ભારતમાં વજન ઘટાડવાની દવાઓનું બજાર કેમ ધીમું પડી રહ્યું છે?

ભારતનું વજન ઘટાડવાની દવાઓના બજારનો આધાર હજુ પણ મોટાભાગે ડાયાબિટીસની સારવાર પર નિર્ભર છે
અમદાવાદઃ જેનરિક સેમાગ્લુટાઈડના લોન્ચિંગથી ભારતનું વજન ઘટાડવા માટેની દવાઓનું બજાર વધીને ૨,૦૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચ્યું છે. પરંતુ આ દવાઓ ખરીદવાનો આરંબિક ઉત્સાહ હવે મંદ પડી રહ્યો છે. પરિણામે મેદસ્વિતા ઘટાડવાની દવાઓ બનાવતી કંપનીઓ હવે નવા દર્દીઓને શોધવા અને તેમને સારવારમાં ટકાવી રાખવાના પડકારનો સામનો કરી રહી છે. મે ૨૦૨૬ સુધીના ૧૨ મહિનામાં આ બજાર ૧,૯૦૬ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. જે એક વર્ષ પહેલાની સરખામણીમાં ૨૩૭% વધુ છે. આમાં ટિર્ઝેપાટાઈડનો ફાળો ૧,૨૦૭ કરોડ રૂપિયા છે, જ્યારે સેમાગ્લુટાઈડનો ફાળો ૫૮૯ કરોડ રૂપિયા છે.
પ્રથમ લહેર આવી ગઈ હોવાનું જણાવતા નિષ્ણાતો કહે છે કે જે દર્દીઓ સસ્તી દવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ પહેલેથી જ બજારમાં પ્રવેશ કરી ચૂક્યા છે. પાત્રતા ધરાવતા દર્દીઓની સંખ્યા મર્યાદિત છે. ઉપરાંત આ દવાઓની આડઅસર સહન ન થવાથી ઘણા દર્દીઓ સારવાર અધવચ્ચે છોડી રહ્યા છે.
વજન ઘટાડવાની દવાઓ વિશે ખૂબ ચર્ચા હોવા છતાં, ભારતનું વજન ઘટાડવાની દવાઓના બજારનો આધાર હજુ પણ મોટાભાગે ડાયાબિટીસની સારવાર પર નિર્ભર છે. નિષ્ણાતોનું માનવું છે કે ડોક્ટરો ડાયાબિટીસ માટે આ દવાઓ લખવા માટે વધુ ટેવાયેલા છે. મોટાભાગની જેનરિક કંપનીઓએ પણ આ દવાઓ ઓબેસિટી-સ્થૂળતાને બદલે ટાઇપ-૨ ડાયાબિટીસના લેબલ હેઠળ લોન્ચ કરી છે.
આ દવાના બજાર સામે પડકારો ઘણાં વધારે છે. સ્થૂળતાની સારવારમાં સૌથી મોટો અવરોધ ‘પરવડે તેવી કિંમત’ છે. ડાયાબિટીસની સરખામણીમાં સ્થૂળતાની દવાઓ માટે કોઈ સરકારી કે ખાનગી વીમા કવચ મળતું નથી, જેના કારણે દર્દીઓ લાંબો સમય સારવાર ચાલુ રાખી શકતા નથી. વધુમાં, સારવારના ખર્ચ અને આડઅસરને કારણે દર્દીઓ દવા લેવાનું બંધ કરી દે છે, જે બજારની વૃદ્ધિને પણ મર્યાદિત કરે છે.


