નબળા ચોમાસાની શક્યતા વચ્ચે મગ, અડદ, તુવેર તલ,દિવેલા (કેસ્ટર), સોયાબીન, બાજરી, જુવાર અને ચિયાસીડની ખેતી કરો

નબળા ચોમાસાની શક્યતા વચ્ચે મગ, અડદ, તુવેર તલ,દિવેલા (કેસ્ટર), સોયાબીન, બાજરી, જુવાર અને ચિયાસીડની ખેતી કરો
આ વરસે અલનિનોની અસર હેઠળ ચોમાસું નબળું રહેવાની સંભાવના છે. જોકે આબોહવામાં ગમે ત્યારે ગમે તેવા પરિવર્તન આવી જતાં ખેતી અને ખેતઉપજને લગતા તમામ ગણિતો ગમે તે ઘડીએ પલટાઈ જવાની શક્યતા રહેલ છે. તેથી જ કુદરત આગળ બનાવ વામણો પુરવાર થઈ રહ્યો છે. જોકે અનુભવને આધારે અને કોઠાસૂઝથી માનવ સારા અને ઉત્તમ પરિણામ આપતા નિર્ણયો લઈ શકે છે. તેથી જ આ વરસે નબળા ચોમાસાની શક્યતા વચ્ચે ચિયા સીડની ખેતીના વિકલ્પનો આશરો લઈ શકાય છે.
આબોહવા-અનુકૂળ (ક્લાઇમેટ-રેઝિલિયન્ટ) ખેતી તરફ એક મોટા કદમ તરીકે અને જળ સંરક્ષણના લાંબા ગાળાના ફાયદાઓને ધ્યાનમાં રાખીને, બાગપત વહીવટીતંત્રે પશ્ચિમ ઉત્તર પ્રદેશના શેરડીના પટ્ટામાં ખેડૂતોને ચિયાના બીજ (ચિયા સીડ્સ) અને ઓછા પાણીની જરૂરિયાતવાળા અન્ય પાકો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું છે, જેના પ્રારંભિક પરિણામો ઊંચું વળતર અને પાકનું ઓછું જોખમ દર્શાવે છે. આ રીતે ખેતી કરવાથી ઓછા ખર્ચે ઊંચું વળતર મેળવવાનો માર્ગ ખૂલે છે. તેમ જ ખેડૂતોના માથા પરનુ જોખમ હળવું થાય છે.
ઉત્તર પ્રદેશમાં તો શેરડીની સાથે આંતરપાક-ઇન્ટરક્રોપિંગ તરીકે ચિયા વાવવાનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચિયા સીડના પાકને નોંધપાત્ર રીતે ઓછું પાણી જોઈએ છે, તે કરા સાથેના વરસાદ અને અનિયમિત હવામાન સામે ટકી શકે છે. ચિયા સીડના પાકને નીલગાય-રોઝડાંનો ત્રાસ પણ નડતો નથી. તેને ખેડૂતો માટે એક વ્યવહારુ વિકલ્પ બનાવે છે. અનિયમિત વરસાદ, કાર્બન ઉસર્જનમાં વૃદ્ધિ થવાની સતત વધી રહેલું તાપમાન અને ભૂગર્ભ જળની અછત કૃષિને વધુને વધુ પ્રભાવિત કરી રહ્યા છે. આબોહવાની અસરો અને પડકારો ભૂતકાળની જેમ આજે પણ એટલા જ વાસ્તવિક છે. માત્ર ગુજરાત, ભારતની આ સમસ્યા નથી. સમગ્ર વિશ્વના તમામ દેશો પર તેની અસર પડી રહી છે. તેથી જ અલનિનોની અસર હેઠળના આ ચોમાસામાં ચિયા સીડ સહિતના ઓછા પાણીએ થતાં પાક લેવા પર દરેક ખેડૂત ફોકસ કરે તો સમસ્યા ઓછી નડી શકે છે.
નબળા ચોમાસાની શક્યતા વચ્ચે આ વરસે ખેડૂતોએ ડાંગર, શેરડી, કેળાં અને શાકભાજીના પાક લેવાનું શક્ય હોય તો ટાળવું જોઈએ. આ બધાં જ પાકમાં પાણીની વધુ જરૂર પડે છે. બીજીતરફ ઓછા પાણીમાં અને આબોહવાની વિષમતા વચ્ચે પણ ટકવાની સમર્થ બાજરી, જુવાર, મગ, મઠ, અડદ, તલ, દિવેલા (કેસ્ટર), ગવાર અને કઠોળના પાક લઈ શકાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ પણ ઓછા પાણીએ થતાં પાક લેવા પર આ વરસે ખેડૂતોએ ફોકસ કરવું જોઈ તેમ જણાવ્યું છે.
