NPSના સબસ્ક્રાઈબર્સ પાસેથી લેવાતા ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યાઃ સબસ્ક્રાઇબર્સ પર કેવી અસર પડશે?
નેશનલ પેન્શન સિસ્ટમ લાંબા ગાળાની નિવૃત્તિ યોજના તરીકે જાણીતી છે. ઓછી કિંમત, ટેક્સ લાભ અને સુરક્ષિત નિવૃત્તિ માટે ઘણા રોકાણકારો નેશનલ પેન્શન સિસ્ટમ પસંદ કરે છે
નેશનલ પેન્શન સિસ્ટમ લાંબા ગાળાની નિવૃત્તિ યોજના તરીકે જાણીતી છે. ઓછી કિંમત, ટેક્સ લાભ અને સુરક્ષિત નિવૃત્તિ માટે ઘણા રોકાણકારો નેશનલ પેન્શન સિસ્ટમ પસંદ કરે છે. પરંતુ નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ સાથે કેટલાક વહીવટી ચાર્જ પણ જોડાયેલા હોય છે, જે સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સીઓ દ્વારા વસૂલવામાં આવે છે. સેન્ટ્રલ રેકોર્ડ કિપિંગ એજન્સી સબસ્ક્રાઇબરના રેકોર્ડ જાળવે છે, ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે અને એકાઉન્ટ સર્વિસિંગ આપે છે. હવે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રેકોર્ડ કિપિંગ એજન્સાના ચાર્જ અંગે નવી સ્પષ્ટતા કરી છે. આ સ્પષ્ટતામાં જણાવવામાં આવ્યું છે કે કયા કિસ્સામાં ચાર્જ લાગશે, ક્યાં નહીં લાગશે અને ચાર્જ કેવી રીતે વસૂલાશે.
ટીયર ટુના એકાઉન્ટમાં મોટો ફેરફાર
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે ટીયર ટુ ની કેટેગરીમાં આવતા એકાઉન્ટનો એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જ હવે ટીયર વનની કેટેગરીમાં આવતા એકાઉન્ટ જેટલો જ લાગશે. આમ ટીયર-ટુના એકાઉન્ટ સ્વૈચ્છિક હોવા છતાં સ્વૈચ્છિક એકાઉન્ટ હોવા છતાં તે સંપૂર્ણપણે ફ્રી રહેશે નહીં. ટીયર-ટુની કેટેગરીમાં આવતા ખાતામાં ત્રિમાસિક અંતે રૂ.1,000 સુધી જ બેલેન્સ હશે તો એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જ તરીકે કંઈ જ વસૂલવામાં આવશે નહિ. તેનાથી નાના રોકાણકારોને રાહત મળશે. પરંતુ રૂ. 1,000થી વધુ બેલેન્સ થતાં એન્યઅલ મેઈન્ટેનન્સ ચાર્જ લાગુ પડી શકે છે.
એક જ પ્રાન નંબરમાં અનેક સ્કીમ હશે તો અલગ અલગ ચાર્જ લેવાશે
હવે એક જ પ્રાન-PRAN નંબર હેઠળ અનેક પેન્શન સ્કીમ હશે તો દરેક સ્કીમ માટે અલગ એન્યુઅલ મેઈન્ટેનન્સ લાગશે. એટલે ડાયવર્સિફિકેશન કરનાર રોકાણકારોએ વધારાના વહીવટી ખર્ચ પર ધ્યાન આપવું પડશે.
નિષ્ક્રિય એકાઉન્ટને મોટી રાહત
એનપીએસના એકાઉન્ટમાં સતત ચાર ક્વાર્ટર સુધી કોઈ યોગદાન નહીં આવે તો એકાઉન્ટ નિષ્ક્રિય ગણાશે. આ પ્રકારના ખાતાઓ માટે એન્યુઅલ મેઈન્ટેનન્સ પેટે માત્ર 10 ટકા જ વસૂલવામાં આવશે. આ નિયમ નોકરી બદલનાર, વિદેશ જનાર, સ્વરોજગારીમાં જનાર અથવા તાત્કાલિક રોકાણ બંધ કરનાર લોકો માટે રાહતરૂપ છે. જોકે ડોરમન્ટનું સ્ટેટસ ચાર ક્વાર્ટર પછી જ લાગુ પડશે.
પ્રાન ઓપનિંગ ચાર્જમાં સ્પષ્ટતા
પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે પ્રાન ઓપનિંગ ચાર્જ ફક્ત પ્રથમ વખત પ્રાન-PRAN બનાવતી વખતે જ લાગશે. હાલના પ્રાનમાં ટીયર-વન અથવા ટીયર ટુ એકાઉન્ટ એક્ટિવ કરવા માટે કોઈ નવો ઓપનિંગ ચાર્જ નહીં લાગે. પહેલી ઓક્ટોબર 2025થી સરકારી નોકરીઓમાં ન હોય તેવા નેશનલ પેન્શન સ્કીમના સબસ્ક્રાઈબર્સને એક જ પ્રાન હેઠળ અનેક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ મેનેજ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અટલ પેન્શન યોજના અને નેશનલ પેન્શન સ્કીમના શૂન્ય સિલક ધરાવતા-નિલ બેલેન્સ એકાઉન્ટમાં કોઈ જ એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જ લાગુ પડશે નહિ. તેનાથી નાના અને નીચી આવક ધરાવતા રોકાણકારોને ફાયદાકારક છે.
