• 10 August, 2026 - 11:18 AM

ઉચ્ચ આર્થિક વિકાસ માટે સુધારાઓ: ભારતે આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ ઉઠાવવો જ પડશે

ઉચ્ચ વિકાસ માટે સુધારાઓ: ભારતે આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ ઉઠાવવો જ પડશે

ભારતે નિકાસ વધારવા, એફડીઆઈ (FDI) આકર્ષવા અને વિકસિત અર્થતંત્ર બનવા માટે જરૂરી ઉચ્ચ વિકાસ દર જાળવી રાખવા ઝડપી ટેરિફ કાપ, ઊંડા વેપાર સંકલન અને મજબૂત રોકાણ સંધિઓની જરૂર છે. આર્થિક ઉદારીકરણના ૩૫ વર્ષ પૂર્ણ થયા તે ગાળામાં ઘણું કામ થયું હોવા છતાં, ભારતે હજુ ઘણું બધું કરવાની જરૂર છે.

આઝાદીની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સરકારના લક્ષ્યાંકના સંદર્ભમાં આ ખાસ મહત્વનું છે. માત્ર સતત સુધારાઓ જ ભારતને ટકાઉ ધોરણે ઉચ્ચ દરે વૃદ્ધિ કરવા માટે સક્ષમ બનાવશે. ભારતના વધતા જતા વર્કફોર્સ માટે જરૂરી સ્કેલ પર રોજગારીનું સર્જન કરવા માટે પણ ઉચ્ચ વિકાસ જરૂરી છે. ખાસ કરીને, ગયા અઠવાડિયે એક કાર્યક્રમમાં, નીતિ આયોગના વાઇસ-ચેરમેન અશોક લાહિડીએ નોંધ્યું હતું કે વિકસિત દેશ બનવા માટે, ભારતીય નાગરિકોની માથાદીઠ આવક નોમિનલ ડોલરના સંદર્ભમાં ૨૧ વર્ષ સુધી સરેરાશ ૯.૨૫ ટકાના દરે વધવાની જરૂર છે. આ આસાન નહીં હોય, પરંતુ અન્ય કેટલાક દેશોએ તે કર્યું હોવાથી ભારત પણ કરી શકે છે.

સરકાર ચોક્કસપણે પડકારો અને તકોથી વાકેફ છે. ઉચ્ચ વિકાસને સક્ષમ કરવા માટે સ્થિતિ સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, એક ક્ષેત્ર જ્યાં ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં પાછળ રહી ગયું છે તે આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ ઉઠાવવાનું છે. દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશો કે જેમણે તાજેતરના દાયકાઓમાં ઉચ્ચ વિકાસ હાંસલ કર્યો છે અને તેમના અર્થતંત્રોને પુનર્જીવિત કર્યા છે, તેમણે નિકાસમાં અસાધારણ દેખાવ કર્યો છે. અર્થશાસ્ત્રીઓ લાંબા સમયથી દલીલ કરે છે કે ભારતે આ ક્ષેત્ર પર આક્રમક રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પ્રોત્સાહક રીતે, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મળા સીતારમણે ગયા અઠવાડિયે પોતાના પ્રવચનમાં નોંધ્યું હતું કે શક્યતઃ ૨૦૨૭-૨૮ ના બજેટ સુધીમાં, તેઓ કહી શકશે કે કેટલીક વસ્તુઓને બાદ કરતાં, કસ્ટમ ડ્યુટી ઘટીને એક અંકમાં એટલે કે દસ ટકાથી નીચે આવી જશે.

આમ સરકાર આ ક્ષેત્રમાં કામ કરી રહી છે, અને ડ્યુટીઓ તથા સ્લેબને સુવ્યવસ્થિત કરવામાં આવ્યા છે. આ દિશામાં વધુ ધક્કો મારવો એટલે કે વેગ આપવાના પગલાં લેવા આવકારદાયક છે. ભારતને એક સરળ અને નીચા ટેરિફ માળખાની જરૂર છે. દુર્ભાગ્યે, ભારતે એક દાયકા અગાઉ ટેરિફમાં વધારો કર્યો હતો, જેણે સ્પર્ધાત્મકતાને અસર કરી હતી. એ સર્વસ્વીકૃત છે કે આયાત પરનો કર એ નિકાસ પરનો પરોક્ષ કર છે. ટેરિફ ખર્ચમાં વધારો કરે છે, વૈશ્વિક બજારોમાં સ્પર્ધા કરવાની વ્યવસાયોની ક્ષમતાને અસર કરે છે.

તાજેતરમાં યુનાઇટેડ કિંગડમ-બ્રિટન અને યુરોપિયન યુનિયન સાથેના વેપાર કરારો પર હસ્તાક્ષર કરીને ભારતે સારું કામ કર્યું છે. હવે તેણે આ કરારોનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પરંતુ તેણે હજુ પણ સામાન્ય રીતે ટેરિફ ઘટાડવાની જરૂર છે. આધુનિક વેપાર માળખામાં, મોટાભાગના માલસામાનની હિલચાલ મધ્યવર્તી-ઇન્ટરમિડિયેટ્સ વસ્તુઓમાં જ થાય છે, અને ઊંચા ટેરિફ તેમાં ઘર્ષણ ઊભું કરે છે, જે ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં ભાગીદારીને મર્યાદિત કરે છે. વધુમાં, ભારત વિકસિત દેશો સાથે વધુ ઊંડા કરારો કરી રહ્યું હોવાથી, મહત્તમ લાભ મેળવવા માટે તેણે ‘કોમ્પ્રીહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ’ (સીપીટીપીપી) માં જોડાવા પર પણ વિચાર કરવો જોઈએ.

