• 3 April, 2026 - 5:56 PM

અખાતના દેશોમાં યુદ્ધને કારણે ઊભી થયેલી સ્થિતિમાં ભારત સરકાર નિકાસકારોને વધુ સહાય આપશે

  • શિપિંગ કંપનીઓએ માલ વહન માટે વધારી દીધેલા નૂર દરનો બોજ નિકાસકારો પરથી ઓછા કરવા માટેના ફ્રેઇટ સબસિડી વધારીને સહાય કરવા અંગે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વિચારણા

અમદાવાદઃ અમેરિકા અને ઇઝરાયેલા સાથે મળીને ઇરાન પર કરેલા આક્રમણ પછી પશ્ચિમ એશિયામાં વધતી તણાવની પરિસ્થિતિને કારણે શિપિંગ ખર્ચમાં થયેલા ભારે વધારાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર નિકાસકારોને વધુ સહાય આપવા અંગે નવેસરથી વિચારણા કરી રહી છે.

વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે ગુરૂવારે સાંજે આ અંગે નિર્દેશ આપતા જણાવ્યું હતું કે “સરકારે પહેલાથી જ પશ્ચિમ એશિયા સંકટના પ્રભાવને પહોંચી વળવા નિકાસકારોને મદદરૂપ થવા માટે કેટલાક પગલાં જાહેર કરી દીધા છે. હજીય વધુ કેટલાક નિર્ણયો લેવામાં આવશે.”

સરકારે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં રાહત આપી છે, પરંતુ હવે વધતા ફ્રેઇટ (માલ વહન) દરોના ભારને ઘટાડવા માટે પણ વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે, કારણ કે ઘણા દેશો માટે શિપિંગ ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે.

વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયા સંકટને કારણે નિકાસકારોને લાંબા માર્ગો દ્વારા માલ મોકલવો પડી રહ્યો છે, જેથી ખર્ચ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સરકાર ફ્રેઇટ સબસિડી વધારવા જેવી વધારાની સહાય અંગે વિચાર કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ સંકટનો સામનો કરવા માટે ઉદ્યોગોને સહાય કેવી રીતે આપી શકાય તે માટે તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગો વિવિધ વિકલ્પો પર કામ કરી રહ્યા છે.”

તાજેતરના અઠવાડિયાઓમાં પશ્ચિમ એશિયામાં તણાવ વધતા શિપિંગ કંપનીઓ દ્વારા માલ વહન કરવા માટેના પરંપરાગત માર્ગ-દરિયાઈ માર્ગ ખોરવાઈ ગયા છે. તેને કારણે ફ્રેઇટ અને ઈન્શ્યોરન્સ ખર્ચ વધી ગયો છે. ઉપરાંત, પેટ્રોલિયમ ઉત્પાદનો સહિતના મહત્વપૂર્ણ કાચા માલની ઉપલબ્ધતા અંગે પણ ચિંતા ઉભી થઈ છે.

🌍 વેપાર પર અસર

પિયૂષ ગોયલે જણાવ્યું હતુ કે કે કેમરૂનમાં યોજાયેલી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મંત્રીસ્તરીય બેઠક દરમિયાન અન્ય દેશોના વેપાર મંત્રીઓ સાથે થયેલી બેઠકમાં આ ભૂરાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. ઘણા દેશોએ વૈશ્વિક વેપાર પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું, “આ પરિસ્થિતિએ વૈશ્વિક અર્થતંત્ર અને વેપારને નુકસાન પહોંચાડ્યું છે. નિર્દોષ લોકોના મૃત્યુ અને સંપત્તિના વિનાશ અંગે આપણે સૌ ચિંતિત છીએ. ખુલ્લા સમુદ્ર માર્ગોમાં માલની અવરજવર માટે ઊભી થયેલી મુશ્કેલીઓનો ઝડપી ઉકેલ આવે તેવી આશા છે.”

ભારતની સ્થિતિ મજબૂત

પિયૂષ ગોયલનું કહેવું છે કે ભારતે ખાદ્ય અને ઊર્જા સુરક્ષા મામલે મજબૂત સ્થિતિ દર્શાવી છે. ક્રૂડનો સપ્લાય ખોરવાયો હોવા છતાં અને ક્રૂડ ઓઈલના ભાવ વધી ગયા હોવા છતાંય ગ્રાહકોને એલપીજી સરળતાથી મળી રહ્યું છે. કોમર્શિયલ સિવાયના રાંધણ ગેસના ભાવમાં ખાસ કોઈ વધારો કર્યો નથી. ઔદ્યોગિક એલએનજી પુરવઠો લગભગ 80 ટકા સુધી પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. યુદ્ધ ચાલુ થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાંય ઘણા ક્ષેત્રોને સંપૂર્ણ પુરવઠો મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ કે સીએનજી અને પીએનજીની અત્યારે કોઈ જ અછત જોવા મળતી નથી.

ગુજરાત અને ભારતમાં સક્રિય રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા પર આજે પણ કાર્યરત છે. ક્રૂડ ઓઈલનો પૂરતો જથ્થો આજની તારીખે ઉપલબ્ધ છે. નવા આયાતી જથ્થાઓ પુરવઠાનું સાતત્ય જાળવી રહ્યા છે. આમ, ભારત આ સંકટ વચ્ચે પણ પુરવઠા વ્યવસ્થા સ્થિર રાખવામાં સફળ રહ્યું છે.

Read Previous

નવા વર્ષમાં રસોડામાં વપરાતી દરેક વસ્તુઓના ભાવ ત્રણથી ચાર ટકા વધી જશે

Read Next

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી શરૂ કર્યું ટેરિફનું તોફાનઃ બ્રાન્ડેડ દવાની આયાત પર સો ટકા ટેરિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular