GST કાઉન્સિલની બાર સપ્ટેમ્બરની બેઠક પછી મોબાઈલ સસ્તા થઈ શકે

જીએસટી કાઉન્સિલની બાર સપ્ટેમ્બરની બેઠકમાં મોબાઈલ પરના ટેક્સના દર ઘટાડવામાં આવે તેવી શક્યતા
માસિક રૂ. 2.5 લાખની ટેક્સ ક્રેડિટ પાસ કરતાં વેપારીઓને જીએસટી રજિસ્ટ્રેશન અગ્રતાને ધોરણે અને સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે
ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારાઓને સુરક્ષિત કરવા માટે ટેકનોલોજી અને કાયદાકીય મિકેનિઝમ્સ પર વિચારણા કરવામાં આવશે. તદુપરાંત બાંધકામ સંબંધિત ક્રેડિટ પરના નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.
અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની બારમી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં મળનારી બેઠકમાં મોબાઈલ પર વસૂલવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના છે. 12 સપ્ટેમ્બર સવારે અગિયાર વાગ્યે જીએસટી કાઉન્સિલની બેઠક શરૂ થશે. જીએસટી કાઉન્સિલની બારમી સપ્ટેમ્બરની બેઠક પૂર્વે 11 સપ્ટેમ્બર સવારે 11:00 વાગ્યાથી અધિકારીઓની એક અલગ બેઠક મળશે. બાર સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલ 57મી મીટિંગ યોજાશે.
જીએસટી કાઉન્સિલની બેઠકના એજન્ડામાં મોબાઈલ પરના જીએસટીના દર 18 ટકાથી બાર ટકા કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. ગયા વર્ષના મુખ્ય સુધારામાં જીએસટીના 5 ટકા, 18 ટકા અને 40 ટકાના ત્રણ જ સ્લેબના માળખાને મંજૂર કરવામાં આવ્યું છે. પરિણામે ગ્રાહકોને ઘણી વસ્તુઓ સસ્તી મળતી થઈ હતી. તેની સાથે જ મહિને ₹2.5 લાખથી વધુનો ટેક્સ ક્રેડિટ પાસ કરતા મોટા વ્યવસાયો માટે જીએસટીના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાઓને સરળ બનાવવાની સંભવિત ચર્ચા પણ બારમી સપ્ટેમ્બરની બેઠકમાં કરવામાં આવશે.
તેની સાથે જ માલના સપ્લાયર ડિફોલ્ટ થાય ત્યારે પ્રામાણિક ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારાઓને સુરક્ષિત કરવા માટે ટેકનોલોજી અને કાયદાકીય મિકેનિઝમ્સ પર વિચારણા કરવામાં આવશે. તદુપરાંત બાંધકામ સંબંધિત ક્રેડિટ પરના નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી શકે છે. તેવી જ રીતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના માર્ચ 2026 ના અભ્યાસમાં 56મી કાઉન્સિલ મીટિંગના ઘટાડા પછી ગ્રાહકો સુધી ભાવ ઘટાડો પહોંચવા અંગે મિશ્ર પરિણામો સામે આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. એર કંડિશનર (-6.4 ટકા), મોટર કાર/જીપ (-7.52 ટકા) અને મોટરસાઇકલ/સ્કૂટર (-5.19 ટકા) જેવી મુખ્ય ટકાઉ ચીજવસ્તુઓ અને વાહનોના ભાવમાં ઘટાડો થયો છે.
નીચા ટેક્સ સ્લેબ અથવા મુક્તિ હોવા છતાં, કેટલીક પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને આવશ્યક દવાઓ (જેમ કે હેર ઓઇલ, ક્રીમ, ટૂથપેસ્ટ અને ફાર્માસ્યુટિકલ્સ) માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધ્યો છે. આ બાબતે વિગતવાર ચર્ચાવિચારણા કરવામાં આવશે.
શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ મેઘરાજ ડોડવાણી કહે છે મોબાઈલના વેેપાર વધારવા માટે 18ટકામાંથી 12 ટકા જીએસટી થવો જોઈએ. વેપાર ધંધા ઘટી ગયા છે. તેમાં વૃદ્ધિ કરવા માટે પણ જરૂરી છે. તેમ જ લોકોને મોબાઈલનો ખર્ચ કરવાનો પરવડે તે માટે પણ મોબાઈલ સસ્તા થવા જરૂરી છે. ઓનલાઈન વેપારની પણ છૂટક વેેપારીઓના ધંધા પર અસર પડી હોવાથી આ પગલુ લેવું જરૂરી છે.
