માર્ગ અકસ્માતના પીડિતો માટે દેશભરમાં સમાન સારવાર વ્યવસ્થા ઊભી કરવા સુપ્રીમ કોર્ટે દિશાનિર્દેશો જાહેર કર્યા
અકસ્ટ્રોમાતના કેસમાં તાત્કાલિક સારવાર મેળવવાનો અધિકાર એ જીવન જીવવાના અધિકારનો જ ભાગ છે: સુપ્રીમ કોર્ટ
જે રાજ્યોએ હજુ સુધી ‘કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ ૨૦૨૫’ લાગુ નથી કરી, તેમણે ૩ મહિનામાં અકસ્માત પીડિતો માટે મફત/કેશલેસ સારવાર શરૂ કરવી પડશે.
નિયત સમયમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી ૪ મહિના પછી હાથ ધરાશે.
અકસ્માત સમયે તાત્કાલિક સારવાર (ટ્રોમા કેર) મેળવવાનો અધિકાર એ બંધારણની કલમ ૨૧ હેઠળ ગેરંટી આપવામાં આવેલા ‘જીવન જીવવાના અધિકાર’નો જ એક અભિન્ન ભાગ છે, એમ સેવલાઈફ ફાઉન્ડેશન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.
જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માર્ગ અકસ્માતના પીડિતો માટે દેશભરમાં એક સમાન ટ્રોમા કેર સિસ્ટમ ઊભી કરવા માટે કેટલાક કડક આદેશો આપ્યા છે.
કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે “જ્યારે કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને છે, ત્યારે તે આઘાત અને અસહાયતા અનુભવે છે. આ સ્થિતિમાં, તબીબી સહાય વિના વિતાવેલી દરેક મિનિટ તેના બચવાની શક્યતાઓને ઘટાડી દે છે. અકસ્માતના સમયે ઝડપ (ઝડપી સારવાર) એ પોતે જ એક દવા સમાન છે.”
બિન-સરકારી સેવા સંસ્થા ‘સેવલાઈફ ફાઉન્ડેશન’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કેન્દ્ર સરકારે પીએમ રાહત, ગૂડ સમરિટન રૂલ્સ અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ (112) જેવી ઘણી સારી યોજનાઓ બનાવી છે, પરંતુ રાજ્યોના સ્તરે તેનું અમલીકરણ ખૂબ જ નબળું છે.
સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા મુખ્ય ૯ દિશાનિર્દેશો
૧. એક જ હેલ્પલાઇન (112): તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આગામી ૩ મહિનામાં તમામ ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો (જેવા કે 100, 101, 108, 102, 1033 અને 1091) ને એકમાત્ર યુનિફાઇડ હેલ્પલાઇન નંબર 112 સાથે જોડી દેવાના રહેશે.
૨. મદદગારો માટે સુરક્ષા: અકસ્માત પીડિતોની મદદ કરનાર લોકો (ગૂડ સમરિટન)ને હેરાનગતિ ન થાય તે માટે ૩ મહિનામાં ડિજિટલ અને ફિઝિકલ ફરિયાદ નિવારણ તંત્ર ઊભું કરવું પડશે.
૩. મેડિકલ રેસ્ક્યૂ પ્રોટોકોલ: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને માર્ગ પરિવહન મંત્રાલયે ૩ મહિનામાં અકસ્માત માટે સ્ટાન્ડર્ડ મેડિકલ રેસ્ક્યૂ પ્રોટોકોલ જાહેર કરવો પડશે, જેનો રાજ્યોએ આગામી ૩ મહિનામાં અમલ કરવાનો રહેશે.
૪. એમ્બ્યુલન્સમાં GPS ફરજિયાત: તમામ એમ્બ્યુલન્સ રાષ્ટ્રીય કોડ (AIS-125) મુજબની હોવી જોઈએ અને તેમાં ફરજિયાત GPS હોવું જોઈએ જે હેલ્પલાઇન 112 સાથે રીઅલ-ટાઇમ ફરજિયાત જોડાયેલું હોવું જોઈએ.
૫. પેરામેડિક્સ ટ્રેનિંગ: પેરામેડિકલ સ્ટાફ માટે નેશનલ કમિશન દ્વારા નક્કી કરાયેલ સત્તાવાર EMT અભ્યાસક્રમ લાગુ કરવો પડશે.
૬. ટ્રોમા રજિસ્ટ્રી: કેન્દ્ર સરકાર ૮ અઠવાડિયામાં ડેટા ફોર્મેટ ગાઇડલાઇન જાહેર કરશે, ત્યારબાદ રાજ્યોએ ૪ મહિનામાં સ્ટેટ ટ્રોમા રજિસ્ટ્રી બનાવી તેને નેશનલ રજિસ્ટ્રી સાથે જોડવાની રહેશે.
૭. સરકારી અને જિલ્લા રોડ પર સુવિધા: માત્ર નેશનલ હાઈવે જ નહીં, પરંતુ સ્ટેટ હાઈવે અને જિલ્લાના મુખ્ય માર્ગો પર પણ તબીબી સુવિધાઓનું ગ્રેડિંગ કરવું પડશે.
૮. PM RAHAT યોજના: ૩ મહિનામાં હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન અને અન્ય ટેકનિકલ પ્રક્રિયાઓ પૂરી કરવી પડશે. આ આદેશનું ઉલ્લંઘન મોટર વ્હીકલ એક્ટ, 1988 નો ભંગ ગણાશે.
૯. કેશલેસ સારવાર: જે રાજ્યોએ હજુ સુધી ‘કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ ૨૦૨૫’ લાગુ નથી કરી, તેમણે ૩ મહિનામાં અકસ્માત પીડિતો માટે મફત/કેશલેસ સારવાર શરૂ કરવી પડશે.
કોર્ટે આ આદેશની નકલ તમામ રાજ્યોના મુખ્ય સચિવો (Chief Secretaries) ને મોકલવા જણાવ્યું છે અને નિયત સમયમાં એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવા આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી ૪ મહિના પછી હાથ ધરાશે.



