ટીડીએસ રિટર્ન ફાઈલ કરવાની ૧૫મી મે છેલ્લી તારીખ છતાં એપ્રિલથી TANની અરજીઓ પ્રોસેસ થવા પર બ્રેક લાગી ગઈ

- ટીડીએસ કરવાનું ચૂકી જાય તો તે રકમ ચૂકવણી કરેલી રકમ ખર્ચ તરીકે બાદ મળતી નથી અને તેના પર ૩૦ ટકાના દરે ટેક્સ ભરવો પડે છે.
- ટાન ચેન્જ કરવા માટેનું ફોર્મ પણ હજી બહાર પાડવામાં આવ્યું નથી
- ડેડલાઈન માથે હોવા છતાં પણ ગુજરાતમાં પાનકાર્ડ અને ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર આપવા માટે ૩૦૦ સેન્ટરોમાં અધધધધ અરજીઓ પેન્ડિંગ
ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર-ટાન લેવા માટે નવા પોર્ટલ પર કરવામાં આવી રહેલી અરજીઓ ગત એપ્રિલ ૨૦૨૬થી પ્રોસેસ જ થતી નથી. ટાન ઇશ્યૂ કરનારા એક જ સેન્ટરમાં ૫૦૦ અરજી પેન્ડિંગ છે. ગુજરાતમાં ટાન ઇશ્યૂ કરવા માટે ૩૦૦ જેટલા સેન્ટરો સક્રિય છે. આ જ રીતે પાનકાર્ડ ઇશ્યૂ કરવા માટેની અરજીઓ પણ પ્રોસેસ થઈ રહી નથી. એક જ સેન્ટરમાં પાનકાર્ડ માટેની ૧૮૦૦થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાનકાર્ડ અને ટાન કાર્ડ ઇશ્યૂ કરવા માટેની તાલીમનો આરંભ આજથી જ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ ટાન નંબર ચેન્જ કરવા માટેનું ફોર્મ પણ હજી બહાર પાડવામાં આવ્યું નથી. ટીડીએસ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૧૫મી મે હોવાથી આ બાબત ગંભીર બની રહી છે. ૩૦મી એપ્રિલ સુધીમાં કરકપાત કરેલી રકમ જમા કરાવી દેવી પણ ફરજિયાત છે. ટાન ઇશ્યૂ કરવા માટે ગુજરાતમાં ત્રણ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે. આ એજન્સીઓએ ૨૨મી તારીખ સુધી મોટાભાગના સેન્ટરોને તેને માટેની આપવા પાત્ર ટ્રેનિંગ આપી નથી. તાલીમ આપવા નિયુક્ત થયેલી સંસ્થાઓમાં સ્ટીલ સિટી, અલ્ટ્રુઇસ્ટ અને ઇન્ટીગ્રેટેડનો સમાવેશ થાય છે. ૨૨ દિવસમાં એક પણ ટાન ઇશ્યૂ કરવામાં આવ્યો નથી. જોકે અગાઉથી ટાન ધરાવનારાઓ તેમના રિટર્ન ફાઈલ કરી શકે છે.
સરકારના નિયમ મુજબ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષના ટીડીએસની વિગતો ટીડીએસ રિટર્ન તમામ વિગતો સાથે ભરી દેવા માટે ટાન નંબર જરૃરી છે. ટાન માાટે કે પાનકાર્ડ માટે અરજી કરી હોય પરંતુ નંબર ન મળ્યો હોય તો તેવા સજોગોમાં પેમેન્ટની રકમમાંથી ૨૦ ટકા રકમની કરકપાત કરવી પડે છે.
આવકવેરા ધારાની કલમ ૯૪-ટીમાં કરવામાં આવેલી નવતર જોગવાઈ હેઠળ ભાગીદારી પેઢીઓએ વ્યાજની કરવામાં આવતી ચૂકવણી અને ડિરેક્ટર્સને રેમ્યુનરેશન તરીકે કરવામાં આવતા પેમેન્ટ પર ૧૦ ટકાના દરે ટીડીએસ-કરકપાત કરવી ફરજિયાત છે. પરિણામે સંખ્યાબંધ કંપનીઓએ ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર-ટાન માટે નવી અરજીઓ કરવી પડી છે. અત્યાર સુધી પાર્ટનરશીપ ફર્મ-ભાગીદારી પેઢીમાં ડિરેક્ટર્સને કરવામાં આવતા પેમેન્ટ પર ટીડીએસની જોગવાઈ નહોતી. રૃ. ૨૦,૦૦૦થી વધુ રકમના ચૂકવવામાં આવતા વ્યાજ, બોનસ, કમિશન તથા રેમ્યુનરેશન-મહેનતાણાના પેમેન્ટ પર ૧૦ ટકાના દરે ટીડીએસ કરવાનો આવે છે. ટીડીએસ ન કરવામાં આવે તો વ્યાજ અને પેનલ્ટી ચૂકવવાની આવે છે. પાનકાર્ડ ન હોય તો ૨૦ ટકાના દરે ટીડીએસ કરવાનો નિયમ છે.
ટીડીએસ કરવાનું ચૂકી જાય તો તે રકમ ખર્ચમાં બાદ આપવામાં આવતી નથી. તેથી તે ખર્ચ કર્યો હોવા છતાં ખર્ચ તરીકે બાદ ન મળે અને તેના પર ભાગીદારી પેઢીઓએ ૩૦ ટકાના દરે ટેક્સ ભરવાની જવાબદારી અદા કરવી પડે છે.
જોકે આ માટે ગત પાંચમી એપ્રિલથી નવું પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ આ પોર્ટલ ખૂલ્લું મૂકી દેવાની જાહેરાત સરકાર તરફથી કરી દેવામાં આવી હોવા છતાં અરજી કરનારાઓને ટાન નંબર એલોટ કરવામાં જ આવતો નથી. સરકારી સાઈટ પર ટાન રજિસ્ટર કરાવવા જાય તો પણ રજિસ્ટ્રેશન થતું નથી. ચાર દિવસ પહેલા આ પોર્ટલ ચાલુ થઈ ગયું હોવાની ફરી જાહેરાત કરવામાં આવી હોવા છતાંય હજી રજિસ્ટ્રેશન થતું જ નથી.