ચિયા સીડનો પાક લઈ શકાય
ચિયા સીડનો પાક લેવા માટે હલકી, રેતાળ અને સારા નિતારવાળી ગોરાડુ જમીનની જરૂર પડે છે. આ જમીનમાં બે વાર ઊંડી ખેડ કરી જમીન સમતળ કરવી પડે છે. અડધા દિવસમાં ટ્રેક્ટર આ કામ પૂરું કરી શકે છે. તેથી તેનો ખર્ચ બે હજારથી રૂ. પચ્ચીસસો સુધીનો આવી શકે છે. એક એકરમાં ચિયા સીડની ખેતી કરવા માટે દોઢથી બે કિલો બિયારણની જરૂર પડે છે. તેને માટે અંદાજે રૂ. 500થી 600નો ખર્ચ કરવો પડે છે. ચિયાસીડનો પાક દુષ્કાલ વચ્ચે પણ ટકી રહેવાને સમર્થ છે. બીજની વાવણી પછી માત્ર ૨ થી ૩ રક્ષણાત્મક પિયત પૂરતા છે. તેને માટે અંદાજે રૂ. 1500થી 2000નો ખર્ચ આવી શકે છે. તેમ જ પાક તૈયાર થઈ ગયા પછી લણણી અને નીંદામણ સહિત આશરે રૂ. 4500થી રૂ. રૂ. 5,૦૦૦ પ્રતિ એકરનો મજૂરી ખર્ચ કરવો પડી શકે છે. આમ એક એકર જમીનમાં ચિયાસીડની ખેતી કરવાનો ખર્ચ રૂ. 10000થી રૂ. 12000ની આસપાસનો આવે છે.
ચિયા સીડનો પાક 110થી 115 દિવસમાં સંપૂર્ણ તૈયાર થઈ જાય છે. ચિયા સીડના ફૂલના દોડવા કથ્થઈ થાય ત્યારે લણણી કરવાનો સમય આવી ગયો હોવાનું ગણીને લણણી કરી લેવાની થાય છે. એક એકર જમીનમાં ચારથી પાંચ ક્વિન્ટલ કે ચારસોથી પાંચસો કિલો ચિયા સીડના ઉતારા મળી રહે છે. ચિયાસિડની ખરીદી ઓર્ગેનિક પ્રોડક્ટ્સની કંપનીઓ અને સુપર માર્કેટ કરવા તત્પર હોય છે. ફાર્માસ્યૂટિકલ કંપનીઓ પણ ચિયાસીડની ખરીદી કરવા તત્પર રહે છે. તેનો એક ક્વિન્ટલે રૂ. 12000થી રૂ.15000નો ભાવ મળી રહે છે.
હાઈબ્રિડ બાજરીની ખેતી કરી શકાય
હાઈબ્રિડ બાજરીની ખેતી કરવા માટે ઓછી ફળદ્રુપ કે રેતાળ જમીનમાં પણ ચાલી જાય છે. તેમાં એકથી બે સામાન્ય ખેડ કરવી પડે છે. એક એકર જમીનમાં હાઈબ્રિડ બાજરીની ખેતી કરવા માટે દોઢથી બે કિલો બાજરીના બિયારણની જરૂર પડે છે. તેને માટે એક એકરે અંદાજે રૂ. 300થી 450નો ખર્ચ કરવો પડી શકે છે. બાજરીના પાકને બહુ પિયતની જરૂર પડતી નથી. ચોમાસુ નોર્મલ રહે તો તેને અલગથી પિયત આપવાની જરૂર પડતી નથી. ચોમાસુ નોર્મલ ન હોય તો એકથી બે પિયત આપવાની જરૂર પડે છે. તેનો અંદાજે રૂ. 1200થી 1500નો ખર્ચ આવી શકે છે. ગાયનું ગોબર હોય તો ખાતરની જરૂરિયાત પૂરી થઈ જાય છે. અન્ય ખાતરની જરૂર પડે ત્યારે તેનો અલગથી ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ અંદાજે રૂ. 3000ની આસપાસનો આવી શકે છે. તેમાં લણણીનો ખર્ચ પણ આવી જાય છે. કદાચ રૂ. 1000 વધુ ખર્ચ આવી શકે છે.