ટેરિફ સુવ્યવસ્થિત કરવાનું કામ ઝડપથી પૂર્ણ કરવાની સાથે ભારતે રોકાણ સંધિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સંદર્ભમાં, સરકારે સંકેત આપ્યો છે કે દ્વિપક્ષીય રોકાણ સંધિઓ માટેનું ટેમ્પલેટ વધુ અનુકૂળ બનાવવામાં આવી રહ્યું છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નિકાસ માટે મોટું ડ્રાઇવર બની શકે છે. આમ, ભારતે વેપારનો લાભ ઉઠાવવા માટે બહુવિધ મોરચે કામ કરવાની જરૂર છે, જે વિકાસનું મોટું અને ટકાઉ ચાલકબળ બની શકે છે, જેમ કે ભૂતકાળમાં ઘણા દેશો દ્વારા સાબિત થયું છે.

વર્લ્ડ બેંક દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે ૨૦૧૩ માં માલ અને સેવાઓની ભારતની નિકાસ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના ૨૫.૪ ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. ૨૦૦૦ના દાયકામાં ચીન માટે તે ૩૫ ટકાથી ઉપર ગયું હતું અને દક્ષિણ કોરિયાના કિસ્સામાં તે ખૂબ ઊંચા સ્તરે રહ્યું છે. મેક્રોઇકોનોમિક મેનેજમેન્ટના દ્રષ્ટિકોણથી મજબૂત બાહ્ય સ્થિતિ પણ આવશ્યક છે. લેણદેણની તુલા એટલે કે આયાત અને નિકાસમાં આવક અને જાવક વચ્ચેની સમતુલા પરની મુશ્કેલીઓ, જેણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બિન-નિવાસી ભારતીયો-એનઆરઆઈ પાસથી થાપણો સહિત વિવિધ સાધનો દ્વારા ફોરેન એક્સચેન્જ એકત્રિત કરવાની ફરજ પાડી હતી, તે એક્સટર્નલ-સેક્ટરની કમજોરીને રેખાંકિત કરે છે. ભારતે આ પડકારોને ઝડપથી પાર કરવાની જરૂર છે.

ભારતમાંથી નિકાસ વધારવા માટે સરકારે લેવા પડતા વધારાના પગલાં

૧. લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં ઘટાડો: ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ જીડીપીના આશરે ૧૩-૧૪ ટકા છે, જ્યારે વિકસિત દેશોમાં તે ૭-૮ ટકા છે. પીએમ ગતિ શક્તિ અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા બંદરો, રેલવે અને નેશનલ હાઈવેનું ઝડપી જોડાણ કરીને નિકાસકારોનો ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટાડવો જોઈએ.

૨. એમએસએમઈ (MSME) માટે સસ્તી વર્કિંગ કેપિટલ અને ક્રેડિટ: ભારતીય નિકાસનો મોટો હિસ્સો MSME ક્ષેત્રમાંથી આવે છે. તેમને નિકાસ પહેલા અને પછી સસ્તા દરે લોન, વ્યાજ માફી-ઇન્ટરેસ્ટ સબવેન્શન અને ઇઝી ક્રેડિટ ગેરંટી ઉપલબ્ધ કરાવવી જોઈએ.

૩. સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને પ્લગ-એન્ડ-પ્લે ક્લસ્ટર્સનું આધુનિકીકરણ: ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ એન્ડ સર્વિસ હબ્સ-દેશ બિલ જેવા બાકી રહેલા સુધારાઓ ઝડપથી અમલી બનાવી નિકાસ ઝોનને વધુ લવચીક બનાવવા જોઈએ જેથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બન્ને બજારોમાં સરળતાથી ઉત્પાદન વેચી શકાશે.

૪. મેન્યુફેક્ચરિંગમાં ગુણવત્તા સ્ટાન્ડર્ડ્સ : વૈશ્વિક બજારમાં ઈન્ડિયન પ્રોડક્ટ્સની સખત ગુણવત્તા તપાસ અને કમ્પ્લાયન્સ સુધારવા માટે ગુણવત્તા નિયંત્રણ આદેશો-ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર અને લેબોરેટરીઝનું નેટવર્ક મજબૂત કરવું, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય માલ રિજેક્ટ ના થાય. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે માલનું રિજેક્શન શૂન્ય ટકા પર આવવું જરૂરી છે.  માલ રિજેક્શન જ ન થાય તો તેની અસર પણ ન આવે તે સહજ છે.

૫. ઈ-કોમર્સ અને ડિજિટલ એક્સપોર્ટને પ્રોત્સાહન: નાના વેપારીઓ, હસ્તકળા અને કાપડ ઉત્પાદકો સીધા વૈશ્વિક ખરીદદારો સુધી પહોંચી શકે તે માટે ઈ-કોમર્સ એક્સપોર્ટ હબ્સની સ્થાપના કરવી અને કસ્ટમ ક્લિયરન્સ સુગમ બનાવવું જરૂરી છે.

Read Previous

પ્રધાનમંત્રી કિસાન યોજનામાં ખાતર સબસિડીનો સમાવેશ કરવો જોઈએ

Read Next

‘ગુજરાત ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓ દ્વારા તેનો આર્થિક વિકાસ વધારી રહ્યું છે’

Most Popular