત્યારે બહાર આવતા બિનહિસાબી કે ઓછાં દર્શાવેલા ટર્નઓવર પર કરવેરા અધિકારીઓ આડેધડ નફો ગણીને તેના પર ટેક્કસની જવાબદારી ઊભી કરે છે. જો કોઈ વેપારીએ કલમ 44AD કે અનુમાનિત આવક યોજના હેઠળ ૬ કે ૮ ટકાનો નફો દર્શાવીને રિટર્ન ભર્યું હોય, છતાં જો કોઈ દબાવાયેલું વેચાણ પકડાય તો અધિકારીઓ તેના પર ૧૫ કે ૨૦ ટકા કે તેનાથી વધુ દરોથી સરેરાશ નફો ગણીને મોટો ટેક્સ અને વ્યાજ ફટકારી દેતા હોવાનું જોવા મળે છે.
ઘણીવાર ટેક્સ અધિકારીઓ ઓછાં દર્શાવેલા સમગ્ર ટર્નઓવરને જ આવક ગણી લેતા હોય છે. વાસ્તવમાં વેચાણ કરવા માટે ખરીદી અને અન્ય ખર્ચ પણ થયા હોય છે. આ ખર્ચને ધ્યાનમાં લીધા વિના સંપૂર્ણ વકરાને વેરો ગણી લે છે. અધિકારીઓના આ પ્રકારના એકતરફી નિર્ણયોના કારણે કરદાતાઓને ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટ સુધી અપીલમાં જવું પડે છે. તેમાં સમય અને નાણાંનો વ્યય થતો હોવાનું જોવા મળે છે.
ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના આ નિર્ણયથી એ વાત પુનઃસ્થાપિત થઈ છે કે ‘ટેક્સ માત્ર નફા પર જ લાગી શકે છે. સમગ્ર ટર્નઓવર પર ટેક્સ લાગી શકે નહિ. કરદાતાનો સ્વીકૃત પ્રોફિટ રેટ ૬ ટકા કે 8 ટકા નફો બતાવ્યો હોય તો વેપારીએ જાહેર ન કરેલી આવક પર પણ છ કે આઠ ટકાના દરે જ નફો ગણીને તેના પર ટેક્સની જવાબદારી ઊભી કરવાની રહે છે. જાહેર ન કરેલી સમગ્ર આવકને નફા ગણી શકાય નહિ.  હવેથી જો ટેક્સ અધિકારીએ કરદાતાના સામાન્ય દર કરતાં વધુ નફાનો દર લાદવો હશે, તો તેમણે તે જ ક્ષેત્રના પુરાવા અને સબળ કારણો રજૂ કરવા પડશે. માત્ર અનુમાનના આધારે ઊંચો વેરો લાદી શકાશે નહીં. નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ કે જેઓ પ્રિઝમ્પટિવ ટેક્સ સ્કીમનો ઉપયોગ કરે છે, તેઓ અપીલ દરમિયાન આ ચુકાદાનો ઉપયોગ કરીને પોતાની વિરુદ્ધ થયેલા વધારાના ટેક્સ એસેસમેન્ટને રદ કરાવી શકશે.
વેચાણ દબાવવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળવાનો ડર
એપેલેટ ટ્રિબ્યુનલના પ્રસ્તુત ચુકાદાનો એક નકારાત્મક પાસું એ પણ હોઈ શકે કે કેટલાક અપ્રમાણિક કરદાતાઓ એવું વિચારી શકે કે વેચાણ છુપાવવા છતાં જો પકડાશે તો પણ માત્ર ૬ ટકા કે ૮ ટકા લેખે જ નફો ગણાશે, જેથી તેઓ ચોપડે ઓછું વેચાણ દર્શાવવાનું જોખમ લઈ શકે છે.  જો આવકવેરા વિભાગ એ સાબિત કરી દે કે વેપારીનો આ ચોક્કસ વ્યવહારમાં નફો ખરેખર ઊંચો હતો, તો કરદાતાએ તે રકમ પર વધુ ટેક્સ ચૂકવવો જ પડશે.
કરદાતાઓએ પોતાના ટર્નઓવર અને નફાના ગાળા અંગેના હિસાબો યોગ્ય રીતે રાખવા જોઈએ. જો અનુમાનિત આવક યોજનાનો લાભ લેતા હોવ, તો વ્યવસાયના પ્રકાર મુજબ જ પ્રોફિટ રેટ દર્શાવવો હિતાવહ છે. આકારણી અધિકારીઓએ કોઈ પણ પુરાવા વગર અવાસ્તવિક અને કાલ્પનિક નફાના દરો લાદવાનું બંધ કરવું જોઈએ જેથી બિનજરૂરી અપીલોનું ભારણ ઘટે. ઇન્કમટેક્સ એપેેલેટ ટ્રિબ્યુલનનો આ નિર્ણય કરદાતાઓ અને કરવેરા વિભાગ વચ્ચે સંતુલન જાળવવાની દિશામાં મોટું પગલું છે. આ આદેશ સ્પષ્ટ કરે છે કે કાયદાકીય જોગવાઈઓ અને વ્યાજબીપણાને ધ્યાનમાં રાખીને જ ટેક્સની આકારણી થવી જોઈએ. આ નિર્ણાયક ચુકાદાથી કરદાતાઓને મનસ્વી એસેસમેન્ટ સામે મજબૂત રક્ષણ પણ આપી શકશે.

Read Previous

વિદેશ વ્યાપાર કાયદા હેઠળની યોજના જૂની તારીખથી સરકાર નિકાસ યોજનાના લાભ બંધ ન કરી શકે

Read Next

સ્ટેટ જીએસટીની આવક ખૂટતા વડોદરા, આણંદ ને નડિયાદના 50થી 60 જ્વેલર્સ પર દરોડા

Most Popular