• 3 April, 2026 - 5:56 PM

ભારત સરકારે જૂન 2026 સુધી 40 પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી માફ કરી

  • પ્લાસ્ટિક, પેકેજિંગ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ઓટોમોટિવ ઘટકો અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોને રાહ મળશે

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊભી થયેલી સપ્લાય ચેઇન સમસ્યાઓથી દેશની ઉદ્યોગોને બચાવવા માટે 40 પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી જૂન 2026 સુધી સંપૂર્ણ રીતે માફ કરી દીધી છે. આ નિર્ણય 30 જૂન 2026 સુધી અમલમાં રહેશે. આ પગલું ઘરેલુ ઉત્પાદકોને વૈશ્વિક અસ્થિરતા અને ભાવવધારા સામે સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યું છે.

આ પેટ્રોકેમિકલ ઉત્પાદનો વિવિધ ઉદ્યોગોમાં જરૂરી કાચામાલ તરીકે ઉપયોગમાં લેવાય છે. સરકારના અંદાજ મુજબ ડ્યૂટી માફીથી ત્રણ મહિનામાં સરકારને અંદાજે રૂ.1,800 કરોડનું આવક નુકસાન થશે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ છૂટછાટનો લાભ પ્લાસ્ટિક, પેકેજિંગ, ટેક્સટાઇલ, દવાઓ, કેમિકલ્સ, ઓટો પાર્ટ્સ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોને મળશે. આ સાથે અંતિમ ગ્રાહકોને પણ રાહત મળશે.

કયા 40 પ્રોડક્ટ્સ પરની ડ્યૂટી માફ કરી

નાણાં મંત્રાલયે ડ્યૂટી માફ આયાત માટે નક્કી કરેલા 40 ઉત્પાદનોમાં એન્હિડ્રોસ એમોનિયા, ટોલ્યુને, સ્ટાઈરીન, ડાયક્લોરોમેથેન(મેથાયલીન), વિનાયલ ક્લોરાઈડ મોનોમોર, મેન્થોલ(મિથાઈલ આલ્કોહોલ), આઈસોપ્રોપિલ આલ્કોહોલ, મોનોઇથિલિન ગ્લાયકોલ(એમઈજી), ફેનોલ, એસેટિક એસિડ, વિનાયલ એસેટેટ મોનોમોર, પ્યુરિફાઈડ ટેરેફથાલિક એસિડ(પીટીએ), ઇથિલીનડાયામાઈન, ડાય ઇથનોલામાઈન એન્ડ  મોનો ઇથાનોલામાઈ, ટાલ્યુને ડાય આઈસોસાયનેટ, એમોનિયમ નાઈટ્રેટ, લિનિયર આલ્કાઈનબેન્ઝેનિઝ, પોલીમર્સ ઓફ ઇથાયલિન-વિનાયલ એસેટેટ, પોલીપ્રોપોલીન, પોલીસ્ટાયરીન, સ્ટાયરીન એક્રાયલોનાઇટ્રાઈલ(એસએએન), એક્રિલોનાટ્રાઈલ-બ્યુટાડિન, સ્ટાઈરિન (એબીએસ) પોલીવિનાયલ ક્લોરાઈડ, પોલીબ્યુટાડાઈને, સ્ટાયરીન બ્યુટાડાઈને, પોલીપ્રોપોલીન સલ્ફાઈડ(પીપીએસ), પોલીયુરેથેન્સ, ફોર્માલડેહાયડે,યુરિયા ફોર્મલડેહાયડે, મેલામાઈન ફોર્મલાડેહાયડે, ફેનોલ ફોર્મલડે હાયડે, પોલીબ્યુટીલિન ટેરેપ્થાલેટ, અનસેચ્યુરેટેડ પોલિયેસ્ટર રેઝિન, પોલી ઇથિલીન ટેરેપ્થાલેટ, અલ્કિડ રેઝિન, પોલીકાર્બોનેટ, એપોક્સિ રેઝિન, પોલીઇથર ઇથર કેટોન, પોલીઓલ્સ, પોલીયોક્સામેથેલીન,(પીઓએણમ-એસેટલ), પોલીમિથાઈલમેથાક્રાઈલેટ, પોલીવિનાયલ આલ્કોહોલ, પોલીવિનાયલ એસેસેટ અને પોલીટેટ્રાફ્લુરોઇથિલીનનો સમાવેશ થાય છે.

