• 24 April, 2026 - 3:18 PM

હોર્મુઝ સંકટ વચ્ચે ભારત લગભગ બમણા ભાવે 25 લાક ટન યુરિયાની આયાત કરશે

સામાન્ય રીતે ટનદીઠ 500 ડૉલરના ભાવે મળતા યુરિયાના સરેરાશ 949 ડૉલર ચૂકવીને 25 લાખ ટનની આયાત કરવામાં આવશે

નવી દિલ્હી: ભારતે યુરિયાની આયાત માટે રેકોર્ડ પ્રમાણમાં ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. આ આયાત સામાન્ય કરતાં બમણા ભાવ ચૂકવીને કરવામાં આવશે. રોઇટર્સના ગુરુવારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતે એક જ ટેન્ડરમાં 25 લાખ મેટ્રિક ટન યુરિયા ખરીદવા માટે સંમતિ આપી છે. આ જથ્થો ભારતની વાર્ષિક યુરિયા આયાત જરૂરિયાતના લગભગ ચોથા ભાગ જેટલો છે અને આ ખરીદી માત્ર બે મહિના પહેલાંના ભાવે કરતાં લગભગ બમણા દરે થઈ રહી છે.

ઇન્ડિયન પોટાશ લિમિટેડે સપ્લાયરો મારફતે હરાજીમાં સૌથી નીચી રકમની બોલી સાથે મેચ કર્યા બાદ સોદો પૂર્ણ કરવામાં આવ્યો હતો.  કંપની પશ્ચિમ કાંઠાના વિસ્તારો માટે 15 લાખ ટન યુરિયા પ્રતિ ટન 935 ડોલરના દરે અને પૂર્વ કાંઠાના વિસ્તારો માટે 10 લાખ ટન પ્રતિ ટન 959 ડોલરના દરે ખરીદશે. આ ટેન્ડરમાં કુલ 56 લાખ ટન યુરિયાની ઓફરો મળી હતી, પરંતુ તેમાંના મર્યાદિત જથ્થાને જ સૌથી નીચા ભાવે ઓફર કરવામાં આવ્યો હતો. મોટાભાગની બોલીઓ પ્રતિ ટન 1000 ડોલર આસપાસ હતી અને કેટલીક ઓફરો 1136 ડોલર પ્રતિ ટન સુધી પહોંચી હતી. ઘણા સપ્લાયરો પશ્ચિમ અને પૂર્વ કાંઠા બંને માટેની સૌથી નીચી બોલી સાથે મેળ બેસાડવા તૈયાર થયા હતા. તેથી સમગ્ર માત્ર 25 લાખ ટન ખરીદી શક્ય બની હતી.

આ ભાવ વધારો અગાઉના ટેન્ડર સામે ખૂબ જ ઊંચો છે. અગાઉ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં યુરિયાના ભાવ 500 ડોલર પ્રતિ ટનથી થોડા વધારે હતા. ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા આયાતકાર દેશ છે અને દર વર્ષે લગભગ 1 કરોડ ટન યુરિયા આયાત કરે છે. તાજેતરની ખરીદી જ આ વાર્ષિક જરૂરિયાતના લગભગ 25 ટકા જેટલી છે, જેના કારણે અન્ય ખરીદદારો માટે ઉપલબ્ધતા ઘટી શકે છે.

મુંબઈ સ્થિત ખાતર ઉદ્યોગના એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું કે ભારતની આટલી મોટી ખરીદીથી અન્ય આયાતકારોને મુશ્કેલી પડી શકે છે, કારણ કે ઉત્પાદકોએ હાલના ટેન્ડર હેઠળ જ પુરવઠો આપવાની ખાતરી આપી દીધી છે. આ સોદા હેઠળ ખરીદવામાં આવેલા યુરિયાની રવાનગી 14 જૂન સુધીમાં શરૂ થવાની છે.

જોકે અગાઉના અહેવાલોમાં ચેતવણી આપવામાં આવી હતી કે ખાડી વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ જળસંધિના અવરોધને કારણે ખેતી માટે જરૂરી મુખ્ય ખાતર યુરિયાના પુરવઠા પર દબાણ આવી શકે છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વધતી તણાવની સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. તેમજ લિક્વિડ પેટ્રોલિયમ ગેસ-રાંધણગેસની અછત ઊભી થઈ છે, જેના કારણે તેલ અને ગેસ પુરવઠામાં વિક્ષેપ આવ્યો છે. તેનો પ્રભાવ પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર આધારિત અનેક ક્ષેત્રો પર પડી રહ્યો છે. પ્રભાવિત થયેલા ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે લિક્વિફાઈડ નેચરલ ગેસના પુરવઠામાં વિક્ષેપ આવે તો તે ભારતના યુરિયા ઉત્પાદન પર પણ અસર કરી શકે છે.

 

Read Previous

RBIએ વૉલેટ માટેના નિયમો કડક કર્યા રૂ. 2 લાખ લિમિટ કરી

Read Next

આજે બજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular