હોર્મુઝ થઈને યુરિયા ભરેલું પ્રથમ જહાજ રવાના, 7-9 દિવસમાં ભારત પહોંચશે
પશ્ચિમ એશિયા યુદ્ધ શરૂ થયા બાદથી ત્યાં ફસાયેલા 16 જહાજોમાંથી પ્રથમ જહાજ આયાતી યુરિયા લઈને ભારત તરફ રવાના થઈ ચૂક્યું છે.
3.3 લાખ ટન યુરિયા સાથેના 8 જહાજો, 2.6 લાખ ટન DAP સાથેના 4 જહાજો, 1.1 લાખ ટન સલ્ફર સાથેના 3 જહાજો અને એમોનિયા સાથેના 1 જહાજ
ખરીફ પાકની મુખ્ય સીઝનની માગ પહેલાં આનાથી મોટી રાહતઃ આગામી થોડા દિવસોમાં યુરિયા વહન કરતા અન્ય 7 જહાજો પણ ભારત તરફ આગળ વધવાનું શરૂ કરશે.
નવી દિલ્હીઃ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) ફરીથી ખુલવાને કારણે ભારતની ખાતર સપ્લાય ચેઈન પરનું દબાણ હળવું થવાનું શરૂ થઈ ગયું છે. ફેબ્રુઆરીમાં પશ્ચિમ એશિયા યુદ્ધ શરૂ થયા બાદથી ત્યાં ફસાયેલા 16 જહાજોમાંથી પ્રથમ જહાજ આયાતી યુરિયા લઈને ભારત તરફ રવાના થઈ ચૂક્યું છે. ખરીફ પાકની મુખ્ય સીઝનની માગ પહેલાં આનાથી મોટી રાહત મળશે.
યુરિયા ભરેલું પ્રથમ જહાજ જે સામાન્ય રીતે માર્ચના મધ્યમાં પહોંચવાનું હતું, તે યુદ્ધના કારણે ફસાઈ ગયું હતું. આ યુરિયાનો જથ્થો સરકાર દ્વારા ફેબ્રુઆરીના મધ્યમાં ફાઈનલ કરાયેલા RCF ના આયાત ટેન્ડરનો ભાગ છે. એકવાર આ જહાજ હોર્મુઝ પાર કરી લેશે, એટલે અન્ય જહાજો પણ આવવાનું શરૂ કરી દેશે. 15 જુલાઈ સુધીમાં આશરે 3 લાખ ટન (lt) આયાતી યુરિયા ભારત પહોંચી શકે છે. અલગ-અલગ ખાતરો લઈને આવતા કુલ 16 જહાજો હોર્મુઝમાં માર્ગ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. જેમાં 3.3 લાખ ટન યુરિયા સાથેના 8 જહાજો, 2.6 લાખ ટન DAP સાથેના 4 જહાજો, 1.1 લાખ ટન સલ્ફર સાથેના 3 જહાજો અને એમોનિયા સાથેના 1 જહાજનો સમાવેશ થાય છે.
સરકારી કંપની RCF દ્વારા ફેબ્રુઆરીના મધ્યમાં બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં 10 લાખ ટન આયાતી યુરિયાના સપ્લાય માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. જેમાં પશ્ચિમ કિનારા માટે $508 અને પૂર્વ કિનારાની ડિલિવરી માટે $512 નો ભાવ નક્કી થયો હતો, જેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. પરંતુ યુદ્ધના કારણે ડિલિવરીમાં થયેલા વિલંબને સરકારે માન્ય રાખ્યો હતો.
ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ વંદના પ્રેયશીએ અગાઉ જણાવ્યું હતું કે, 1 માર્ચથી અત્યાર સુધીમાં ભારતીય કંપનીઓએ 50 લાખ ટન ખાતરની આયાત માટે કરાર કર્યા છે, જેમાંથી 21.95 લાખ ટન યુરિયા અને 4.18 લાખ ટન DAP દેશમાં આવી ચૂક્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ (NFL) દ્વારા બહાર પાડવામાં આવેલા વધારાના 17 લાખ ટન યુરિયા આયાતના ટેન્ડરને મંજૂરી આપવાની પ્રક્રિયામાં છે.
આ નવા ટેન્ડરમાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 8 જૂને બિડ ખુલ્યા બાદ, પશ્ચિમ કિનારાની ડિલિવરી માટે ટન દીઠ સૌથી નીચો ભાવ $449 અને પૂર્વ કિનારા માટે $445 મળ્યો હતો, જે એપ્રિલ મહિનામાં સ્વીકારવામાં આવેલા ભાવો કરતાં ઘણો ઓછો છે.
સૂત્રોએ જણાવ્યું કે સરકારે આ નીચા દરો પર NFL મારફતે આશરે 18 લાખ ટન યુરિયાની આયાત મંજૂર કરી છે. વેપાર જગતના સૂત્રોએ એવા પણ સંકેત આપ્યા છે કે એશિયામાં માગ ધીમી પડતાં આંતરરાષ્ટ્રીય સ્તરે યુરિયાના ભાવ વધુ નરમ પડ્યા છે, કારણ કે ઓસ્ટ્રેલિયાએ ચાલુ પાક સીઝન દરમિયાન આયાત ન કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાતરની ઉપલબ્ધતા પૂરતી અને આરામદાયક સ્થિતિમાં છે. 1 માર્ચથી 14 જૂન વચ્ચે ભારતે 39.36 લાખ ટન ખાતરની આયાત કરી હતી અને 123.65 લાખ ટન ખાતરનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કર્યું હતું. 14 જૂન સુધીમાં દેશમાં સ્ટોક 196.65 લાખ ટન હતો, જ્યારે ચાલુ ખરીફ સીઝન દરમિયાન 102.78 લાખ ટન ખાતરનું વેચાણ થઈ ચૂક્યું છે.



