• 17 September, 2026 - 1:32 PM

યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લેવાનું શરૂ કરતાં ડિજટલ પેમેન્ટ સિસ્ટમ પર કેવી અસર પડી શકે?

યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લેવાનું શરૂ કરતાં ડિજટલ પેમેન્ટ સિસ્ટમ પર કેવી અસર પડી શકે?
માત્ર 4 ટકા વેપારી વ્યવહારો પર જ આ નવા MDR ની અસર પડશે, કારણ કે 95 ટકાથી વધુ P2M વ્યવહારો રૂ. 2,000 ની અંદરના છે.
એકત્રિત થયેલો ચાર્જ બેંકો અને એપ પ્રોવાઇડર્સ વચ્ચે વહેંચવામાં આવશે, જેનો ઉપયોગ સાયબર સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતામાં થશે. 

ભારત સરકારે 15 ઓક્ટોબરથી યુપીઆઈથી એકવારમાં રૂ. 2,000થી વધુ રકમના પર્સન-ટુ-મરચન્ટ પેમેન્ટ્સ પર 0.4 ટકા મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ દાખલ કરવાની જાહેરાત કરી છે. સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે આ ચાર્જ ગ્રાહકો પર લાગશે નહિ. વ્યક્તિઓ માટે UPI વ્યવહારો સંપૂર્ણપણે મફત અને અમર્યાદિત રહેશે. તેમાં વોલ્યુમની મર્યાદા પણ લાગુ પડશે નહિ. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ મરચન્ટ પેમેન્ટ ઇકોસિસ્ટમનો ચાર્જ છે. તેથી આ ચાર્જનો બોજો માત્ર વેપારીઓ પર પડશે.

ચાર્જ સ્ટ્રક્ચર અને રકમનું ટેબલ

વ્યવહારનો પ્રકાર (Category) પેમેન્ટની રકમ લાગુ પડતો ચાર્જ / નિયમ
P2P (વ્યક્તિથી વ્યક્તિ) ગમે તેટલી રકમ શૂન્ય (સંપૂર્ણ મફત)
P2M (ગ્રાહકથી વેપારી) રૂ. 2,000 સુધી શૂન્ય (સંપૂર્ણ મફત)
P2M (સામાન્ય ખરીદી) રૂ. 2,000 થી વધુ 0.4% MDR (મહત્તમ રૂ. 300)
આવશ્યક ક્ષેત્રો, યુટિલિટી, શિક્ષણ રૂ. 2,000 થી વધુ રૂ. 5 ફ્લેટ ચાર્જ
મ્યુચ્યુઅલ ફંડ્સ અને સિક્યોરિટીઝ રૂ. 2,000 થી વધુ 0.02% MDR (મહત્તમ રૂ. 300)
નાના વેપારીઓ (P2PM) મહિને રૂ. 1 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન શૂન્ય (સંપૂર્ણ મફત)

