બોનસ શેર્સ અને ડિવિંડડની જાહેરાત પછી એલઆઈસીનો શેર રૂ. 960ના મથાળાને સ્પર્શી શકે

એક જેમ એકના પ્રમાણમાં બોનસ શેર્સ આપવાની જાહેરાત કરવાની સાથોસાથ જ એલઆઈસીએ શેરદીઠ રૂ. 10નું ડિવિડંડ આપવાની પણ જાહેરાત કરી
એક જેમ એકના પ્રમાણમાં બોનસ શેર્સ આપવાની જીવન વીમા નિગમે જાહેરાત કરી તે પછી એલઆઈસી-LICના ભાવમાં પાંચ ટકાનો સંગીન ઊછાળો જોવા મળ્યો છે. બોનસ શેર્સ આપવાની જાહેરાત કરવાની સાથોસાથ જ એલઆઈસીએ શેરદીઠ રૂ. 10નું ડિવિડંડ આપવાની પણ જાહેરાત કરી છે. બ્રોકરેજ હાઉસ જે.એમ. ફાઈનાન્શિયલને તેના શેરના ભાવમાં વર્તમાન સપાટીથી 20 ટકાનો ઊછાળો આવવાની સંભાવના દેખાઈ રહી છે.
બ્રોકરેજ હાઉસના નિષ્ણાતોનું કહેવું છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 2025-26ના નાણાંકીય વર્ષન ચોથા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામોની જાહેરાત સાથે તેના ઈતિહાસમાં પ્રથમ વખત ૧:૧ બોનસ શેર અને શેરદીઠ રૂ.૧૦ના ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવતા ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં એલઆઈસીના શેરમાં આશરે પાંચ ટકાનો નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ જાહેરાત પછી બ્રોકરેજ હાઉસ જે.એમ. ફાઈનાન્શિયલે એલઆઈસીના શેર્સમાં લેવાલી કરવાની જાહેરાત કરી છે.
તેમ જ તેનો ટાર્ગેટ પ્રાઇસ વધારીને રૂ. ૯૬૦ કરી દીધો છે. આ ટાર્ગેટભાવ વર્તમાન ભાવથી લગભગ ૨૦ ટકાનો નફો દર્શાવે છે.
નાણાકીય વર્ષ ૨૦25-૨૬ ના ચોથા ક્વાર્ટરમાં કંપનીના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો)માં વાર્ષિક ધોરણે ૨૩ ટકાનો શાનદાર વધારો નોંધાયો છે. કંપનીનો નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૧૯,૦૩૯ કરોડ હતો, જે વધીને ₹૨૩,૪૬૭ કરોડ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, કંપનીની નેટ પ્રીમિયમ આવક પણ વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધીને રૂ. ૧.૬૫ લાખ કરોડ થઈ છે.
બોનસ શેર અને ડિવિડન્ડની વિગત
જીવન વીમા નિગમે ૧:૧ ના રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા છે. તેનો અર્થ છે કે રોકાણકારોને તેમની પાસે રહેલા દરેક ૧ શેર સામે રૂ. ૧૦ ની ફેસ વેલ્યુ ધરાવતો અન્ય ૧ શેર સંપૂર્ણ મફત (બોનસ તરીકે) મળશે. કંપનીએ બોનસ શેર માટે પાત્ર રોકાણકારો નક્કી કરવા માટે ૨૯ મે, ૨૦૨૬ ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. ઉપરાંત, કંપનીએ શેરદીઠ રૂ. ૧૦ નું ફાઈનલ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. તેના માટે ૨૫ જૂન, ૨૦૨૬ ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.
JM ફાઇનાન્શિયલે ટાર્ગેટ પ્રાઇસ રૂ.૮૮૮ થી વધારીને રૂ. ૯૬૦ કર્યો છે. બ્રોકરેજના મતે, LIC નું સુધરી રહેલું પ્રોડક્ટ મિક્સ, મોટી રકમના પ્રીમિયમ વાળી પોલિસીઓ અને નોન-પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સમાં થઈ રહેલો વધારો કંપનીની નફાકારકતાને મજબૂત બનાવી રહ્યા છે. ચોથા ક્વાર્ટરમાં LIC ના ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસમાં ૧૬ ટકા અને ગ્રુપ બિઝનેસમાં ૩૭ ટકાનો જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે.
કંપનીના બિઝનેસ માર્જિનમાં પણ મોટો સુધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન કંપનીના વીએનબી-વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસના માર્જિનમાં વાર્ષિક ધોરણે ૩૬૦ બેસિસ પોઈન્ટ્સ (૩.૬ ટકા) નો વધારો થયો છે અને ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ સેગમેન્ટમાં આ માર્જિન હવે ૨૬ ટકાને પાર કરી ગયું છે.
બ્રોકરેજ હાઉસ અપેક્ષા રાખે છે કે આગામી સમયમાં એલઆઈસીનો કોર બિઝનેસ વાર્ષિક ૧૧-૧૨ ટકાના દરે સ્થિર ગ્રોથ જાળવી રાખશે. મજબૂત બેલેન્સ શીટ, વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક (એજન્ટોનું નેટવર્ક) અને સુધરી રહેલી નફાકારકતાના કારણે મધ્યમ ગાળા માટે એલઆઈસીનો આઉટલુક ખૂબ જ ઉજળો છે. જોકે, બ્રોકરેજે એ પણ નોંધ્યું છે કે એલઆઈસીની એમ્બેડેડ વેલ્યુ શેરબજારની વધઘટ પર આધારિત હોવાથી માર્કેટના સેન્ટિમેન્ટ મુજબ શેરમાં થોડી અસ્થિરતા આવી શકે છે.

