સીમાંત ખેડૂતો માટે ફ્લેક્સિ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાયું, રૂ. 10,000થી 50,000 સુધીની લોન મળશે


નવા નિયમોથી ધિરાણ લેનારાઓ માટે ડિજિટલ પહોંચ અને ટેકનોલોજી આધારિત ખેતી માટે લોન સહાયનો વ્યાપ વધશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રામીણ સહકારી બેંકો (RCBs) માટે સુધારેલી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજનાની માર્ગદર્શિકા-૨૦૨૬ બહાર પાડી છે. કૃષિ ક્ષેત્રે લોન વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે આ નવી માર્ગદર્શિકામાં ‘ફ્લેક્સી કેસીસી’ (Flexi KCC), વ્યાપક ડિજિટલ બેંકિંગ સુવિધા અને આધુનિક ટેકનોલોજી આધારિત ખેતી પદ્ધતિઓ માટે આર્થિક સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નવા નિર્દેશો રાજ્ય સહકારી બેંકો (StCBs) અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) દ્વારા ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી મંજૂર કરવામાં આવનારી નવી KCC લોન પર લાગુ થશે. આ સુધારેલા માળખાનું મુખ્ય આકર્ષણ સીમાંત (નાના) ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી ‘ફ્લેક્સી કેસીસી’ (Flexi KCC) સુવિધા છે. આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા ખેડૂતો જમીનની કિંમતના આધારે નહીં, પરંતુ તેમની ખેતી, ઘરની જરૂરિયાતો અને આનુષંગિક પ્રવૃત્તિઓની જરૂરિયાતો અંગે બેંકના મૂલ્યાંકનના આધારે રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૫૦,૦૦૦ સુધીની લવચીક (ફ્લેક્સિબલ) લોનની મર્યાદા મેળવી શકશે.
ગ્રામિણ સહકારી બેન્કોના માધ્યમથી ફ્લેક્સિ કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરીને રૂ. 10,000થી રૂ. 50,000 સુધીનું ધિરાણ આપવામાં આવશે
બીજો મોટો સુધારો એ છ વર્ષની સંયુક્ત (કમ્પોઝિટ) KCC સુવિધાની રજૂઆત છે. જે એક જ છત્ર હેઠળ પાકની ખેતી, આનુષંગિક પ્રવૃત્તિઓ, ઘરગથ્થુ વપરાશની જરૂરિયાતો, લણણી પછીના ખર્ચ, વીમા પ્રીમિયમ અને રોકાણ લોનને જોડે છે. આ માળખામાં જમીન વિકાસ, સિંચાઈ, ખેતીના સાધનો અને પશુધનની ખરીદી જેવી પ્રવૃત્તિઓ માટેના ધિરાણનો પણ સમાવેશ થાય છે.
આરબીઆઈએ કેસીસી યોજના હેઠળ ડિજિટલ સુવિધાઓનો વ્યાપ પણ નોંધપાત્ર રીતે વધાર્યો છે. ખેડૂતો તેમની સંમતિ અનુસાર યુપીઆઈ (UPI), મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, નેફ્ટ (NEFT), આરટીજીએસ (RTGS) અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) દ્વારા કેસીસી ખાતાનું સંચાલન કરી શકશે. આ પગલાથી ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સર્વસમાવેશકતા વધવાની અને ડિજિટલ વ્યવહારો સરળ બનવાની અપેક્ષા છે.
સુધારેલી માર્ગદર્શિકા આધુનિક કૃષિ પદ્ધતિઓ સંબંધિત ખર્ચાઓને આવરી લઈને પાત્ર પ્રવૃત્તિઓનો વ્યાપ વધારે છે. જેમાં ડ્રોન આધારિત પાક સર્વેક્ષણ અને દવાઓનો છંટકાવ, સેટેલાઇટ આધારિત પાક દેખરેખ, હવામાન સલાહ સેવાઓ, માટી પરીક્ષણ (સોઈલ ટેસ્ટિંગ), ડિજિટલ એગ્રીકલ્ચર પ્લેટફોર્મ અને ઓર્ગેનિક પ્રમાણપત્ર જેવા કાર્યો માટે લોન મળી શકશે.
લોન મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે, આરબીઆઈએ ભાડાપટ્ટે ખેતી કરતા ખેડૂતો (ટેનન્ટ ફાર્મર્સ), મૌખિક પટ્ટેદારો અને ભાગીદારો (શેરક્રોપર્સ) માટે પાત્રતાના નિયમો હળવા કર્યા છે. દસ્તાવેજોની જરૂરિયાતો ઘટાડીને બેંકો હવે રૂ. ૫૦,૦૦૦ સુધીની લોન માટે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રો અને અમુક કિસ્સાઓમાં એફિડેવિટ (સોગંદનામું) પણ સ્વીકારી શકશે.
આ સુધારેલા માળખામાં ઉત્પાદન માર્કેટિંગ લોનનો પણ સમાવેશ થાય છે અને વેરહાઉસ રસીદ આધારિત ધિરાણની સુવિધા પૂરી પાડે છે, જેથી ખેડૂતો સંગ્રહિત પાક સામે લોન મેળવી શકે અને લણણી પછી નાણાકીય તરલતા (રોકડની ઉપલબ્ધતા) સુધારી શકે.નવી માર્ગદર્શિકા મુજબ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે પ્રતિ લોનધારક રૂ. ૨ લાખ સુધીની લોન કોઈપણ ગેરંટી (કોલેટરલ-ફ્રી) વગર આપવાનું ચાલુ રહેશે, જ્યારે પાકની વસૂલાતની અમુક ચોક્કસ ગોઠવણો હેઠળ રૂ. ૩ લાખ સુધીની લોનને પણ ગેરંટીની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ સુધારેલા માળખાનો ઉદ્દેશ્ય કેસીસી યોજનાને વધુ લવચીક, સર્વસમાવેશક અને ટેકનોલોજી-ઓરિએન્ટેડ બનાવવાનો છે, સાથે જ ખેડૂતોની બદલાતી ધિરાણ જરૂરિયાતોને પૂરી કરવામાં ગ્રામીણ સહકારી બેંકોની ભૂમિકાને વધુ મજબૂત કરવાનો છે.



