• 23 April, 2026 - 11:49 AM

ઓનલાઈન ગેમિંગના નવા જાહેર થયેલા નિયમો હેઠળ ગવર્નિંગ ઓથોરિટીની રચના કરવામાં આવશે

પહેલી મેથી અમલમાં આવી જનારા નિયમોની જાહેરાત મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ કરી

કોઈ ગેમને મંજૂરી ન હોય, તો બેંકોએ તેના નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવો પડશે અને વધુ તપાસ માટે માહિતી સોંપવી પડશે

કેન્દ્ર સરકારે બુધવારે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025માં નવી જોગવાઈ કરીને ઓનલાઈન ગેમિંગ માટેના વહીવટી નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અનુસાર ગેમિંગ કંપનીઓને ખેલાડીઓને આર્થિક, માનસિક, સામાજિક, સુરક્ષા અથવા કન્ટેન્ટ સંબંધિત નુકસાનથી બચાવવા માટે જરૂરી સુરક્ષા સુવિધાઓ અમલમાં મૂકવી ફરજિયાત રહેશે. આ સાથે જ ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નામની છ સભ્યોની સંસ્થાની રચના કરવાની પણ નવા નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે.

આ નિયમોની જાહેરાત મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમોનો પહેલા મે થી અમલમાં આવશે। નવા નિયમો હેઠળ ગેમિંગ કંપનીઓએ જવાબદાર ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન આપવાની કામગીરી કશે. તેમ જ નુકસાની ઘટાડવા કે અટકાવવા પર ફોકસ કરશે. તેમના કામકાજમાં પારદર્શિતા વધારવા અને યૂઝરને યોગ્ય પસંદગી માટે સક્ષમ બનાવવા માટે વિવિધ સુરક્ષા પગલાં લેવા પડશે.

ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું અધ્યક્ષપદ આઈટી મંત્રાલયના એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારી પાસે રહેશે. તેમજ ગૃહ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા યુવા અને રમતગમત મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ અને કાનૂની બાબતો વિભાગના જોડિયા સચિવ સ્તરના અધિકારીઓનો તેના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવશે. સરકારે નિયમોમાં ફેરફાર કરીને તમામ ઓનલાઈન ગેમ્સ માટે ફરજિયાત પ્રી-રજીસ્ટ્રેશનની શરત હટાવી છે, પરંતુ તે શરતે કે ગેમ્સ અથવા કંપનીઓ યૂઝર્સ અથવા બાળકોને નુકસાન પહોંચાડતી ન હોવી જોઈએ.

આઈટી મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે સરકાર શક્ય તેટલું ઓછું નિયમન રાખવા ઈચ્છે છે. બધા પ્રકારની ઇ-સ્પોર્ટ્સ ગેમ્સ માટે ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ગેમ અથવા કંપનીને નોંધણી કરાવવી જરૂરી છે કે નહીં તે યૂઝર સંખ્યા, નાણાકીય વ્યવહારોની માત્રા અને પ્રકાર, અને કંપનીના મૂળ દેશ જેવા માપદંડો પર આધારિત રહેશે.

ભારતમાં ગેમિંગ સેવાઓ આપતી તમામ કંપનીઓ માટે ફરજિયાત છે કે તેઓ ખેલાડીઓ માટે કાર્યરત ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી રાખે. જો 30 દિવસમાં ફરિયાદનું નિરાકરણ ન આવે, તો યૂઝર ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં અપીલ કરી શકશે. નિયમો અનુસાર બેંકિંગ સેવાપ્રદાતાઓએ ખાતરી કરવી પડશે કે ગેમ અથવા કંપનીને ભારતમાં કામગીરી માટે ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મંજૂરી છે કે નહીં. જો કોઈ ગેમને મંજૂરી ન હોય, તો બેંકોએ તેના નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવો પડશે અને વધુ તપાસ માટે માહિતી સોંપવી પડશે.

 

Read Previous

દેશમાં થઈ રહેલી વિધાનસભાઓની ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે રૂ.25–28 પ્રતિ લિટરનો વધારો થઈ શકે

Read Next

RBIએ વૉલેટ માટેના નિયમો કડક કર્યા રૂ. 2 લાખ લિમિટ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular