ઓપન માર્કેટ બાયબેકની જાહેરાતો રૂ. ૨૫,૦૦૦ કરોડની નજીક પહોંચી

રોકડ વળતર ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએઃ ઓપન-માર્કેટ બાયબેકમાં મોટો ઉછાળો આવવાની સંભાવના; કેશ રિટર્ન ૩ વર્ષની સર્વોચ્ચ સપાટીએ
અમદાવાદઃ કંપનીઓએ ૨૦૨૬ માં અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૨૫,૦૦૦ કરોડના બાયબેકની જાહેરાત કરી દીધી છે, જેની સરખામણીએ ૨૦૨૫ માં રૂ. ૧૯,૧૭૫ કરોડ અને ૨૦૨૪ માં રૂ. ૧૩,૫૩૯ કરોડના બાયબેક જાહેર થયા હતા. આ આંકડો ૨૦૨૩ પછીના સર્વોચ્ચ સ્તરે છે, જ્યારે એક્સચેન્જ રૂટ ધીમે-ધીમે બંધ કરવામાં આવ્યો તે પહેલાં કંપનીઓએ રૂ. ૪૮,૪૫૨ કરોડના બાયબેકની જાહેરાત કરી હતી.
સેક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ લિસ્ટેડ કંપનીઓ માટે ઓપન-માર્કેટ બાયબેક એટલે કે શેર પરત ખરીદવા માટેના સ્ટોક એક્સચેન્જ રૂટને વધુ લવચીક-સ્થિતિસ્થાપક અને સરળ બનાવીને ફરીથી રજૂ કર્યો છે. ભારતીય કંપનીઓ શેરધારકોને કેપિટલ રિટર્ન (મૂડી પરત) આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે. આ વર્ષે બાયબેકની જાહેરાતો અગાઉના સતત બે વર્ષના કુલ આંકડાને વટાવી ગઈ છે.
હાલમાં અમલમાં રહેલા ‘ટેન્ડર ઓફર રૂટ-ટેન્ડરના માધ્યમથી બાયબેક- શેર્સ પરત ખરીદી લેવાની’ વ્યવસ્થા અલગ છે. ટેન્ડર ઓફરમાં કંપનીઓ એક ચોક્કસ ઓફર સમયગાળા દરમિયાન નિયત કિંમતે શેર પાછા ખરીદે છે, જ્યારે સ્ટોક એક્સચેન્જ રૂટ કંપનીઓને નિર્ધારિત સમયગાળા દરમિયાન બજારમાં પ્રવર્તમાન ભાવો પર સીધા જ બજારમાંથી શેર ખરીદવાની મંજૂરી આપે છે.
“સેબીનો વર્ષમાં બે વાર બાયબેકની મંજૂરી આપવાનો નિર્ણય કંપનીઝ એક્ટ એમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૬ સાથે સુસંગત છે. તે લિસ્ટેડ કંપનીઓને કેપિટલ મેનેજમેન્ટમાં વધુ સુગમતા પૂરી પાડે છે, તેથી જ ભારતીય કંપનીઓએ ૨૦૨૬ માં અત્યાર સુધીમાં રૂ. ૨૫,૦૦૦ કરોડના બાયબેકની જાહેરાત કરી દીધી છે, જે ૨૦૨૩ પછી સૌથી વધુ છે.”
બજારના નિષ્ણાતો કહે છે કે જે કંપનીઓ પોતાની માલિકી મજબૂત કરવા અને શેરનું મૂલ્ય વધારવા માંગે છે તેમના માટે ઓપન માર્કેટ બાયબેક રૂટ ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવતા બાયબેકથી માત્ર વહીવટી બોજ જ ઓછો થતો નથી, પરંતુ સમય અને કિંમત બંને બાબતે વધુ સુગમતા મળે છે.
સેબીના બોર્ડે શુક્રવારે ઓપન-માર્કેટ બાયબેક માટે સ્ટોક એક્સચેન્જ રૂટને ૧ ઓગસ્ટથી ફરીથી દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે, જેને છેલ્લા ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે બંધ કરવામાં આવ્યો હતો. ૨૦૨૨ માં ૨૨ કંપનીઓએ અને ૨૦૨૩માં સાત કંપનીઓએ આ એક્સચેન્જ રૂટનો ઉપયોગ કર્યો હતો. બીજીતરફ ૨૦૨૪, ૨૦૨૫ અને ૨૦૨૬માં જાહેર કરાયેલા તમામ બાયબેક માત્ર ટેન્ડર ઓફર રૂટ દ્વારા જ કરવામાં આવ્યા છે.
