યુદ્ધ શરૂ થતાં શેરબજારમાં મોટાં કરેક્શન આવતા SIP ઇન્વેસ્ટમેન્ટ્સ રદ થવા લાગ્યા

બજાર ઘટે ત્યારે રોકાણ પાછું ખેંચવાની નીતિને વળગીને પગલાં લેતા રોકાણકારો મોંઘી ભૂલ કરી રહ્યા છેઃ નિષ્ણાતોની ચેતવણી
શેરબજારમાં આવતી કરેકશન (ઘટાડો) ઘણીવાર રોકાણકારોને તેમના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો અને એસેટ એલોકેશન વિશે ફરી વિચાર કરવા પ્રેરે છે. નાણાકીય નિષ્ણાતોના કહેવા મુજબ, લાર્જ-કેપ, મિડ-કેપ, મલ્ટીકૅપ અને હાઇબ્રિડ ફંડ જેવી વિવિધ કેટેગરીમાં ડાયવર્સિફિકેશન રાખવાથી રોકાણકારો બજારની અસ્થિરતા દરમિયાન પણ લાંબા ગાળે રોકાણ જાળવી રાખી શકે છે. બજાર ઘટે ત્યારે SIP બંધ કરી દેવાની જગ્યાએ નિયમિત રોકાણ અને યોગ્ય ડાયવર્સિફિકેશન દ્વારા લાંબા ગાળે સંપત્તિ ઉભી કરવી વધુ યોગ્ય રીત છે.
તાજેતરમાં શેરબજારમાં થયેલી કરેકશન પછી ઘણા રિટેલ રોકાણકારોમાં ચિંતા વધી છે અને સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રદ કરવાનારાઓની સંખ્યા પણ વધી છે. જોકે ઇન્વેસ્ટમેન્ટ ગુરુઓ કહે છે કે બજારના ઘટાડા કરતાં પણ વધારે તો રોકાણકારોની પ્રતિક્રિયા વધુ ચિંતાજનક છે. નાણાકીય સંશોધન સંસ્થા વેલ્યુ રિસર્ચના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું કહેવું છે કે તાજેતરની કરેકશનને અગાઉના મજબૂત ઉછાળા સાથે જોડીને જોવી જોઈએ.
છેલ્લા ચાર વર્ષમાં Nifty 50 લગભગ 80 ટકા જેટલો વધ્યો હતો, તેથી લગભગ 15 ટકાનો ઘટાડો આવે તો તે શેરબજારના ચઢાવઉતારનો એક સામાન્ય ભાગ જ છે, તેને કોઈ સંકટ ગણી લેવાની ભૂલ કરવી જોઈએ નહિ. તેમનું કહેવું છે કે “રોકાણકારો બજારના ઘટાડાથી ગભરાઈ જઈને વધુ પડતો પ્રતિભાવ આપી રહ્યા છે. આ અતિપ્રતિક્રિયા પોતે જ બજારના ઘટાડા કરતાં વધુ જોખમી બની શકે છે. એટલા મોટા ઉછાળા પછી 15 ટકાનો ઘટાડો ગણિતની દ્રષ્ટિએ એકદમ સ્વાભાવિક છે.”
SIP પ્રવાહ હજુ મજબૂત
બજારમાં ઘટાડા છતાં દર મહિને SIPના માધ્યમથી રૂ.30,000 કરોડથી વધુનું રોકાણ થઈ રહ્યું છે, આ જ દર્શાવે છે કે રોકાણકારોની ભાગીદારી હજુ ચાલુ છે. જોકે કેટલાક મહિનાઓમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન રદ કરવાની સંખ્યા નવી SIP શરૂ કરનારાઓ કરતાં વધુ રહી છે. ખાસ કરીને નવા રોકાણકારો, જેમણે પહેલા ક્યારેય મોટું માર્કેટ કરેકશન જોયું નથી, તેઓ ઝડપથી ગભરાઈને રોકાણ બંધ કરી દે છે.
રોકાણકારોની આ વર્તણૂક નુકસાનકારક
રોકાણકારોની આ પ્રકારની વર્તણૂકને કારણે રોકાણકારોને ફંડ કરતાં ઓછું રિટર્ન મળે છે. આ અંગે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન અને રોકાણકારના વાસ્તવિક રિટર્ન વચ્ચે સરેરાશ 4–5 ટકાનો તફાવત આવી જાય છે.
