• 20 August, 2026 - 12:08 PM

રૂ. 25 લાખ કે તેથી વધુ વિદેશ મોકલી રહ્યા છો? આવકવેરાની તપાસ કઈ બાબતોથી શરૂ થઈ શકે છે

રૂ. 25 લાખ કે તેથી વધુ વિદેશ મોકલી રહ્યા છો? આવકવેરાની તપાસ કઈ બાબતોથી શરૂ થઈ શકે છે

ટેક્સ વિભાગ વિદેશી રેમિટન્સ પર રાખે છે નજર: માતાપિતા અને રોકાણકારોએ શું જાણવું જરૂરી છે

શું તમને લાગે છે કે તમારું વિદેશી ટ્રાન્સફર ટેક્સ-ક્લિયર્ડ છે? ફરીથી વિચારો

બેંક અથવા અધિકૃત ફોરેક્સ ડીલર દ્વારા વિદેશમાં નાણાં મોકલવાથી કરદાતા આપમેળે આવકવેરા વિભાગની નજરમાં ગુનેગાર બની જતા નથી. પરંતુ વિભાગની તાજેતરની દેશવ્યાપી ચકાસણી ઝુંબેશ એ યાદ અપાવે છે કે આરબીઆઈની વિદેશી વિનિમય મર્યાદામાં હોવું અને આવકવેરાનું પાલન કરવું એ બે અલગ-અલગ બાબતો છે. આવકવેરા વિભાગે બહાર મોકલાતા વિદેશી નાણાંના ડેટાના વિશ્લેષણ પછી આશરે 394 સંસ્થાઓ અને 36 વ્યાવસાયિકોને આવરી લેતી દેશવ્યાપી ચકાસણી કામગીરી શરૂ કરી છે. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે અલ્પ કે નગણ્ય વ્યાપારી પ્રવૃત્તિ દર્શાવતી સંસ્થાઓનું એક નેટવર્ક વિદેશમાં મોટી રકમ મોકલી રહ્યું હતું.

આ કામગીરી નકલી દાન અને યોગદાન સામે બોગસ એન્ટ્રીઓ પૂરી પાડવામાં કથિત રીતે સામેલ બનાવટી ચેરિટેબલ ટ્રસ્ટોના જૂથ પર પાડવામાં આવેલા દરોડા પછી શરૂ કરવામાં આવી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, વિદેશમાં મોટું ફંડ ટ્રાન્સફર કરતી કેટલીક સંસ્થાઓ કાં તો આઈટીઆર ફાઈલ કરતી ન હતી અથવા તો ખૂબ જ ઓછું ટર્નઓવર દર્શાવતી હતી, જે મોકલવામાં આવતી રકમ સાથે મેળ ખાતું ન હતું. વિભાગને એ પણ જાણવા મળ્યું છે કે ફ્રેટ પેમેન્ટ્સ, સોફ્ટવેર આયાત અને કન્સલ્ટિંગ સેવાઓ સહિત રેમિટન્સના દર્શાવવામાં આવેલા હેતુઓ સંસ્થાઓની વાસ્તવિક વ્યવસાયિક પ્રવૃત્તિઓ સાથે મેળ ખાતા ન હતા. આમાંની કેટલીક સંસ્થાઓ તેમના જાહેર કરાયેલા સરનામા પરથી ચાલતી ન હતી.

18 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં, વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ શેલ કંપનીઓ અને સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી તપાસ છે, નહીં કે દરેક વ્યક્તિગત વિદેશી ટ્રાન્સફરની સામાન્ય સમીક્ષા છે. જેઓ ખરેખર પોતાના બાળકોના અભ્યાસ, પરિવાર કે રોકાણ માટે વિદેશ પૈસા મોકલે છે તેઓ આ તપાસનો સીધો લક્ષ્યાંક નથી, પરંતુ આ ઝુંબેશને કારણે સામાન્ય વ્યક્તિગત ફાઇલિંગની વધુ નિયમિત તપાસ શરૂ થઈ શકે છે, કારણ કે બેંક કે ધિકૃત ડીલરના રેમિટન્સ રેકોર્ડ્સના સ્તરે ડેટા માઇનિંગ થઈ રહ્યું છે.

તપાસ કઈ બાબતોથી શરૂ થઈ શકે?

