આજે શેરબજારમાં શું કરી શકાય?

આજે બજાર ગેપમાં ખૂલે તેવી સંભાવન: ઇન્વેસ્ટર્સ તેલ અને તેલની ધાર જોઈને સારા સેક્ટરના પસંદગીના શેર્સમાં જ સોદા કરવાનું વલણ રાખશે તો બહુ નુકસાની નહિ આવે
આજે એટલે કે 20 એપ્રિલ માટે ભારતીય શેરબજાર ગેપમાં ખૂલવાની સંભાવના છે, કારણ કે ગત શુક્રવારે નિફ્ટી ફ્યુચર્સ લગભગ 280 પોઈન્ટ એટલે કે 1.15 ટકા વધીને 24,700 આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા. વીતેલા સપ્તાહમાં બજાર સતત વધ્યુ હોવાનું જોવા મળ્યું છે. નિફ્ટી 50 24,353.55, સેન્સેક્સ 78,493.54 પર બંધ આવ્યો હતો. આમ બંનેમાં અંદાજે 1.2 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. શુક્રવારે પણ બજાર 0.65 ટકા વધીને બંધ રહ્યું હતું.
બજાર પર અસર કરનારા વૈશ્વિક સંકેતો
શેરબજાર પર અસર કરનારા વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતના નાણાંકીય વર્ષ 2026-27માં કુલ રાષ્ટ્રીય ઉપજના દરનો નવો સુધારેલો અંદાજ આપીને જીડીપી 6.5 ટકા રહેવાની જાહેરાત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ થોડા સ્થિર થવા માંડ્યા છે. જોકે હોર્મુઝની ખાડીમાં જનાર જહાજને ફૂંકી મારવાની ઇરાને ધમકી આપી હોવાથી સપ્લાય ખૂલવા અંગે હજીય થોડી અનિશ્ચિતતા તો જોવા મળી જ રહી છે. છતાંય અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થવાનો આશાવાદ બજાર માટે પોઝિટિવ નિર્દેશ ગમાય છે.
માર્ચ 2026નો મોંઘવારી દર્શાવતો કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ 3.4 ટકા રહ્યો છે. બીજીતરફ હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ 38 મહિનાના ઉચ્ચ સ્તરે એટલે કે 3.88 ટકાની સપાટીએ પહોંચી ગયો છે. ભારતની ટ્રેડ ડેફિસિટ એટલે કે આયાત અને નિકાસ વચ્ચેનો ગાળો $27.1 બિલિયનથી ઘટીને $20.67 બિલિયન પર આવી ગયો છે. આ બધા પરિબળોએ બજારના ભાવને સ્થિર બનાવવામાં મદદ કરી રહ્યા છે.
સૂચકાંકોના મહત્વપૂર્ણ લેવલ નીચે મુજબ છે.
નિફ્ટી 50માં 24,400ની સપાટીએ પ્રતિકાર જોવા મળી રહ્યો છે. તેમાં બ્રેક આઉટ આવે તો નિફ્ટી 50 વધીને 24800થી 25000ની સપાટીને વળોટી જાય તેવી શક્યતા રહેલી છે. નિફ્ટી 50માં 24000ની સપાટીએ મજબૂત ટેકો જોવા મળી રહ્યો છે. તેમાંય 24000ની ટેકાની સપાટી તોડે તો 23,700થી 23,800ની સપાટીએ બીજો મજબૂત ટેકો જોવા મળી રહ્યો છે. આમ નિફ્ટી 50 જો 24,600–24,800 ઉપર ટકી રહે તો 25,200 સુધી ઉછાળો શક્ય છે.
બેન્ક નિફ્ટીમાં 56,800 – 57,000ની સપાટીએ પ્રતિકાર જોવા મળી રહ્યો છે. તેમ જ 55,700થી 55,800ની સપાટીએ મજબૂત ટેકો જોવા મળી રહ્યો છે. બજારમાં બ્રેકઆઉટ આવે તો સુધરીને 57,500થી 58000ના મથાળે જઈ શકે છે. બેન્ક નિફ્ટી તેનાથી આગળ 59000 સુધી જઈશકે છે. બેન્ક નિફ્ટી 55,700થી 55,800ની સપાટીએ મજબૂત ટેકો ધરાવે છે.તેનાથી નીચે 53,800થી 55000ની સપાટીએ બીજો ટેકો છે. બીએસઈના સેન્સેક્સમાં 78,700 – 79,000 ની સપાટીએ પ્રતિકાર જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ 80,000 પોઈન્ટ સુધીનો છે. તેમ જ 77,600 – 77,900ની સપાટીએ ટેકો ધરાવે છે.
ટ્રેડિંગ માટેનો વ્યૂહ
ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે મજબૂત ફંડામેન્ટલ ધરાવતા લાર્જ કેપ શેર્સ પર જ વધુ ફોકસ કરીને ઇન્વેસ્ટેન્ટ કે ટ્રેડિંગ કરવું જોઈએ. તેમણે મિડકેપ કે સ્મોલ કેપમાં રોકાણ કરવામાં વધુ ધ્યાન આપીને માત્ર પસંદગીની કંપનીઓના શેર્સમાં જ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. દેવું કરીને રોકાણ કરવાનો અભિગમ નુકસાન કારક સાબિત થઈ શકે તેમ હોવાથી તે ટાળવું જોઈએ. ચોક્કસ શેર્સમાં જ રોકાણ કરવા પર ફોકસ કરવું જોઈએ. જોકે બજારનું સેન્ટિમેન્ટ અત્યારે પોઝિટિવ જણાઈ રહ્યું છે. પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા હજુ પણ કેડો મૂકતી નથી. તેથી જ શિસ્તબદ્ધ રોકાણ અને પસંદગીના શેર્સમાં જ રોકાણ કરવું લાભદાયી સાબિત થઈ શકે છે. ઘટાડે ખરીદી કરીને રોકાણ વધારવાનો અભિગમ સારો સાબિત થઈ શકે છે.
બ્રોકરેજ હાઉસની ભલામણો
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના શેર્સમાં લેવાલી કરવાની ભલામણ કરી છે. રૂ. 760નો ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યો છે. જે.એમ ફાઈનાન્શિયલે પણ એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના શેર્સમાં લેણ કરવા જણાવ્યું છે. ટાર્ગેટ ભાવ રૂ. 670નો આપ્યો છે.
જે.એમ. ફાઈનાન્શિયલના નિષ્ણાતોએ પિરામલ ફાર્માના શેર્સમાં લેણ કરવાની ભલામણ કરી છે. ટાર્ગેટ ભાવ રૂ. 211 આપ્યો છે.
જે.એમ. ફાઈનાન્શિયલ બ્રોકરેજ હાઉસે એચડીએફસી એએમસીના શેર્સમાં લેણ કરવાની તરફેણ કરી છે. ટાર્ગેટ ભાવ રૂ. 3200નો આપ્યો છે.
મોતીલાલ ઓસવાલે અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે વિપ્રોના શેર્સ અંગે ભલામણ કરી છે.મોતીલાલ ઓસવાલે તેમાં ખરીદી કે વેચાણ ન કરવાની સૂચના આપી છે. ટાર્ગેટ ભાવ રૂ. 215નો દર્શાવ્યો છે. તેમ જ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે વિપ્રોના ઇન્વેસ્ટર્સને હોલ્ડિંગ જાળવી રાખવા અને નવા સોદાઓ ન કરવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 192નો છે.