તેના કારણમાં ઊંડા ઉતરીએ. એક, બજાર ઊંચે હોય ત્યારે રોકાણ કરે છે. બે, બજાર નીચે જાય ત્યારે બહાર નીકળી જાય છે. ત્રણ, બજારે રોકાણકારોને 15 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું તો ચિંતા કરવી જ ન જોઈએ. પરંતુ રોકાણકારો તેના પ્રતિભાવ રૂપે SIP બંધ કરવા માંડે છે. આ સ્થિતિમાં સાચી સમસ્યા રોકાણકારોની વર્તણૂકની છે,
શેરબજારના ચઢાવઉતારમાં પણ નાસભાગ ન કરો
શેરબજારમાં અસ્થિરતા સામાન્ય છે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને કોમોડિટી કંપનીઓ લાંબા સમયના રોકાણ ચઢાવ ઉતારની સાઈકલમાંથી પસાર થાય જ છે અને ત્યારબાદ નફો દેખાય છે. લાંબા ગાળાના રોકાણકારો માટે ટૂંકા ગાળાના બજાર ફેરફારો અથવા કંપનીના તાત્કાલિક નફા વિશે વધારે ચિંતા કરવી યોગ્ય નથી. તેના બદલે લાંબા ગાળાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લાંબા ગાળાનું રોકાણ એટલે ઓછામાં ઓછા પાંચ વર્ષ અથવા વધુનું રોકાણ હોવું જોઈએ. જો SIP કરતી વખતે બજાર નીચે જાય તો તેનો અર્થ એ છે કે નવા રોકાણ ઓછા ભાવ પર થઈ રહ્યા છે.
ઓછું જોખમ પસંદ કરનારાઓ માટે વિકલ્પ
કોઈ રોકાણકારને બજારના ઘટાડાથી માનસિક તણાવ થાય, તો તેમને તેમના રોકાણ અભિગમનું પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ. ઓછું જોખમ પસંદ કરનારાઓ વધુ સંરક્ષાત્મક વિકલ્પો પસંદ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિય બનેલા થીમેટિક અથવા સેક્ટર ફંડ વિશે પણ સાવચેત રહેવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. ડિફેન્સ, ઇલેક્ટ્રિક વાહન, મેન્યુફેક્ચરિંગ અથવા એનર્જી ટ્રાંઝિશન જેવી થીમ પર આધારિત ઘણા ફંડો બજારમાં આવ્યા છે, પરંતુ તેઓ ઘણીવાર માર્કેટિંગ પર આધારિત હોય છે. ઘણા થીમેટિક ફંડો રોકાણ ઉત્પાદન કરતાં વધુ માર્કેટિંગ પ્રોડક્ટ હોય છે. તેઓ માત્ર એક સ્ટોરી વેચે છે.
સરળતા વધુ સારું પરિણામ આપે
મોટા ભાગના રોકાણકારો માટે થોડા પસંદગીના ફંડ સાથે સરળ પોર્ટફોલિયો બનાવવો વધુ યોગ્ય છે. એક, યુવાન રોકાણકારો માટે મલ્ટીકૅપ ફંડ યોગ્ય હોઈ શકે છે. બે, 40 વર્ષની આસપાસના રોકાણકારો માટે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ વધુ સંતુલિત વિકલ્પ બની શકે છે. ત્રણ, મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં સફળતા સાચો માર્ગ ફંડની પસંદગી કરવામાં નહીં, પણ રોકાણમાં શિસ્ત-ડિસિપ્લીન રાખવામાં જ છે. બજારમાં જોવા મળતા નાના નાના છમકલાંથી ગભરાઈ જવાની જરૂર જ નથી. દર મહિને રોકાણ કરો, દર મહિને બચત કરો અને લાંબા ગાળે ચાલુ રાખો. રોકાણકારો માટે સૌથી મોટું જોખમ બજાર નથી, પરંતુ તેઓ બજાર પર કેવી પ્રતિક્રિયા આપે છે તે જ છે.



