મોટા મૂલ્યના UPI પેમેન્ટ્સ પર ૦.૨૫ થી ૦.૩૫% ચાર્જ લગાવવા સરકાર સક્રિય
મોટા મૂલ્યના UPI પેમેન્ટ્સ પર ૦.૨૫ થી ૦.૩૫% ચાર્જ લગાવવા સરકારનો વિચાર; ₹૧.૫ કરોડ સુધીના ટર્નઓવર વાળા વેપારીઓને મુક્તિ
બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ટેકો આપવા માટે કેન્દ્ર સરકાર મોટા વેપારીઓ માટે ₹૨,૦૦૦ થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ૦.૨૫% થી ૦.૩૫ ટકાનો ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફરીથી શરૂ કરી શકે છે. જોકે રૂ. ૧.૫ કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા નાના વ્યવસાયો અને વેપારીઓને આ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે.
ઓપરેટિંગ ખર્ચમાં થયેલો વધારો અને ટેકનોલોજીના રોકાણની ભરપાઈ કરવા માટે સરકાર આ પગલું વિચારી રહી છે. સંસદમાં ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, ૨૦૦૭’ માં સુધારો કરવા માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સરકારે જાન્યુઆરી ૨૦૨૦થી યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ પરથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ હટાવી લીધો હતો.
ડેટા અનુસાર રૂ.૨,૦૦૦ અને તેથી વધુના ટ્રાન્ઝેક્શન કુલ P2M (ગ્રાહકથી વેપારી) યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના માત્ર ૪ ટકા જ છે. જ્યારે ૮૬ ટકા ટ્રાન્ઝેક્શન રૂ. ૫૦૦ થી નાના અને ૧૦ ટકા ટ્રાન્ઝેક્શન રૂ. ૫૦૧ થી રૂ. ૨,૦૦૦ ની વચ્ચે હોય છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા ૯૦ ટકા વેપારીઓ નાના છે જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૨૦ લાખ સુધીનું છે.
૨. આ ચાર્જની અસર કઈ કેટેગરીના કસ્ટમર્સ / વેપારીઓ પર પડશે?
સામાન્ય ગ્રાહકો: કોઈ જ અસર નહીં પડે. સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવું પહેલેથી જ મફત હતું અને મફત જ રહેશે.
નાના વેપારીઓ: કોઈ અસર નહીં થાય. જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૧.૫ કરોડ સુધીનું છે, તેમને આ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
મોટા વેપારીઓ: માત્ર આ કેટેગરી પર અસર પડશે. જે મોટા શોરૂમ, મોલ, કે મોટા વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૧.૫ કરોડથી વધુ છે, તેમણે રૂ. ૨,૦૦૦ થી મોટા ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ ચૂકવવો પડશે.
ચાર્જની વિગત
૧૦૦ રૂપિયે ૨૫ થી ૩૫ પૈસાનો ચાર્જ કયા પેમેન્ટ પર લાગશે?
લાગુ પડવાની શરત
વાર્ષિક રૂ. ૧.૫ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા મોટા વેપારીઓ પર.
એક સિંગલ ટ્રાન્ઝેક્શન જે રૂ. ૨,૦૦૦ કે તેથી વધુ રકમનું હોય.
સરળ ગણતરી:
રૂ. ૨,૦૦૦ થી મોટા ટ્રાન્ઝેક્શન પર દર રૂ. ૧૦૦ એ ૨૫ પૈસાથી ૩૫ પૈસા (૦.૨૫% – ૦.૩૫%) નો મર્ચન્ટ ચાર્જ (MDR) લાગશે. રૂ.૨,૦૦ થી નાના ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે ચાર્જ-મુક્ત રહેશે).
આ ચાર્જ ચાલુ કરવાની ફરજ કેમ પડી?
સિસ્ટમ ચલાવવાનો મોટો ખર્ચ: યુપીઆઈ સિસ્ટમને ૨૪ કલાક સુરક્ષિત અને ઝડપી ચાલુ રાખવા માટે બેંકો અને પેમેન્ટ કંપનીઓએ (જેમ કે PhonePe, Google Pay વગેરે) મોટા સર્વર, સિક્યોરિટી અને નવી ટેકનોલોજીમાં અબજો રૂપિયાનું રોકાણ કરવું પડે છે.
સરકારી સબસિડી અપૂરતી હતી: જાન્યુઆરી ૨૦૨૦ માં સરકારે આ ચાર્જ નાબૂદ કર્યો હતો અને તેની ભરપાઈ કરવા સરકારે પોતે સબસિડી આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ તાજેતરમાં નાણા મંત્રાલયના અહેવાલ મુજબ, સરકારી સબસિડીથી સિસ્ટમ ચલાવવાના ખર્ચનો
માત્ર ૧૧ ટકા હિસ્સો જ કવર થતો હતો, જેના કારણે બેંકો અને પેમેન્ટ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું હતું.
ઝડપી વૃદ્ધિ અને લોડ: નાણાકીય વર્ષ ૨૦૧૭ માં જ્યાં માત્ર ૨ કરોડ ટ્રાન્ઝેક્શન થતા હતા, તે ૨૦૨૬ માં વધીને ૨૪,૧૬૨ કરોડથી વધુ થઈ ગયા છે. આટલા વિશાળ નેટવર્કને સુરક્ષિત અને અટક્યા વિના ચલાવવા માટે બેંકો પાસે સતત આવકનો સ્ત્રોત હોવો જરૂરી બન્યો છે.
