લોન ન ભરનરને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરી દેવાનો રિઝર્વ બેન્કનો આદેશ

આંતરિક પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ ખાતામાં ઈરાદાપૂર્વક ડિફોલ્ટ એટલે કે પૈસા હોવા છતાંય બેન્ક લોનના પૈસા જમા ન કરાવતો હોવાનું જોવા મળે તો બેંકે તે ખાતાને નોન પરફોર્મિંગ એસેટ-ફસાયેલી મૂડી તરીકે વર્ગીકૃત કર્યા પછી વધુમાં વધુ છ મહિનાની અંદર તેને વિલફુલ ડિફોલ્ટર તરીકે જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, એમ રિઝર્વ બેન્કે જણાવ્યું છે.
રિઝર્વ બેન્કે સુધારેલી માર્ગદર્શિકા દેશની દરેક કોમર્શિયલ બેન્કોને લાગુ પડશે. રિઝર્વ બેન્કે નવી જાહેર કરેલી માર્ગદર્શિકા પહેલી એપ્રિલ 2026થી લાગુ કરવામાં આવશે. વિલફુલ ડિફોલ્ટ કોને કહી શકાશે તેની વિગતોમાં ઊંડા ઉતરીએ તો ઉધાર લેનાર-લોન લેનાર પાસે ચૂકવણી કરવાની ક્ષમતા હોવા છતાં તે ચૂકવણી કરતો નથી. બે, ઉધાર લીધેલી રકમનો ગેરવપરાશ અથવા ગબન કરે છે. જે હેતુ માટે લોન લીધી હોય તે હેતુ માટે ન ખર્ચીને અન્યત્ર ફંડને ડાયવર્ટ કરી દેવામાં આવે છે.
ત્રણ, લોન સામે મિલકત ગિરો મૂકવાની હોય છે. બેન્કની મંજૂરી વિના ગિરો રાખેલી મિલકત વેચી શકાતી નથી. છતાંય ગરબડ કરીને ગિરો મૂકેલી મિલકતને વેચી મારે છે. બેન્કને તેની જાણ જ થવા દેતા નથી. બેન્કના કોઇ અધિકારીને લાંચ આપીને તેને ફોડી નાખીને કે પછે સ્ટેમ્પડ્યૂટી રજિસ્ટ્રાર કચેરીના અધિકારીને ફોડે નાખીને તેમના સહયોગ મેળવીને મિલકત વેચી દેવામાં આવે છે. આ નિયમોનો મુખ્ય હેતુ ક્રેડિટ શિસ્ત અને જવાબદારી વધારવાનો છે.
આવકવેરામાં પણ ડિફોલ્ટર્સ
અમદાવાદની આવકવેરા કચેરીના ટેક્સ ડિફોલ્ટરની ટાંચમાં લેવાયેલી રૂ. 3 કરોડના મૂલ્યની મિલકત સબરજિસ્ટ્રારની કચેરીના અધિકારીના સહયોગમાં વેચી દેવામાં આવી હોવાના કિસ્સા છે. આવકવેરાની અમદાવાદ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા 12થી વધુ ડિફોલ્ટર્સની મિલકતો વેચાઇ જતાં તેમના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. ટેક્સ ડિફોલ્ટર સામે પગલાં લેવાને બદલે ને સબરજિસ્ટ્રારની કચેરીના અધિકારી સામે પગલાં લેવાને બદલે આવકવેરા કચેરીના અધિકારીઓ પણ રહસ્યમય મૌન સેવીને બેસી ગયા છે.