કેટલા પેમેન્ટ પર કેટલો ચાર્જ અને મહત્તમ રૂ. 300ની મર્યાદા

રૂ. 3,000 ના પેમેન્ટ પર: 0.4% લેખે વેપારીએ રૂ. 12 ચાર્જ ચૂકવવો પડશે. રૂ. 50,000 ના પેમેન્ટ પર: 0.4% લેખે રૂ. 200 ચાર્જ લાગશે.
મહત્તમ રૂ. 300 નો ચાર્જ: 0.4% મુજબ ગણતરી કરતા રૂ. 75,000 ના પેમેન્ટ પર ચાર્જ રૂ. 300 થાય છે. તેથી રૂ. 75,000 અને તેથી વધુ (દા.ત. રૂ. 1,00,000) ની રકમના પેમેન્ટ પર મહત્તમ રૂ. 300 ચાર્જ કેપ (Capped) લાગુ પડશે. આવશ્યક ક્ષેત્રો (રેલવે, ટેલિકોમ, વીમો, બળતણ, કૃષિ, વીજળી/પાણી/ગેસ બિલ, ટ્યુશન ફી): રૂ. 2,000 થી વધુના પેમેન્ટ પર રકમ ગમે તેટલી હોય, માત્ર રૂ. 5 નો ફ્લેટ ચાર્જ લાગશે.
અસર કોના પર પડશે
માત્ર એવા P2M વેપારીઓ પર જેમના વ્યવહારો રૂ. 2,000 થી વધુના છે અને જેમનું માસિક ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખથી વધુ છે. સરકારી ડેટા મુજબ માત્ર 4 ટકા વેપારી વ્યવહારો પર જ આ નવા MDR ની અસર પડશે, કારણ કે 95 ટકાથી વધુ P2M વ્યવહારો રૂ. 2,000 ની અંદરના છે. ગ્રાહકો માટે ટ્રાન્સફર મફત હોવાથી અને 95% P2M વ્યવહારો મફત હોવાથી ટ્રાન્ઝેક્શન યથાવત રહેવાની કે વધવાની શક્યતા છે.
બેન્ક વ્યવહારો તરફ લોકો પરત ફરશે કે કેમ
ગ્રાહકો પર કોઈ ચાર્જ ન હોવાથી અને P2P (જે વોલ્યુમના 37% અને વેલ્યુના 70% છે) સંપૂર્ણ મફત હોવાથી ગ્રાહકો રોકડ કે બેન્કના પરંપરાગત વ્યવહારો તરફ પરત ફરે તેવી કોઈ શક્યતા ડેટા દર્શાવતો નથી. એકત્રિત થયેલો ચાર્જ બેંકો અને એપ પ્રોવાઇડર્સ વચ્ચે વહેંચવામાં આવશે, જેનો ઉપયોગ સાયબર સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતામાં થશે.  સરકાર અને NPCI એ સ્પષ્ટ સૂચના આપી છે કે UPI એપ પ્રોવાઇડર્સ પર પ્લેટફોર્મ ફી કે છુપા ચાર્જ લેવા પર સખત પ્રતિબંધ છે. બેંકોને પણ વેપારીઓ ગ્રાહકો પર આ ચાર્જ ન નાખે તે સુનિશ્ચિત કરવા આદેશ અપાયો છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકૃત ડેટા અનુસાર યુપીઆઈ નેટવર્ક પરના દૈનિક અને વાર્ષિક વ્યવહારોની વિગતવાર માહિતી નીચે મુજબ છે. નાણાકીય વર્ષ 2025-26 માં UPI દ્વારા કુલ 24,162 કરોડ વ્યવહારો થયા હતા, જેનું કુલ મૂલ્ય રૂ. 314 લાખ કરોડનું નોંધાયું છે. અન્ય ડિજિટલ પેમેન્ટ એપીપીએસ દ્વારા ચાર્જ વસૂલવાની સંભાવના જરાય નથી. અધિકૃત સરકારી નિયમો અને NPCI ની માર્ગદર્શિકા મુજબ Google Pay, PhonePe, Paytm કે અન્ય કોઈ પણ UPI પ્લેટફોર્મ પ્રોવાઇડર ગ્રાહકો પાસેથી કે પોતાની તરફથી વધારાનો કોઈ અલગ ચાર્જ વસૂલ કરી શકશે નહીં. નાણા મંત્રાલય અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકૃત નોટિફિકેશન મુજબ UPI એપ્સ પર પ્લેટફોર્મ ફી કે કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ (Hidden Charges) લેવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
15 ઓક્ટોબરથી લાગુ થનાર 0.4 ટકા MDRએ સિસ્ટમ બેક એન્ડનો  એટલે કે બેંકો અને મરચન્ટ્સ વચ્ચેનો વ્યવસાયિક ચાર્જ છે. પેમેન્ટ એપ સંચાલકો પોતાની મરજીથી યુઝર્સ પર કોઈ નવો ચાર્જ ચાલુ કરી શકે તેવી કોઈ કાનૂની કે નીતિગત સંભાવના નથી. ભારતમાં યુપીઆઈના માધ્યમથી દરરોજ સરેરાશ 66 કરોડથી વધુ વ્યવહારો થાય છે. જુલાઈ ૨૦૨૬ માં દૈનિક મહત્તમ 76.3 કરોડ વ્યવહારો સુધી પહોંચ્યો છે.
UPI દ્વારા દરરોજ સરેરાશ કુલ રૂ. 8 6000 કરોડથી વધુ રકમની આપ-લે થાય છે.
એમડીઆરચાર્જિસથી બચવા એપ યુઝર્સ શું કરી શકે છે 
એમડીઆર ચાર્જ વેપારીઓ પર લગાડવામાં આવ્યો હોવાથી વેપારીઓ તે ચાર્જ કોઈને કોઈ રીતે લોકો પાસે વસૂલવાનો માર્ગ શોધી કાઢશે. તેઓ બિલમાં આડકતરી રીતે તે ચાર્જ ઉમેરી દે તેવી શક્યતા દર્શાવતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ પથિક પટવારી કહે છે કે નાના એમાઉન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગવાના ન હોવાથી યુપીઆઈના ટ્રાન્ઝેક્શન પર એટલે કે શાકભાજી અને કરિયાણાની ખરીદી માટે એપનો યુઝ કરનારાઓ પર આ એમડીઆર ચાર્જની કોઈ જ અસર જોવા મળશે નહિ. મોટા પેમેન્ટ કરનારાઓને તેનું બર્ડન લાગશે નહિ. મોટા પેમેન્ટ કરનારાઓ તો ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પર પણ દોઢથી ત્રણ ટકાનો કમિશન ચાર્જ ચૂકવે જ છે. તેની સામે યુપીઆઈના ચાર્જ બહુ જ ઓછા છે. તેથી તેમના પર તેની મોટી અસર આવશે નહિ. બીજું, મ્યુચ્યુઅલ ફંડ સહિતના મોટા પેમેન્ટ માટે લાગતા ચાર્જથી બચવા માટે ઓટો ડેબિટ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, આઈએમપીએસના માધ્યમથી પેમેન્ટ કરાવીને તેઓ આ ચાર્જથી બચી શકશે. તેને કારણે થોડા ટ્રાન્ઝેક્શન થોડા બેન્ક તરફ ડાયવર્ટ થવાની સંભાવના રહેલી છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરનારાઓ એસઆઈપીમાં બેન્ક મારફતે નાણાં કપાવી શકે છે. તેમણે યુપીઆઈ પેમેન્ટ એપ પર આધાર રાખવો જરૂરી નથી. યુપીઆઈની સમગ્ર પેમેન્ટ સિસ્ટમના ખર્ચનો બોજ તેના આ ચાર્જિસમાંથી જ નીકળી રહે તેવી ગોઠવણ આ વ્યવસ્થાથી કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ ચલાવવા માટેનો બોજ સિસ્ટમના સંચાલક પર ન આવે તેવી ગોઠવણ આ વ્યવસ્થા સાથે કરવામાં આવી રહી છે. 

Read Previous

આજના ટ્રેડિંગ સેશન માટે નિફ્ટી સ્પોટ (Nifty Spot)માં શુ થઈ શકે?

Read Next

આજે બજારમાં શું કરશો?

Most Popular