છ માસમાં HDFC Bankના શેરમાં 26 ટકાના ગાબડાં પછી હવે તેજી કે હજીય મંદી ચાલુ રહેશે

ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC Bankના શેરમાં છેલ્લા છ માસના ગાળામાં લગભગ 26 ટકાનો ઘટાડો નોંધાયો છે. બેન્કના ચેરમેન અતનુ ચક્રવર્તીએ 18 માર્ચ, 2026ના રોજ અચાનક રાજીનામું આપ્યા બાદ કોર્પોરેટ ગવર્નન્સ અને મેનેજમેન્ટની સ્થિરતા અંગે રોકાણકારોમાં ચિંતા વધી જતાં શેર પર ભારે દબાણ આવ્યું હતું. ઉપરાંત અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે પણ રોકાણકારોના મનોબળને અસર પહોંચાડી હતી.
ભારે વેચવાલીના કારણે HDFC Bankનો શેર 2 એપ્રિલ, 2026ના રોજ 52 સપ્તાહની સૌથી નીચી સપાટી રૂ. 726.75 સુધી તૂટી ગયો હતો. ત્યારથી પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે સમગ્ર શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે અને HDFC Bankનો શેર પણ આ નીચલા સ્તરની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો છે.
મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહેલો શેર
ટેક્નિકલ ચાર્ટ અનુસાર HDFC Bankનો શેર હાલમાં 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ, 50 દિવસ, 100 દિવસ, 150 દિવસ અને 200 દિવસની તમામ સિમ્પલ મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્થિતિ બજારમાં મજબૂત મંદીનો સંકેત માનવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં Bank Niftyમાં સામેલ 12 બેંકિંગ શેરોમાં HDFC Bank સૌથી વધુ ઘટાડો નોંધાવનાર શેર રહ્યો છે.
બ્રોકરેજ હાઉસ હજુ પણ આશાવાદી
વૈશ્વિક બ્રોકરેજ JP Morganએ HDFC Bankના શેર માટે રૂ. 990નો ટાર્ગેટ ભાવ આપ્યો છે અને શેર પર ‘Overweight’ રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજના મતે હાલનું મૂલ્યાંકન ઐતિહાસિક રીતે ખૂબ આકર્ષક સ્તરે પહોંચી ગયું છે અને બેંકનો મૂળ વ્યવસાય હજુ પણ મજબૂત છે. બીજી તરફ સિસ્ટેમેટિક્સ બ્રોકરેજ હાઉસે શેરનો ટાર્ગેટ ભાવ રૂ. 950નો નક્કી કર્યો છે. તેની સામે નિર્મલ બાંગે HDFC Bank માટે રૂ. 1,037નો ટાર્ગેટ ભાવ આપ્યો છે, જે વર્તમાન બજારભાવની સરખામણીએ 30 ટકાથી વધુ વધારાની સંભાવના દર્શાવે છે.
ટેક્નોલોજીમાં મોટું રોકાણ
નિર્મલ બાંગના જણાવ્યા મુજબ HDFC Bankએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી આધારિત બેન્ક બનવા માટે લાંબા ગાળાના મહત્વપૂર્ણ રોકાણો કર્યા છે. બેન્કે અત્યાર સુધીમાં 1 અબજ ડોલરથી વધુનું ટેક્નોલોજીમાં રોકાણ કર્યું છે. બેન્કની ઉત્તમ એસેટ ક્વોલિટી, મજબૂત ડિપોઝિટ બેઝ અને વિશ્વસનીય લાયબિલિટી ફ્રેન્ચાઇઝને કારણે અન્ય ખાનગી બેંકોની સરખામણીએ HDFC Bankને પ્રીમિયમ મૂલ્યાંકન મળવું જોઈએ. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ બેન્કે સ્થિર નાણાકીય કામગીરી દર્શાવી છે.
બેન્કના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.38 ટકા, રિટર્ન ઓન ઇક્વિટી 14 ટકા ને રિટર્ન ઓન એસેટ્સ 1.9 ટકા છે. આ આંકડાઓ દર્શાવે છે કે બેન્કનો મૂળ વ્યવસાય હજુ પણ મજબૂત છે અને લાંબા ગાળાના રોકાણકારો માટે તે એક આકર્ષક વિકલ્પ બની શકે છે.
શું શેરમાં હવે રિકવરી આવશે?
ટેક્નિકલ રીતે શેર હજુ પણ શેરમાં મંદીના વલણમાં છે કારણ કે તે તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. પરંતુ બીજી તરફ અનેક અગ્રણી બ્રોકરેજ હાઉસ માને છે કે શેરનું વર્તમાન મૂલ્યાંકન આકર્ષક સ્તરે પહોંચી ગયું છે અને લાંબા ગાળામાં તેમાં નોંધપાત્ર સુધારાની સંભાવના છે. આથી ટૂંકા ગાળામાં અસ્થિરતા ચાલુ રહી શકે છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે શેર પર નજર રાખવા જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે રોકાણનો નિર્ણય લેતા પહેલાં પોતાની નાણાકીય સ્થિતિ, જોખમ ક્ષમતા અને સ્વતંત્ર નાણાકીય સલાહને ધ્યાનમાં લેવી જરૂરી છે.



