
આ બે શેર્સમાં ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સ આજે રોકાણ કરવાનું વિચાર કરી શકેઃ શેરબજાર પર આજે પર કયા પરિબળોની આજે અસર જોવા મળી શકે
શેરબજારમાં વધતી અસ્થિરતા વચ્ચે ટેક્નિકલ એનાલિસ્ટ્સે સોમવાર માટે બે શેરોમાં ટૂંકાગાળાની ખરીદીની ભલામણ કરી છે. નિષ્ણાતોના મતે કોફોર્જ અને એનબીસીસી – ઇન્ડિયાના શેરોમાં આગામી દિવસોમાં 7 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. કોફોર્જની વાત કરીએ તો આઈટી સેક્ટરના આ શેરે તાજેતરમાં ચોથા ત્રિમાસિક ગાળાના જાહેર કરેલા પરિણામો બહુ જ સંગીન છે. તેના પરિણામો જાહેર થાય પછી કોફોર્જના શેર તરફ રોકાણકારોનું ધ્યાન ખેંચાયું છે. માર્કેટ નિષ્ણાતોના મતે શેર માટે રૂ. 1,368 આસપાસ ખરીદી કરી શકાય છે. ટાર્ગેટ પ્રાઈસ રૂ. 1,420 થી રૂ1,460 સુધી રાખવામાં આવ્યો છે. સ્ટોપ લોસ રૂ. 1,320 સૂચવાયો છે. તાજેતરમાં કંપનીના નફામાં વર્ષદરમિયાન 134%નો ઉછાળો નોંધાયો હતો, જેના કારણે અનેક બ્રોકરેજ હાઉસે શેર માટે સકારાત્મક અભિપ્રાય આપ્યો છે.
એનબીસીસી ઇન્ડિયાના શેર્સમાં પણ આજે મજબૂત વધારો જોવા મળી શકે છે. સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રની આ કંપનીમાં પણ ટૂંકાગાળામાં તેજીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નિષ્ણાતોએ રૂ. 101 આસપાસ એન્ટ્રી લેવલ સૂચવ્યો છે. શેર માટે રૂ. 104 થી રૂ.108 સુધીનો ટાર્ગેટ પ્રાઈસ અને રૂ. 97-98નો સ્ટોપ લોસ સૂચવાયો છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર કેપેક્સમાં વધતા રોકાણને કારણે કન્સ્ટ્રક્શન અને જાહેર ક્ષેત્રની કંપનીઓના સેક્ટરમાં રસ વધતો જોવા મળી રહ્યો છે.
આજથી નવા સપ્તાહનો આરંભ થઈ રહ્યો છે. દરેક ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સની નજર બજારની મુવમેન્ટ પર રહેશે. બજાર પર અસર કરનારા પરિબળોની તેઓ મનોમન તલાશ કરતાં હશે. આજે શેરબજારો પર અસર કરનારા પરિબળોમાં અમેરિકા-ઈરાન તણાવની અસર જોવા મળશે. મધ્ય પૂર્વમાં વધતી અનિશ્ચિતતા વૈશ્વિક બજારો પર દબાણ ઊભું કરી રહી છે. તદુપરાંત બજાર પર અસર કરનાર પરિબળ તરીકે ક્રૂડ ઓઈલના ભાવને જોવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ ભારત માટે મોંઘવારી અને કરંટ અકાઉન્ટ ડેફિસિટની ચિંતા ઊભી કરે છે.
વિદેશી હૂંડિયામણના બજારમાં રૂપિયાની ચાલ પણ બજાર પર અસર લાવી શકે છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાથી વિદેશી રોકાણકારોની સેન્ટિમેન્ટ અસરગ્રસ્ત બની શકે છે. તદુપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને વેચાણની અસર પણ શેરબજારના પરફોર્મન્સ પર આવશે. ખાસ કરીને વિદેશી અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની પ્રવૃત્તિ બજારની દિશા નક્કી કરશે.
વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ પણ ભારતના શેરબજારો પર અસર લાવી શકે છે. અમેરિકન અને યુરોપિયન બજારોની ચાલ ભારતીય બજાર પર સીધી અસર કરે છે. કંપનીઓના 2025-26ના નાણાંકીય વર્ષના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામો પણ બજારની દશા અને દિશા નક્કી કરી શકે છે..
વોલેટિલિટી ઇન્ડેક્સ એટલે કે શેરબજારમાં વધતી અસ્થિરતા રોકાણકારોમાં ભય વધારતી હોય છે. હાઈ વોલ્યુમ અને 52-વીક હાઈ શેરોના પરફોર્મન્સની અસર પણ બજારમાં જોવા મળે છે. તેથી ટ્રેડરો અને ઇન્વેસ્ટર્સની વધારે ટ્રેડિંગ વોલ્યુમ ધરાવતા અને નવા ઉચ્ચ સ્તરે પહોંચેલા શેરો પર નજર રહેશે. જુદાં જુદાં સેક્ટરની વાત કરવામાં આવે તો બેન્કિંગ, આઈટી, ઓટો અને એનર્જી શેરોની ચાલ સમગ્ર બજારને અસર કરશે.
આ સ્થિતિમાં નિફ્ટીનો ટેક્નિકલ લેવલની વાત કરીએ તો નિફ્ટી 24,200ની નીચે ટકી રહે તો 24,000 સુધી ઘટાડો શક્ય માનવામાં આવે છે.