સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર તરીકે સેવા આપનારાઓને હવે છૂટા કરવામાં આવશે

- સહકારી બેન્કના ચેરમેન અને એમ.ડી.ને આ જોગવાઈ લાગુ પડશે કે નહિ તે અંગે સ્પષ્ટતાનો અભાવ જણાય છે
ગુજરાતની 200થી વધુ સહકારી બેન્કો અને દેશના તમામ રાજ્યોની સહકારી બેન્કોમાં ડિરેક્ટર તરીકે 10 વર્ષથી વધુ સેવા આપી ચૂકેલા ડિલેક્ટરોને હવે છૂટ્ટી આપી દેવામાં આવશે. ભારત સરકારે 10મી ડિસેમ્બરે ગેઝેટમાં જાહેરાત કરીને નવું નોટિફિકશન બહાર પાડી દીધું છે.
સહકારી બેન્કના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપનારાઓને લગતો વિવાદ છેલ્લા ઘણાં વરસોથી ચાલી રહ્યા છે. આ અંગે રિઝર્વ બેન્ક પણ કોઈ જ નિર્ણય લેવાની સ્થિતિમાં નહોતું. હવે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડીને રિઝર્વ બેન્કને સહકારી બેન્કના બોર્ડમાં દસ વર્ષથી વધુ સમયથી સેવા આપનારા ડિરેક્ટર્સને છૂટા કરી દેવાની છૂટની રિઝર્વ બેન્કને સત્તા આપી છે. પરિણામે હવે રિઝર્વ બેન્ક આ અંગે નિર્ણય લઈ શકશે.
નવા નોટિફિકેશન મુજબ સહકારી બેન્કના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપતા ડિરેક્ટર્સ આપોઆપ જ ગેરપાત્ર ઠરી જતાં હતા. છતાંય તેના અનુસંધાનમાં રિઝર્વ બેન્ક કોઈ જ પગલાં લઈ શકતી નહોતી. પહેલા સહકારી કાયદાની કેટલીક જોગવાઈને કારણે તેમાં વિરોધાભાસ ઊભો થતો હોવાથી તેમને દૂર કરી શકાતા નહોતા. હવે તેમને ફરજિયાત હોદ્દો છોડવાની ફરજ પાડી શકશે. હવે રિઝર્વ બેન્કને આ સત્તા મળી હોવાથી દસ વર્ષથી વધુ સમયથી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડિરેક્ટર તરીકે સેવા આપનારા ડિરેક્ટરે રિઝર્વ બેન્ક ગેરલાયક ઠેરવી શકશે. તેમને દૂર કરી શકશે. તમામ સહકારી બેન્કો માટે આ નિયમ લાગુ કરવામાં આવશે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઓછા અને વધુ વર્ષથી સેવા આપતા હોય અને બંને ગ્રુપના ડિરેક્ટર્સ છથી નવ વર્ષથી સેવા આપતા હોય તો તેમની વચ્ચે ડ્રો સિસ્ટમ કરીને વધુ વર્ષની સેવા આપનારાઓને દૂર કરી શકશે. સરકારી વહીવટદારો નિયુક્ત થયેલા હોય અને બોર્ડ અસ્તિત્વ ન ધરાવતુ હોય તેવા કિસ્સામાં પણ આ જોગવાઈ લાગુ કરી શકાશે. તેમ જ વરસો સુધી ચૂંટણીઓ ન યોજવામાં આવતી હોય તેવી સંસ્થાઓમાં પણ આ જોગવાઈ લાગુ પડશે.
આ સાથે જ સહકારી બેન્કિંગના સેક્ટરમાં નવ યુવાનોને તક આપવાનો માર્ગ ખૂલી ગયો છે. નવા યુવાનો સહકારી ક્ષેત્રમાં વધુ આવતા થશે. જોકે નવયુવાનો અનુભવીઓની માફક સહકારી બેન્ક ન ચલાવી શકે તેવી પણ એક શક્યતા હોવાનું સહકાર ક્ષેત્રના જાણકારોનું કહેવું છે.
પ્રસ્તુત નોટિફિકેશનમાં સહકારી બેન્કના ડિરેક્ટર્સના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિઓના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. જોકે કોઈ સંસ્થાના પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર તરીકે સેવા આપનાર વ્યક્તિ હોય તો તેના કિસ્સામાં શું નિર્ણય લેવામાં આવશે તે અંગે આ નોટિફિકેશનમાં કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.