અગાઉના ટેક્સ માળખાએ આ વ્યવસ્થાને બિનઆકર્ષક બનાવી દીધી હતી, કારણ કે બાયબેકમાં ભાગ લેનારા રોકાણકારો પર ડિવિડન્ડ ટેક્સના દરે ટેક્સ વસૂલવામાં આવતો હતો. આના કારણે સેકન્ડરી માર્કેટમાં શેર વેચવા કરતાં આ રૂટ ઓછો આકર્ષક બન્યો હતો, કારણ કે ત્યાં કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ પડતો હતો. ત્યારબાદ ટેક્સ માળખામાં કરાયેલા ફેરફારોએ બાયબેકમાં ભાગ લેનારા મોટાભાગના રોકાણકારો માટે કેપિટલ ગેઇન્સની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી દીધી છે. તેથી બાયબેકની વ્યવસ્થા ફરી લોકપ્રિય બની છે. આ નવી વ્યવસ્થા વધુ કડક નિયમો અને સુરક્ષાના પગલાં સાથે પરત આવી છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
- બાયબેક પ્રક્રિયા પૂર્ણ કરવાની સમયમર્યાદા છ મહિનાના બદલે ટૂંકાવીને ૬૬ કામકાજના દિવસોની કરવામાં આવી છે.
- ઓફર સમયગાળાના પ્રથમ અર્ધભાગ (ફર્સ્ટ હાફ) દરમિયાન પ્રસ્તાવિત બાયબેકના ઓછામાં ઓછા ૪૦ ટકા ખરીદી પૂરી કરવી ફરજિયાત છે.
- ડિસ્ક્લોઝર એટલે કે કંપની અંગેની માહિતી જાહેર કરવાના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.
- પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપની સંસ્થાઓ પાસેથી શેર ખરીદવા પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
કઈ કંપની કેટલું બાયબેક કરશે
કંપનીઓ પાસે હવે મર્ચન્ટ બેન્કરની નિમણૂક કર્યા વિના પણ બાયબેક કરવાની સુવિધા રહેશે. આ સંજોગોમાં સંબંધિત જવાબદારીઓ કંપની, તેના કમ્પ્લાયન્સ ઓફિસર, સ્ટેચ્યુટરી ઓડિટર, સેક્રેટરીયલ ઓડિટર અને સ્ટોક એક્સચેન્જો વચ્ચે વહેંચવામાં આવશે. આગામી સમયમાં બાયબેક લાવનારી કંપનીઓની લાઈનમાં વિપ્રોની રૂ. ૧૫,૦૦૦ કરોડની ઓફર, બજાજ ઓટોની રૂ.૫,૬૩૩ કરોડની ઓફર અને ઝાયડસ લાઈફસાયન્સિસની રૂ. 2૧,૧૦૦ કરોડની દરખાસ્તનો સમાવેશ થાય છે. તદુપરાંત સાયએન્ટ, ટીમલીઝ સર્વિસીસ, કજારિયા સિરામિક્સ, રોલેક્સ રિંગ્સ, ધાનુકા એગ્રીટેક, સાયબરટેક સિસ્ટમ્સ અને ગાંધી સ્પેશિયલ ટ્યુબ્સની બાયબેકની ઓફર્સ પણ પાઇપલાઇનમાં છે. બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ પુનઃજીવિત વ્યવસ્થા ઓગસ્ટ પછી બાયબેકની જાહેરાત કરનારી કંપનીઓને એક વધારાનો વિકલ્પ આપશે, જોકે કંપનીઓ આ એક્સચેન્જ રૂટને કેટલા વ્યાપક સ્તરે અપનાવે છે તેનું મૂલ્યાંકન કરવું અત્યારે વહેલું ગણાશે.
ઓપન માર્કેટ બાયબેકથી કંપનીને થતા ફાયદા
- વહીવટી સરળતા: ટ્રેડિંગ વિન્ડો દ્વારા સીધા બજારમાંથી શેર ખરીદવાના હોવાથી ટેન્ડર ઓફરની સરખામણીએ વહીવટી અને કાનૂની બોજ ઓછો થાય છે.
- સમય અને કિંમતની સુગમતા: કંપની પ્રવર્તમાન બજારભાવે પોતાની અનુકૂળતા મુજબ સમય નક્કી કરીને શેર ખરીદી શકે છે, જેથી કેપિટલ મેનેજમેન્ટ-મૂડીનું સંચાલન વધુ લવચીક-સ્થિતિસ્થાપક બને છે.
- માલિકી મજબૂત થવી: બજારમાંથી શેર ઓછા થતાં પ્રમોટર્સ હોલ્ડિંગ મજબૂત બને છે.
ઓપન માર્કેટ બાયબેકથી શેરહોલ્ડરને થતા ફાયદા
- શેરના ભાવમાં ટેકો: કંપની પોતે જ બજારમાં મોટી ખરીદદાર બનતી હોવાથી શેરના ભાવને મજબૂત સપોર્ટ મળે છે અને વેલ્યુ વધે છે.
