શું સોના-ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટીમાં વધારો ભારતનું ઈમ્પોર્ટ બિલ ઘટાડશે?

સોના અને ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવ એટલા ઊંચા છે કે આયાતના જથ્થામાં ઘટાડો થયા છતાં ઈમ્પોર્ટ બિલમાં $15 બિલિયનનો વધારો થઈ શકે છે.
પ્લેટિનમ પરની આયાત જકાત 6.4 ટકા થી વધારીને 15.4 ટકા કરવામાં આવી છે. યુનાઈટેડ આરબ અમિરાત સાથેના કરાર હેઠળ ચાંદી પરની ડ્યુટી 7 ટકા છે જ્યારે સામાન્ય ડ્યુટી 15 ટકા છે, જેનાથી દુબઈ મારફતે આયાત કરવાનું આકર્ષણ વધશે.
કિંમતી ધાતુઓના વધતા વૈશ્વિક ભાવ અને ભારત-યુનાઈટેડ આરબ અમિરાત સાથેની સેપાના કરાર હેઠળ મળતી છૂટછાટને કારણે આયાતનું મૂલ્ય અને જથ્થો ઊંચો રહી શકે છે. કેન્દ્ર સરકારે તો વધતી જતી કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ એટલે કે આયાત અને નિકાસના બિલ વચ્ચેના ગાળાના દબાણને કારણે સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા (બમણાથી વધુ) કરી દીધી છે. એ જ રીતે પ્લેટિનમ પરની આયાત જકાત 6.4 ટકા થી વધારીને 15.4 ટકા કરવામાં આવી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાનો ઉદ્દેશ્ય મેક્રો ઇકોનોમિક સ્થિરતા જાળવવી, વિદેશી હૂંડિયામણ બચાવવું અને પશ્ચિમ એશિયાના સંકટને કારણે ઉભી થયેલી વૈશ્વિક અનિશ્ચિતતા દરમિયાન બિન-જરૂરી આયાતને નિયંત્રિત કરવાનો છે. જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના ચેરમેન રાજેશ રોકડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જ્વેલરી ક્ષેત્ર હંમેશા મુશ્કેલ સમયમાં અનુકૂલન સાધવામાં સક્ષમ રહ્યું છે અને ઉદ્યોગ સરકાર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો: વધારે ડ્યુટી કદાચ સોનાની ખરીદી ઘટાડી શકે છે, પરંતુ ઈમ્પોર્ટ બિલ પર તેની મોટી અસર નહીં પડે. નાણાકીય વર્ષ 2026 માં, સોનાની આયાતનો જથ્થો 4.76 ટકા ઘટ્યો હોવા છતાં, પ્રતિ કિલો સોનાની કિંમત 30.3 ટકા વધીને $99,825.38 થઈ હતી, જેના કારણે આયાતનું કુલ મૂલ્ય 24 ટકા વધી ગયું હતું. ચાંદીની આયાતમાં પણ જથ્થો અને મૂલ્ય બંનેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બાર્કલેઝ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, આંતરરાષ્ટ્રીય ભાવ એટલા ઊંચા છે કે આયાતના જથ્થામાં ઘટાડો થયા છતાં ઈમ્પોર્ટ બિલમાં $15 બિલિયનનો વધારો થઈ શકે છે.
UAE સાથેનો વેપાર કરાર: ભારત-UAE CEPA કરાર હેઠળ સોના અને ચાંદીની આયાત પર મળતી રાહતને કારણે હવે ડ્યુટીનો તફાવત વધી ગયો છે. GTRI ના અજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, કરાર હેઠળ ચાંદી પરની ડ્યુટી 7 ટકા છે જ્યારે સામાન્ય ડ્યુટી 15 ટકા છે, જેનાથી દુબઈ મારફતે આયાત કરવાનું આકર્ષણ વધશે. આ ઉપરાંત, ઊંચી ડ્યુટીને કારણે દેશમાં સોના-ચાંદીની દાણચોરી (Smuggling) વધવાની પણ ઉદ્યોગ જગતને ચિંતા છે.