ચાર્જ કેવી રીતે વસૂલાશે?
ચાર્જ દર ક્વાર્ટરના અંતે વસૂલાશે. જ્યાં એમ્પ્લોયર સેન્ટ્રલ રેકોર્ડ કિપિંગ એજન્સીમાં ચાર્જ ભરે છે ત્યાં સેન્ટ્રલ રેકોર્ડ કિપિંગ એજન્સી સીધી ઇન્વોઇસ આપશે. અન્ય કિસ્સામાં સબસ્ક્રાઇબરના એકાઉન્ટમાંથી યુનિટ કપાઈને ચાર્જ વસૂલાશે.
રોકાણકારો માટે સંદેશ
નેશનલ પેન્શન સ્કીમ હજુ પણ ઓછા ખર્ચવાળી નિવૃત્તિ યોજના છે, પરંતુ ઓછી કિંમતનોનો અર્થ કોઈ જ કિંમત ન લેવી તેવો થતો નથી. રોકાણકારોએ એકાઉન્ટ સ્ટેટમેન્ટ, એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જની કપાત અને સ્કીમ સ્ટ્રક્ચરને સમજવું જરૂરી છે.
પ્રાન શું છે?
એનપીએસમાં તમારા પેન્શન એકાઉન્ટ સ્ટ્રક્ચર માટે પ્રાન, ટીયર-વન અને ટીયર-ટુ ખૂબ જ મહત્ના છે. પ્રાન-પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર છે. નેશનલ પેન્શન સ્કીમના સબસ્ક્રાઈબરને આપવામાં આવતો આ બાર આંકડાંનો નંબર છે. આજીવન આ નંબર બદલાતો નથી. સબસ્ક્રાઈબર નોકરી બદલે કે શહેર બદલા અથવા પેન્શન ફંડમાં ફેરફાર કરે આ નંબર કાયમને માટે એક જ રહે છે. પ્રાનનો ઉપયોગ એનપીએસના ઇન્વેસ્ટમેન્ટને ટ્રેક કરવા માટે કરવામાં આવે છે. ટીયર-વન અને ટીયર-ટુ એકાઉન્ટ મેનેજ કરવા માટે પ્રાનનો ઉપયોગ કરવામાં આવે છે. પેન્શનના નાણાં ઉપાડવા માટે પ્રાનનો ઉપયોગ કરવામાં આવે છે.
ટીયર વન એકાઉન્ટ શું છે?
ટીયર-વન એકાઉન્ટ રિટાયરમેન્ટ માટેનું એકાઉન્ટ છે. તમારે એનપીએસમાં જોડાવું હોય અને ટેક્સના લાભ મેળવવા હોય તો આ એકાઉન્ટ હોવુ જરૂરી છે. ટીયર-વન એકાઉન્ટ લાંબા ગાળાનું એકાઉન્ટ અને નિવૃત્તિ કાળ સુધી ચાલતું એકાઉન્ટ છે. તેમાંથી નાણાંના ઉપાડ પર નિયંત્રણ મૂકવામાં આવેલા છે. તેમાં કરેલા રોકાણ પર આવક વેરાના લાભ આપવામાં આવે છે. નિવૃત્તિના સમય સુધી તેમાં નાણાં પડેલા રહે છે. ચોક્કસ નિયમોને આધીન રહીને તેમાંથી આંશિક ઉપાડ કરવા દેવામાં આવે છે. તેમાં રૂ. 1.5 લાખ સુધીના વાર્ષિક રોકાણ વેરામાંથી બાદ મળે છે. તદુપરાંત બીજા રૂ. 50,000નું રોકાણ કલમ 80 સીસીડી(આઈબી) હેઠળ વેરામાંથી દ મળે છે. 60 વર્ષ થઈ ગયા પછી સંપૂર્ણ રકમનો ઉપાડ કરી શકાય છે. તેમાં ચોક્કસ રકમ રાખી મૂકવામાં આવે તો તેના પર પેન્શન મળે છે.
ટીયર ટુ એકાઉન્ટ શું છે?
ટીયર ટુ એકાઉન્ટમાં સ્વૈચ્છિક બચત કરી શકાય છે. આ બચત ખાતું પ્રાન સાથે જોડાયેલું હોય છે. તમારી પાસે ટીયર-વન એકાઉન્ટ હોય તો જ તમે ટીયર-2 એકાઉન્ટ ખોલાવી શકો છો. તેમાં તમારી અનુકૂળતા પ્રમાણેની રકમ જમા અને ઉપાડ કરી શકો છો. તેમાં કોઈ જ લૉક ઇન પિરિયડ લાગુ પડતો નથી. તેમાં ઇન્વેસ્ટ કરવા માટેનો ખર્ચ ઓછામાં ઓછો આવે છે. વર્ષમાં ચોક્કસ રકમ જમા કરાવવી જ તેવો કોઈ નિયમ તેને માટે લાગુ પડતો નથી. ખાનગી સેક્ટરના રોકાણકારોને તેમાં રોકાણ કરવાથી વેરાના કોઈ જ લાભ આપવામાં આવતા નથી. હા, સરકારી કર્મચારીઓને તેમાં મર્યાદિત પ્રમાણમાં વેરાના લાભ મળી શકે છે. તેને માટે કેટલીક શરતો રાખવામાં આવેલી છે.