- ટેક્સમાં રાહત: ટેક્સ માળખાના સુધારા મુજબ બાયબેકમાં ભાગ લેનારા રોકાણકારોને કેપિટલ ગેઇન્સ ટેક્સનો લાભ મળે છે, જે અગાઉના ઊંચા ડિવિડન્ડ ટેક્સ કરતાં વધુ ફાયદાકારક છે.
- ભવિષ્યની કમાણીમાં ફાયદો: કુલ શેરોની સંખ્યા ઘટવાથી ભવિષ્યમાં કંપનીની શેરદીઠ કમાણી વધે છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે ફાયદાકારક છે.
કંપનીઓ કેવો ગેરલાભ લઈ શકે
હા, ઓપન-માર્કેટ બાયબેક (સ્ટોક એક્સચેન્જ રૂટ) માં જો કંપનીઓ કોઈ ગેરલાભ ઉઠાવે, તો તેમાં પોતાના શેર વેચી દેનારા સામાન્ય રોકાણકારોને ચોક્કસ નુકસાન કે ગેરફાયદો થવાની સંભાવના રહેલી છે. સેબીએ ભૂતકાળમાં આ જ કારણોસર આ રૂટ બંધ કર્યો હતો અને હવે તેને વધુ કડક નિયમો સાથે પાછો લાવ્યું છે.
રોકાણકારોને શું નુકસાન થઈ શકે
ટેન્ડર ઓફર રૂટમાં કંપની પહેલાથી જ એક ઊંચો અને ફિક્સ ભાવ (દા.ત. બજારભાવ રૂ. ૧૦૦ હોય તો રૂ.૧૩૦નો બાયબેક ભાવ) નક્કી કરે છે, જેનો લાભ દરેકને સરખો મળે છે. જ્યારે ઓપન-માર્કેટમાં કંપની રોજબરોજના ચાલુ બજારભાવે શેર ખરીદે છે. જો કંપની કોઈ ચોક્કસ વ્યૂહરચનાથી નીચા ભાવે ખરીદી ચાલુ રાખે, તો શેર વેચનારને કોઈ ખાસ પ્રીમિયમ કે વધારાનો નફો મળતો નથી.
ઇન્સાઇડર ટ્રેડિંગ અને ભાવમાં હેરાફેરી થઈ શકે
કંપની ક્યારે, કેટલા શેર અને કયા ભાવે ખરીદશે તેની સામાન્ય રોકાણકારને રોજબરોજ ખબર નથી હોતી. કંપનીના સંચાલકો કે પ્રમોટરો આ આંતરિક માહિતી-ઇનસાઈડર ટ્રેડિંગનો દુરુપયોગ કરીને બજારમાં કૃત્રિમ રીતે શેરના ભાવ વધારી કે ઘટાડી શકે છે. જે સામાન્ય રોકાણકારો આ હેરાફેરીને સમજી શકતા નથી, તેઓ વહેલા કે ખોટા ભાવે શેર વેચીને નુકસાન ભોગવે છે.
અર્ધવચ્ચેથી જ બાયબેક બંધ કરી દેવું
ભૂતકાળમાં કંપનીઓ માત્ર બજારમાં તેજી લાવવા કે રોકાણકારોને આકર્ષવા માટે મોટા બાયબેકની જાહેરાત કરી દેતી હતી, પરંતુ વાસ્તવમાં બજારમાંથી બહુ ઓછા શેર ખરીદતી હતી. જો કોઈ રોકાણકાર કંપની ખરીદી કરશે તેવી આશાએ શેર પકડી રાખે અથવા વેચી દે, અને કંપની અધવચ્ચેથી બાયબેક સંકેલી લે, તો રોકાણકાર છેતરાઈ જાય છે.
સેબીના નવા કડક નિયમો
આ જ ગેરલાભોને રોકવા માટે સેબીએ આ વખતે નવા સુરક્ષા નિયમો મૂક્યા છે. હવે કંપનીઓએ બાયબેક પ્રક્રિયા માત્ર ૬૬ દિવસમાં જ પૂરી કરવી પડશે (પહેલા ૬ મહિના મળતા હતા). એટલું જ નહીં, જે કદના બાયબેકની જાહેરાત કરી હોય, તેના ઓછામાં ઓછા ૪૦ ટકા શેર પ્રથમ અડધા સમયગાળામાં ખરીદવા જ પડશે, જેથી કંપનીઓ ખોટો દેખાવ ન કરી શકે. આ ઉપરાંત પ્રમોટરો આ ગાળામાં પોતાના શેર વેચી શકશે નહીં.