આમ જમીન તૈયાર કરવાના રૂ. ૧,૫૦૦ના ખર્ચ સહિત એક એકર જમીનમાં હાઈબ્રિડ બાજરીની ખેતી કરવા માટે અંદાજે રૂ. 8000થી 9000નો ખર્ચ આવી શકે છે. હાઈબ્રિડ બાજરીનો પાક ૮૦ થી ૮૫ દિવસમાં તૈયાર થઈ જાય છે. એક એકર જમીનમાં હાઈબ્રિડ બાજરીનું અંદાજે ૧૨ થી ૧૫ ક્વિન્ટલ એટલે કે 1200થી 1500 કિલોનું ઉત્પાદન થાય છે. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં ટેકાના ભાવથી તેની ખરીદી કરવામાં આવે છે. આ વરસે બાજરીનો ટેકાનો ક્વિન્ટલદીઠ ભાવ રૂ 2775નો નક્કી કરવામાં આવ્યો છે. આમ એ એરકમાં રૂ. 9000ના ખર્ચ સામે અંદાજે રૂ. 39000થી 40000ની આવક થઈ શકે છે.
ચોમાસુ તલની ખેતી પણ થઈ શકે
ચોમાસુ તલની ખેતી પણ નબળા ચોમાસાની મોસમમાં લાભદાયી સાબિત થઈ શકે છે. મધ્યમ કાળી, નિતારવાળી જમીન તલની ખેતી માટે જરૂરી છે. આ જમીનને ભરભરી બનાવવી જરૂરી છે. જમીનને ભરભરી બનાવ્યા પછી વાવણી માટે એક એકર જમીનમાં એકથી દોઢ કિલો બિયારણની જરૂર પડે છે. બિયારણનો ખર્ચ રૂ. 400થી 450ની આસપાસનો આવી શકે છે. તલના પાકને પિયતના પાણીની બહુ જ ઓછી જરૂર પડે છે. ફૂલ આવવાના સમયે વિષમ સ્થિતિમાં ૧ પિયત આપવાની જરૂરિયાત ઊભી થાય તેમ છે. તેને માટે રૂ. 1000 સુધીનો મહત્તમ ખર્ચ આવી શકે છે.
તલની ખેતીમાં તલ ઝાટકીને છૂટા પાડવાની કામગીરમાં અન લણણી કરવામા જ વધારે ખર્ચ આવે છે. આ ખર્ચ અંદાજે 5000ની આસપાસનો આવે છે. તલની ખેતી કરવા માટ જમીન તૈયારી કરવા માટે અંદાજે રૂ. ૧,૫૦૦થી 2000નો ખર્ચ આવી શકે છે. એક કર જમીનમાં તલની ખેતી કરવા માટે અંદાજે રૂ. 10,000થી 12,000નો ખર્ચ આવી શકે છે. તલનો પાક 85થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે.
ગુજરાત રાજ્યના ખેડૂતો ગુજરાત તલ-૨ અથવા ગુજરાત તલ ૩ વરાયટીના તલની ખેતી વધુ કરે છે. એક એકર જમીનમા તલનું ઉત્પાદન અંદાજે 4000થી 5000 કિલોનું થાય છે. આમ કુલ ઉત્પાદન ચારથી પાંચ ટનનું મળી શકે છે. ગુજરાતમાં ઊંઝા, રાજકોટ અને ગોંડલ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-એપીએમસી તેનું વેચાણ કરી શકાય છે. તલની નિકાસનો પણ ખાસ્સો અવકાશ રહેલો છે.
તલનો ક્વિન્ટલદીઠ ટેકાનો ભાવ આ વરસે રૂ. 10,350ની આસપાસનો છે. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં રૂ. 11,500ની આસપાસનો ભાવ મળી શકે છે. આમ તલની ખેતીમાં રૂ. એક એકરે રૂ. 4 લાખની આસપાસની આવક થઈ શકે છે. આમ તલની ખેતી મજબૂત નફો કરાવી આપતી ખેતી છે. આ વરસે નબળું ચોમાસુ જવાનુ હોવાથી તલની ખેતીનો વિકલ્પ અપનાવી શકાય છે.
