ડિજિટલ પેમેન્ટ માટે RBIએ નવું ઇ-મેન્ડેટ ફ્રેમવર્ક નક્કી કર્યું

બેન્ક ખાતેદારોને તેને માટે કોઈ હિડન ચાર્જ ચૂકવવા પડશે નહિ. ખાતાઓમાં થતાં વહેવારો વધુ સુરક્ષિત બનશે. દરેક વહેવાર પર નિયંત્રણ જળવાઈ રહેશે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ પેમેન્ટ માટે નવો ઇ-મેન્ડેટ ફ્રેમ વર્ક નક્કી કર્યો છે. 2026ના આ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં પુનરાવર્તીત ડિજિટલ પેમેન્ટ્સ એટલે કે એક જ જગ્યાએ વારંવાર કરવાના થતાં પેમેન્ટ માટે નવા સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. ગ્રાહક પાસેથી ઈ-મેન્ડેટ (e-mandate) સુવિધા માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં.
હા, તેને માટે ગ્રાહકે ઇ-મેન્ડેટ માટે એક વખત રજિસ્ટ્રેશન કરવું પડશે. તેમાં ઓથેન્ટિકેશન માટે એડિશનલ ફેક્ટર-વધારાના પરિબળો જરૂરી બનશે. તેમાં ઓટીપી-વનટાઈમ પાસવર્ડ અને બાયોમેટ્રિક જેવી વધારાની સુરક્ષા દાખલ કરવામાં આવશે. દરેક ડેબિટના 24 કલાક પહેલા પ્રી નોટિફિકેસન મોકલવામાં આવશે. ટ્રાન્ઝેક્શન થઈ ગયા બાદ પણ ખાતેદારને નોટિફિકેશન મોકલવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
તેની સાથે જ પેમેન્ટ કરવાનું છે તે મર્ચન્ટનું નામ, રકમ, તારીખ-સમય તથા ઈ-મેન્ડેટનો રેફરન્સ નંબર અને ડેબિટનું કારણ પણ આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. હા, રૂ. 15,000 સુધીનું પેમેન્ટ કરવા માટે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે નહિ. રૂ. 15000થી વધુ રકમનું પેમેન્ટ કરવા માટે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
ખાસ કિસ્સાઓમાં એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન વિના જ રૂ. 1 લાખ સુધીનું પેમેન્ટ કરી શકાશે. વીમાના પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી, ક્રેડિટ કાર્ડના બિલ વગેરેની ચૂકવણી માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે.
ઇ-મેન્ડેટની સુવિધા નિશ્ચિત રકમ અથવા વેરિયેબલ એમાઉન્ટ એટલે કે જુદી જુદી રકમના પેમેન્ટ કરવા માટે એટલે કે બંને માટે સુવિધા મળશે. તેમાં ગ્રાહકો મેક્ઝિમમ લિમિટ સેટ કરી શકશે. તેને માટેનો વેલીડિટી પિરિયડ પણ ગ્રાહક નક્કી કરી શકે છે. તેમાં ગ્રાહક કે ખાતેદાર ઇચ્છે ત્યારે સુધારો કરી શકશે. આ વ્યવસ્થાને ખાતેદાર કેન્સલ પણ કરી શકશે. હા, આ ફેરફાર કરવા માટે પણ એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી છે.
તેમને શોર્ટ મેસેજ સર્વિસ કે ઇ-મેઈલ જેવા વિકલ્પોમાંથી પસંદગી કરવાની તક આપવામાં આવશે. તેમાં ગ્રાહક પોતાની પસંદગી બદલી શકે છે. તેમાં ખાસ છૂટછાટ પણ આપવામાં આવેલી છે. ફાસ્ટટેગ ઓટો રિચાર્જની સુવિધા પણ તેમાં આપવામાં આવેલી છે. ખાતેદારોને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ પણ આપવામાં આવશે. તેને માટે પ્રીનોટિફિકેશનની પણ જરૂર રહેશે નહિ.
આ સંદર્ભમાં બેન્કોએ ઇશ્યૂઅર ગ્રીવન્સ સિસ્ટમની વ્યવસ્થા ફરજિયાત ઊભી કરવી પડશે. અનધિકૃત નાણાંકીય વહેવારો ખાતામાં થાય તો તેને માટે ગ્રાહકોની જવાબદારી સીમિત કરી દેવામાં આવશે. તેનાથી ડિજિટલ પેમેન્ટ વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે. ગ્રાહકોના નાણાંકીય વહેવારો વધુ નિયંત્રણ સાથેની વ્યવસ્થામાં થશે. તેમ જ એસઆઈપી-સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ઈએમઆઈ-માસિક હપ્તા કે સબસ્ક્રિપ્શન લેવાની કામગીરી વધુ સરળ બની જશે.
બેન્ક ખાતેદારોને તેને માટે કોઈ હિડન ચાર્જ ચૂકવવા પડશે નહિ. તેમના ખાતાઓમાં થતાં વહેવારો વધુ સુરક્ષિત બનશે. દરેક વહેવાર પર નિયંત્રણ જળવાઈ રહેશે.