સિંધાનિયા એન્ડ કંપનીના પાર્ટનર રિતિકા નાયરના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશ હેઠળ એવી કોઈ ચોક્કસ રકમ, દેશ કે લાભાર્થી નથી જેનાથી આપમેળે તપાસ શરૂ થઈ જાય છે. મુખ્ય ધ્યાન શંકાસ્પદ પેટર્ન પર છે, જેમ કે મોટું રેમિટન્સ જે કરદાતાના ટર્નઓવર કે આવક સાથે મેળ ખાતું નથી, વ્યવસાયિક પ્રવૃત્તિ વિનાની સંસ્થાઓ દ્વારા મોટો ઉપાડ, ફ્રેટ કે સોફ્ટવેરના નામે કરાયેલા અયોગ્ય ચુકવણાં, અને એક કરતાં વધુ ભારતીય કંપનીઓ પાસેથી પૈસા મેળવતા સમાન વિદેશી લાભાર્થીઓ. જમીન સરહદી જિલ્લાઓમાં આવેલી સંસ્થાઓ અને વ્યાવસાયિકો દ્વારા જારી કરાયેલા ફોર્મ 15CB (અથવા નવા ફોર્મ 146) ના કેસો પણ આ ચકાસણીનો ભાગ છે. અન્ય રેડ ફ્લેગ્સમાં અપર્યાપ્ત સહાયક દસ્તાવેજો, ખોટી ટેક્સ પદ્ધતિઓ અને એક જ નાનો વ્યાવસાયિકોનો સમૂહ કે જેણે મોટી સંખ્યામાં ફોર્મ 15CB સર્ટિફિકેટ્સ જારી કર્યા હોય તેનો સમાવેશ થાય છે. 

બેંક દ્વારા કરાયેલા ટ્રાન્ઝેક્શન પર પણ સવાલો થઈ શકે

જે વ્યક્તિએ બેંક કે અધિકૃત ફોરેક્સ ડીલર દ્વારા વિદેશમાં પૈસા મોકલ્યા છે, તેના માટે મુખ્ય પ્રશ્ન એ છે કે શું તે વ્યવહારની સ્પષ્ટતા આપી શકાય તેમ છે. “અધિકૃત બેંકનો ઉપયોગ કરવો અને લાગુ પડતો ટેક્સ ચૂકવવો એ પાલન દર્શાવે છે, પરંતુ કરદાતાએ ફંડનો સ્ત્રોત, હેતુ, લાભાર્થી અને વ્યવહારની વાસ્તવિકતા સમજાવવા માટે પણ સક્ષમ હોવું જોઈએ. કરદાતાઓએ તેથી બેંક રેમિટન્સ સ્લિપ, ફોર્મ 15CA/15CB (અથવા વર્તમાન નિયમો મુજબના ફોર્મ્સ), ટીડીએસ (TDS) ચલાન, ઇન્વોઇસ, કરારો અને ફંડના સ્ત્રોતના પુરાવા સાચવી રાખવા જોઈએ. ટેક્સ વિભાગ ડેટા એનાલિટિક્સ, બેંકો દ્વારા આપવામાં આવતી માહિતી અને આંતરરાષ્ટ્રીય માહિતી-શેરિંગ મિકેનિઝમનો ઉપયોગ કરીને અસામાન્ય વ્યવહારો શોધી શકે છે. તેમણે ઉમેર્યું કે વિભાગ પૅન-પરમેેનન્ટ એકાઉન્ટ નંબરને આધારે ડેટા એકત્રિત કરે છે, એટલે કે અલગ-અલગ બેંકો દ્વારા કરાયેલા ટ્રાન્ઝેક્શન્સને એકસાથે જોઈ શકાય છે. જે લોકો એવું વિચારે છે કે અલગ-અલગ બેંકોમાં ટ્રાન્ઝેક્શન વિભાજિત કરવાથી તેઓ બચી જશે, તેમના માટે આ મહત્વપૂર્ણ છે.

ટેક્સ વિભાગ પૅન-લેવલ ડેટા કન્સોલિડેશન કરે છે. એક જ પૅન સાથે જોડાયેલા તમામ ટ્રાન્ઝેક્શન્સ એકત્રિત કરવાથી એવા લોકો પકડાઈ જાય છે જેઓ ટેક્સ કલેક્શન એટ સોર્સની મર્યાદા કે મનિટરિંગ ટ્રિગર્સથી બચવા માટે અલગ-અલગ બેંકોમાં પૈસા વહેંચી દે છે. લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ  હેઠળ કરાતા વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન ઓછું જોખમ ધરાવે છે, પરંતુ જો મોકલેલી રકમ કરદાતાની જાહેર કરાયેલી આઈટીઆરની આવક સાથે મેળ ન ખાતી હોય અથવા ટૂંકા સમયમાં રૂ. 25 લાખથી રૂ. 1 કરોડથી વધુના મોટા ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હોય, તો સખત તપાસ થઈ શકે છે.