ઘરેલુ ઉદ્યોગોને સુરક્ષા આપવા પગલું

નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપ આવ્યો છે. આથી વેપાર અવરોધ દૂર કરીને દેશના બજારને બાહ્ય આંચકાથી બચાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું તાત્કાલિક અને ચોક્કસ ઉદ્યોગોના રાહત આપવાના ધ્યેય સાથે લેવામાં આવ્યું છે.  આ પગલું લેવાથી જરૂરી કાચા માલની ઉપલબ્ધતા જળવાઈ રહેશે.  ઉત્પાદન ખર્ચ ઓછો થશે અને સપ્લાય સ્થિરતા જળવાઈ રહેશે.

ઘરેલુ ઉત્પાદકો પર દબાણ વધવાની શક્યતા

સરકારના આ નિર્ણયને પરિણામે સ્થાનિક સ્તરે પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન કરતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ગેઈલ અને હલ્દિયા પેટ્રોકેમિકલ્સ જેવી કંપનીઓ પર અસર પડશે. સરકારની આયાત ડ્યૂટી મુક્ત પ્રોડક્ટ્સની યાદીમાં મૂકવામાં આવેલા ઉત્પાદનો ઉપરોક્ત ચાર કંપનીઓ જ સૌથી વધુ પ્રમાણમાં તૈયાર કરે છે.

ઉદાહરણ આપીને વાત કરીએ તો રિલાયન્સ પોલીપ્રોપિલીન, પોલીથાઈલીન, પીવીસી અને પેટ્સની ચિપ્સ બનાવે છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ગેઈલ પણ ડ્યૂટી મુક્ત ઉત્પાદનો બનાવે છે. તેમ જ હલ્દિયા પેટ્રોકેમિકલ્સ પેકેજિંગ અને ઓટો ઉદ્યોગ માટે જોઈતા પ્રોડક્ટસ તૈયાર કરે છે. આમ આયાત સસ્તી બનવાથી ઘરેલુ ઉત્પાદકો પર સ્પર્ધાત્મક દબાણ વધવાની શક્યતા છે. તેથી તેમને પણ તેમના ઉત્પાદનોના ભાવ નીચે લઈ જવાની ફરજ પડી શકશે.

એન્ટી-ડમ્પિંગ ચિંતા ફરી ઉઠી

ઉદ્યોગ નિષ્ણાતો જણાવે છે કે ઘણા ઉત્પાદકો લાંબા સમયથી ચીનમાંથી આવતા સસ્તા આયાત પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લગાવવા માગણી કરી રહ્યા છે. તાજેતરમાં ડીજીટીઆરએ પીવીસીની આયાત પર તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં કેમપ્લાસ્ટ, ડીસીએમ શ્રીરામ અને ડીસીડબ્લ્યુ જેવી કંપનીઓએ ચીન દ્વારા સબસિડી આપવામાં આવતી હોવાનો આરોપ મૂક્યો છે.

ઉદ્યોગની પ્રતિક્રિયા

પ્લાસ્ટિકના દાણાના સપ્યાલ પર નિર્ભર ઉદ્યોગો કહે છે કે સરકારનો પ્રસ્તુત નિર્ણય સમયસર અને વ્યાવહારિક છે, જે ઉત્પાદન ક્ષેત્રને સ્થિર રાખવામાં મદદરૂપ થશે. આ પગલાથી કાચા માલના ખર્ચમાં ઘટાડો થશે, ઉદ્યોગોને સહાય મળશે અને અંતિમ ઉત્પાદનોના ભાવમાં વધારાને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

Read Previous

સેબીએ નવેસરથી ઓપન માર્કેટ બાયબેક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો

Read Next

ઇરાનના યુદ્ધને કારણે એલ્યુમિનિયમના ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular