ફાઉન્ડરને ટી પોસ્ટની ફ્રેન્ચાઈઝીના હક પરત આપવા NCLTનો આદેશ

નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલનો રાજકોટની કંપની માટે મહત્વનો ચૂકાદોઃ રાજકોટના રાજ્યગુરુ ગ્રુપની કંપનીના ભાગીદારે જ છેતરપિંડી કરીને ફ્રેન્ચાઈઝી અધિકારો મામૂલી કિંમત આપી છીનવી લીધા
નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે ચાયના વેપાર સાથે સંકળાયેલી ટી પોસ્ટના અધિકારો તેના રાજકોટના સ્થાપકના રાજ્યગુરુ ગ્રુપને પરત આપી દેવા આદેશ કર્યો છે. કંપનીના જ અન્ય પ્રમોટરે ખોટી રીતે ૨૦૧૬માં તેના અધિકારો માત્ર રૂ. ૩૫ લાખમાં પોતાની અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરી લીધા હોવાની દલીલને એનસીએલટીએ માન્ય રાખીને ટી પોસ્ટના કેસમાં ૨૦૧૬ પહેલાની સ્થિતિ પુનઃપ્રસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં અરજી કરનારા એવી રજૂાત કરી હતી કે પ્રતિવાદીએ છેતરપિંડી કરીને ટી પોસ્ટનો ટ્રેડમાર્ક અને તેની ૮૦ ફ્રેન્ચાઈઝીના અધિકારો ટી પોસ્ટના મૂળ પ્રમોટર પાસેથી છીનવી લીધા હતા. આ અધિકારો રાજ્યગુરુ ગ્રુપને પરત આપવા જણાવ્યું છે. રાજ્યગુરુ ગ્રુપ માટે અલગ સબસિડિયરી કંપની ઊભી કરવાને નામે કાગળ તૈયાર કરાવવામાં આવ્યા હતા.
વાાસ્તવમાં આ કાગળ ફ્રોડ કરનારે પોતાના નિયંત્રણ હેઠળની કંપની બનાવીને તેમાં ટી પોસ્ટનો ટ્રેડમાર્ક અને તેની ૮૦ ફ્રેન્ચાઈઝીના અધિકારો ટ્રાન્સફર કરી દીધા હતા. આ રીતે ટી પોસ્ટના ફાઉન્ડરના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. પરિણામે ટી પોસ્ટના પ્રમોટર રાજ્યગુરુ ગ્રુપ પાસે આવકનો સ્રોત જ રહ્યો નહોતો. એનસીએલટીએ અવલોકન કર્યું હતું કે ફ્રેન્ચાઈઝી હક લઈ લેનારી કંપનીએ શેરહોલ્ડર્સના હિતમાં પગલાં લેવાને બદલે અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપ્યું હતું.
નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે તેને લગતા તમામ રેકોર્ડની ચકાસણી કર્યા બાદ જમઆવ્યું હતું કે ટી પોસ્ટની સતત લોકપ્રિય બની રહેલી બ્રાન્ડ અને તેની ૮૦ ફ્રેન્ચાઈઝી માત્ર રૂ. ૩૫ લાખની નજીવી કિમતે ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. બ્રાન્ડની લોકપ્રિયતા અને તેની ફ્રેન્ચાઈઝીના નેટવર્કને જોતાં આ કિંમત બહુ જ ઓછી છે. તેમ જ તેમાં પારદર્શકતાનો પણ અભાવ છે.
એનસીએલટીએ એવું પણ અવલોકન કર્યું હતું કે ફ્રોડ કરનાર કંપનીઓ લઘુમતી શેરધારકોની મંજૂરી મેળવી હતી. પરંતુ તેમની સમક્ષ ધરાર ખોટી રજૂઆત કરીને મંજૂરી મેળવવામાં આવી હતી. આમ તેમની મૂળભૂત સમજૂતીનો ભંગ કરવાાં આવ્યો હતો. તેથી તેમણે મેળવેલી મંજૂરી અનુચિત છે. તેમ જ રાજ્યગુરુ ગ્રુપનો માત્ર નફો કરતો બિઝનેસ જ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યો હતો.
પરિણામે મૂળ કંપનીની તરફેણમાં એનસીએલટીએ ચૂકાદો આપ્યો હતો. એનસીએલટીના ફાઈનલ ઓર્ડરમાં ટી પોસ્ટ ટ્રેડમાર્ક અને તેની ૮૦ ફ્રેન્ચાઈઝીના અધિકારો મૂળ સ્થાપકને પરત કરવા જણાવ્યું હતું. તેમ જ તમામ જવાબદારીઓ પણ મૂળ કંપનીને પરત કરી દેવા જણાવવામાં આવ્યું હતું. તેની સાથે જ લિટીગેશન કરવા માટે થયેલો ખર્ચ પણ આપવા આદેશ કર્યો હતો. આમ એનસીએલટીએ લઘુમતી શેરધારકોના હિતનું રખોપું કર્યું છે.