LRS મર્યાદાને ટેક્સ-ફ્રી મર્યાદા માનવાની ભૂલ ન કરો

વિદેશી રેમિટન્સ અંગેની સૌથી મોટી ગેરસમજ એ છે કે આરબીઆઈની એલઆરએસની મર્યાદામાં રહેવાથી વ્યવહાર આપમેળે ટેક્સ-સુસંગત બની જાય છે. એવું નથી. એલઆરએસ હેઠળ, ભારતીય નિવાસીઓ શિક્ષણ, મુસાફરી, તબીબી સારવાર, ભેટ અને રોકાણ માટે નાણાકીય વર્ષમાં $250,000 સુધી મોકલી શકે છે. પરંતુ આ $250,000 ની મર્યાદા ફેમાની મર્યાદા છે, ટેક્સ મુક્તિની મર્યાદા નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ વાર્ષિક રૂ. 10 લાખની આવક દર્શાવે છે પરંતુ વર્ષ દરમિયાન વિદેશમાં રૂ. 1.5 કરોડ મોકલે છે, તો એલઆરએસ મર્યાદામાં હોવા માત્રથી તે પૈસા ક્યાંથી આવ્યા તે સાબિત થતું નથી. ટેક્સ વિભાગ તે ફંડના સ્ત્રોત વિશે પૂછપરછ કરી શકે છે.

બાળકો માટે વિદેશ પૈસા મોકલતી વખતે શું ધ્યાન રાખવું?

માતાપિતા તેમના બાળકોના અભ્યાસ અને રહેવાના ખર્ચ માટે નિયમિતપણે પૈસા મોકલે છે. આવા વ્યવહારો આ તપાસનો સીધો લક્ષ્યાંક નથી, પરંતુ પરિવારોએ કાગળ પરના પુરાવા જાળવી રાખવા જોઈએ. બેંકમાં સબમિટ કરેલું એલઆરએસ ડિક્લેરેશન, એડમિશન લેટર, ફી ઇન્વોઇસ, બેંક સ્ટેટમેન્ટ્સ અને ફંડના સ્ત્રોતના પુરાવા સાચવી રાખવા. જો એજ્યુકેશન લોન લીધી હોય તો લોન મંજૂરી પત્ર પણ રાખવો જરૂરી છે.

જો તમે વિદેશમાં રોકાણ કરી રહ્યા છો તો?

વિદેશી શેર કે અસ્કયામતોમાં રોકાણ કરતી વખતે વધારાના નિયમો લાગુ પડે છે. કરદાતાઓએ ખાતરી કરવી જોઈએ કે રોકાણ અને તેનાથી થતી આવક આઈટીઆરના શિડ્યૂલ ફોરેન એસેટ્સમાં યોગ્ય રીતે દર્શાવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ વિદેશી શેર ખરીદવા માટે રૂ. 20 લાખ મોકલે છે પરંતુ પછીથી તે સંપત્તિ જાહેર કરવામાં નિષ્ફળ જાય છે, તો તે ગંભીર ગુનો બની જાય છે. વિદેશી સંપત્તિની વિગતો ન આપવી એ બ્લેક મની એકટ  હેઠળ કાર્યવાહી નોતરી શકે છે.

ફોર્મ 15CB / ફોર્મ 146 શા માટે તપાસ હેઠળ છે

આ તપાસનો બીજો મહત્વપૂર્ણ ભાગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) દ્વારા જારી કરાતા ફોર્મ 15CB/146 સર્ટિફિકેટ્સ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે વ્યાવસાયિકોના નાના જૂથે મોટી સંખ્યામાં સર્ટિફિકેટ્સ આપ્યા હતા અને તે નાણાં વિદેશી કંપનીઓના અમુક ચોક્કસ જૂથોને મળ્યા હતા. આ કારણે 36 વ્યાવસાયિકોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વ્યાવસાયિકોએ સર્ટિફિકેટ આપતા પહેલાં યોગ્ય ચકાસણી અને ચોકસાઈ દાખવવી જરૂરી છે.  કરદાતાઓ માટે મુખ્ય મુદ્દો એ છે કે: જો તમે વિદેશમાં પૈસા મોકલો છો, તો માત્ર બેંકની મંજૂરી પુરતી નથી; પૈસાનો સ્ત્રોત, હેતુ અને યોગ્ય ટેક્સ રિપોર્ટિંગ સાબિત કરવા માટે તમારી પાસે પૂરતા પુરાવા હોવા એટલા જ જરૂરી છે.

Read Previous

કોર્પોરેટ હોસ્પિટલ્સનું વિસ્તરણ પર ફોકસઃ સેવામાં સુધારો થશે કે પછી ટ્રીટમેન્ટ મોંઘી થશે?

Most Popular