મગની ખેતીનો વિકલ્પ પણ લાભદાયી
મગની ખેતી માટે મધ્યમ કાળી જમીન જરૂરી ગણાય છે. તેમાં માત્ર એક જ ઊંડી ખેડ કરવાની જરૂર ઊભી થાય છે. એક એકર જમીનમાં મગની ખેતી કરવા માટે અંદાજે 6થી 8 કિલો બિયારણની જરૂર પડે છે. તેને માટે રૂ. 800થી 1000નો ખર્ચ કરવો પડી શકે છે. ચોમાસાના પાણી પર મગ ટકી જ જાય છે. પરંતુ વિપરીત સંજોગોમાં એકાદ પિયત આપવી પડી શકે છે. તેને માટે રૂ. 1000થી 1200નો ખર્ચ આવી શકે છે. કદાચ ખર્ચ તેનાથી ઓછો એટલે કે રૂ. 800ની આસપાસનો પણ આવી શકે છે.
એક એકર જમીનમાં મગની ખેતી કરનારે નિંદામણ દૂર કરવા અને વીણાટ માટે મળીને અંદાજે રૂ. 4500થી રૂ. 5000નો ખર્ચ કરવો પડે છે. જમીન તૈયાર કરવાનો રૂ. 2000ની આસપાસનો ખર્ચ કરવો પડે છે. આમ એકરદીઠ રૂ. 10,000ની આસપાસનો ખર્ચ આવે છે. મગનો પાક 65થી 75 દિવસમાં તૈયાર થઈ જાય છે. પ્રતિકૂળ આબોહવામાં પણ મગ ટકી રહેવાને સમર્થ છે. એક એકર જમીનમાં 4500થી 5500 કિલો એટલે કે સાડા ચારથી સાડા પાંચ ટન મગના ઉતારા મળી રહે છે. સરકારે મગનો ક્વિન્ટલદીઠ લઘુતમ ટેકાનો ભાવ રૂ. 8780 નક્કી કર્યો છે. તમામ સ્થાનિક એપીએમસી અને નાફેડના ખરીદ કેન્દ્રો મગની ખરીદી કરે છે. આ ભાવથી ત્રિરાશી માંડવામાં આવે તો રૂ. 4થી 5 લાખની આવક થઈ શકે છે. આમ મગની ખેતી એક આકર્ષક વિકલ્પ છે.
ચોમાસુ નબળું જવાની સંભાવના હોવાથી શેરડી, કપાસનો પાક ન લેવાય
નબળા ચોમાસાની સંભાવના વચ્ચે શેરડીનો પાક લેવો બિલકુલ હિતાવહ નથી. શેરડી એ ૧૧ થી ૧૨ મહિનાનો પાક છે જેને અતિશય પાણીની જરૂર પડે છે. જો નહેરો કે ભૂગર્ભ જળમાં ઘટાડો થાય તો નવો પાક નિષ્ફળ જઈ શકે છે. જોકે વૈજ્ઞાનિકોના મતે જેઓ પાસે ડ્રિપ ઇરિગેશન અને પૂરતો સ્ટોરેજ ડેમ છે તેઓ મર્યાદિત વાવેતર રાખી શકે છે.
ચોમાસુ નબળું જવાની સંભાવના હોવાથી કપાસનો પાક પણ ન લેવો જોઈએ. પિયતની એટલે કે કૂવા અથવા બોરની સગવડ હોય તો જ પૂર્વ-વાવેતર કપાસનું વહેલું વાવેતર કરવું જોઈએ. ચોમાસું નબળું હોય, તો દેશી કપાસ અથવા ટૂંકી મુદતની બીટી કપાસની જાતોની ખેતી કરવાનું પસંદ કરવું જોઈએ. વરસાદ સારો ન હોય તેવા બિન-પિયત વિસ્તારોમાં જ લાંબી મુદતનો કપાસ લેવાનું ટાળવું હિતાવહ છે.
કયા પાક લેવા અને કયા ન લેવા
| આ વરસે કયા પાક લેવા? | આ વરસે કયા પાક ન લેવા? |
| કઠોળ: મગ, અડદ, તુવેર (આંતરપાક તરીકે) | ડાંગર (ખરીફ): પુષ્કળ પાણી માગતી જાતો |
| તેલીબિયાં: દિવેલા (કેસ્ટર), સોયાબીન, તલ | શેરડી: નવી વાવણી સંપૂર્ણપણે ટાળવી |
| મોટા અનાજ (Millets): હાઇબ્રિડ બાજરી, જુવાર | શાકભાજી: મરચી કે રીંગણ જેવા વધુ પિયત માગતા પાકો (જો પાણી મર્યાદિત હોય તો) |



