• 3 April, 2026 - 5:33 PM

ઇરાનના યુદ્ધને કારણે એલ્યુમિનિયમના ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીએ

નવી દિલ્હી: અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને ઇરાન પર આક્રમણ કર્યા પછી કોપર, ઝિંક અને નિકલ સહિતની બેઝિક ધાતુઓમાં ઘટાડો થયો છે. પરંતુ એલ્યુમિનિયમમાં તેજી જોવા મળી રહી છે. 30મી માર્ચ લંડન મેટલ એક્સચેન્જમાં એલ્યુમિનિયમ ફ્યુચર્સના ના ટનદીઠ ભાવ  3492 અમેરિકી ડૉલર બોલાયા હતા. આ સાથે જ એલ્યુમિનિયમના ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચવા આવ્યા છે.

એલ્યુમિનિયમનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ, કન્સ્ટ્રક્શન અને પેકેજિંગમાં થાય છે, તેના ભાવ આ અઠવાડિયામાં લગભગ 4 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ઇરાન દ્વારા મધ્ય પૂર્વના બે મોટા એલ્યુમિનિયમ ઉત્પાદકો પર હુમલા થતા સપ્લાય ઘટાડાની ભીતિ વધી છે. યુદ્ધ પહેલાં આ વિસ્તારમાંથી એલ્યુમિનિયમના વૈશ્વિક સપ્લાયના લગભગ 9 ટકાનો સપ્લાય આવતો હતો.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં વિક્ષેપ ઊભો થયો છે, જેના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. અમેરિકી પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 2–3 અઠવાડિયામાં ઇરાન સામે હુમલાની ધમકી આપી છે. આ ધમકીને પરિણામે અમેરિકન ડોલર મજબૂત બન્યો છે. તેમ જ સેફ-હેવન તરીકે ઊભરી આવ્યો છે. પરિણામ સ્વરૂપે મેટલ માર્કેટમાં નેગેટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ટ્રોય ઔંસદીઠ લગભગ $4,676 સુધી પહોંચ્યો છે. આમ તેમાં એક દિવસમાં જ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ લગભગ $73 પ્રતિ ઔંસ રહ્યો છે. તેમાં પણ લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં શું બદલાવ?

આ અસ્થિરતા વચ્ચે, ભારત સરકારે ASEAN જૂથના દેશોમાંથી સોનું અને અન્ય કિંમતી ધાતુઓની આયાત માટે નિયમો કડક કર્યા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના સૂત્રોનું કહેવું છે કે સોનું, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત હવે રિસ્ટ્રીક્ટેડ-અંકુશિત કેટેગરીમાં મુકી દેવામાં આવી છે  અગાઉ આ વસ્તુઓ ફ્રી ઇમ્પોર્ટની કેટેગરીમાં આવતી હતી. પરંતુ પ્લેટીનમ અને સોનાનું મિશ્રણ કરેલા દાગીના બનાવીને તેની ડ્યૂટી મુક્ત આયાત કરવાનું કૌભાંડ ચાલતું હોવાથી તેના પર અંકુશ લગાવવામાં આવ્યો છે. ડ્યૂટી મુક્ત આયાત ન કરવા દેવામાં આવનારી સોના-ચાંદી અને પ્લેટિનમની વસ્તુઓનો સમાવેશ થાય છે. કુદરતી અને કલ્ચર્ડ પર્લ્સ-મોતી, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરો, નકલી દાગીનાઓ, સિક્કાની આયાત કરવા માટે પૂર્વમંજૂરી મેળવવી ફરજિયાત કરી દેવામાં આવી છે.

જોકે સો ટકા નિકાસલક્ષી એકમો-ઈઓયુ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા એકમો તેની આયાત કરી શકશે. પરંતુ તેમને આ આયાતી માલ સ્થાનિક વિસ્તારમાં એટલેકે ભારતના બજારમાં વેચવાની છૂટ આપવામાં આવશે નહિ. તેમણે તેની આયાત કરીને નવેસરથી નિકાસ જ કરવી પડશે.

પશ્ચિમ એશિયાના તણાવને કારણે વૈશ્વિક મેટલ માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓના મૂલ્યમાં ખાસ્સો ઘટાડો થયો છે. બીજીતરફ એલ્યુમિનિયમમાં તેજી જોવા મળી રહી છે. સરકારે સોનાની આયાત પર નિયંત્રણ લાવીને વેપાર સંતુલન ખોરવાતું અટકાવવાનો અને દુરુપયોગ રોકવાનો પ્રયાસ કર્યો છે.

 

Read Previous

ભારત સરકારે જૂન 2026 સુધી 40 પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી માફ કરી

Read Next

વિદેશીની નોકરીની ઓફર આવે તો ચેતી જજો, તમને સાયબર ગુનેગાર બનાવી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular